
હાલ એપ્રિલથી જૂન 2026 ક્વાર્ટર માટે SCSS પર 8.2 ટકા વાર્ષિક વ્યાજદર આપવામાં આવી રહ્યો છે. જો કોઈ વરિષ્ઠ નાગરિક આ યોજનામાં ₹30 લાખનું રોકાણ કરે, તો તેમને દર ત્રણ મહિને ₹61,500 જેટલું વ્યાજ મળશે. એટલે કે આખા વર્ષ દરમિયાન કુલ ₹2.46 લાખની નિયમિત આવક મેળવી શકાય છે.
SCSS યોજના ખાસ કરીને નિવૃત્ત લોકો માટે તૈયાર કરવામાં આવી છે, જેથી તેઓને નિવૃત્તિ પછી પણ નિશ્ચિત આવક મળી રહે. આ યોજનાનો સમયગાળો 5 વર્ષનો હોય છે અને જરૂર પડે તો તેને વધુ 3 વર્ષ માટે લંબાવી શકાય છે.
SCSSમાં વ્યાજ દર ત્રણ મહિને સીધું ખાતામાં જમા કરવામાં આવે છે, જેના કારણે વરિષ્ઠ નાગરિકોને નિયમિત કેશ ફ્લો મળે છે.
આ યોજનામાં ઓછામાં ઓછું ₹1,000 જમા કરી શકાય છે, જ્યારે મહત્તમ મર્યાદા ₹30 લાખ સુધીની રાખવામાં આવી છે. એક વ્યક્તિ પાસે એકથી વધુ SCSS ખાતા હોઈ શકે છે, પરંતુ કુલ રોકાણ મર્યાદા ₹30 લાખથી વધુ નહીં હોય.
પતિ અને પત્ની બંને અલગ-અલગ અથવા સંયુક્ત ખાતું ખોલી શકે છે. જો બંને પાત્રતા ધરાવતા હોય, તો તેઓ પોતાના નામે અલગથી ₹30 લાખ સુધીનું રોકાણ કરી શકે છે.
જો કોઈ વ્યક્તિ નક્કી કરેલી મર્યાદાથી વધુ રકમ જમા કરે, તો વધારાની રકમ પરત કરવામાં આવે છે. આવી વધારાની રકમ પર પોસ્ટ ઓફિસ બચત ખાતા મુજબ વ્યાજ આપવામાં આવે છે.
SCSSમાંથી મળતું વ્યાજ સંપૂર્ણપણે કરપાત્ર છે. જોકે, વરિષ્ઠ નાગરિકોને આવકવેરા કાયદાની કલમ 80TTB હેઠળ ₹50,000 સુધીની છૂટનો લાભ મળી શકે છે.
SCSS ખાતું ખોલ્યા પછી 5 વર્ષ પૂર્ણ થતાં તેને બંધ કરી શકાય છે. જો ખાતું વધુ 3 વર્ષ માટે લંબાવવામાં આવ્યું હોય, તો લંબાવેલી મુદત પૂર્ણ થયા બાદ પણ ખાતું બંધ કરી શકાય છે.
ખાતાધારકના અવસાનની સ્થિતિમાં ખાતું બંધ ન થાય ત્યાં સુધી તેમાં પોસ્ટ ઓફિસ બચત ખાતા મુજબ વ્યાજ મળતું રહે છે.
5 વર્ષની મુદત પૂર્ણ થયા બાદ SCSS ખાતું વધુ 3 વર્ષ માટે લંબાવવાની સુવિધા ઉપલબ્ધ છે. તેના માટે પાકતી મુદત પૂર્ણ થયા બાદ એક વર્ષની અંદર અરજી કરવી જરૂરી રહે છે.
SBI માં 3,00,000 જમા કરાવો, સરકારી ગેરંટી સાથે મળશે 1,58,974 વ્યાજ
Published On - 9:39 pm, Sat, 16 May 26