સરકાર કરદાતાઓની સંખ્યા વધારવા માટે સતત કામ કરી રહી છે. સરકાર ઈચ્છે છે કે દેશના વધુને વધુ લોકોને ટેક્સના દાયરામાં લાવવામાં આવે. પરંતુ દેશમાં હાલના પેન્ડિંગ ટેક્સ કેસ સરકારની સાથે સાથે કોર્ટ માટે પણ સમસ્યા બની ગયા છે. આ સમસ્યાને જોતા સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે. આવતા સપ્તાહથી સુપ્રીમ કોર્ટ માત્ર ટેક્સના મામલાની સુનાવણી માટે એક વિશેષ ટીમની રચના કરશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું છે કે ટેક્સ મામલાની સુનાવણી માટે આવતા સપ્તાહથી સુપ્રીમ કોર્ટમાં વિશેષ બેન્ચ હશે. લો ફર્મ રસ્તોગી ચેમ્બર્સના એડવોકેટ અભિષેક એ રસ્તોગીએ TV9 ડિજિટલને જણાવ્યું હતું કે આવતા સપ્તાહથી બુધવાર અને ગુરુવારે વિશેષ બેન્ચ માત્ર ટેક્સની બાબતોની સુનાવણી કરશે.
અભિષેક એ. રસ્તોગીનું કહેવું છે કે હકીકતમાં પેન્ડિંગ ટેક્સના કેસ સતત વધી રહ્યા છે. સરકાર ટેક્સ સિસ્ટમમાં વધુ પારદર્શિતા ઈચ્છે છે. આ માટે જે કેસ પેન્ડિંગ છે તેનો વહેલી તકે નિકાલ કરવામાં આવે તે જરૂરી છે. રસ્તોગીના મતે સુપ્રીમ કોર્ટની આ પહેલથી એવા લોકોને ઘણી રાહત મળશે, જેમના ટેક્સના કેસ લાંબા સમયથી પેન્ડિંગ છે. આ નિર્ણયની અસર દેશના સામાન્ય કરદાતાઓ પર પણ પડશે અને આવનારા સમયમાં કરદાતાઓની સંખ્યા વધારવામાં પણ મદદ મળશે.
સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી આ સ્પેશિયલ બેંચ પ્રત્યક્ષ અને પરોક્ષ બંને પ્રકારના મામલાની તપાસ કરશે. અભિષેક એ. રસ્તોગીના જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય આવતા સપ્તાહથી લાગુ કરવામાં આવશે. આ માટે સંભવતઃ શુક્રવાર અથવા શનિવાર સુધીમાં નવું રોસ્ટર કોર્ટમાં આવી જશે. રોસ્ટર આવ્યા પછી વધુ માહિતી ઉપલબ્ધ થશે.
સુપ્રીમ કોર્ટ દ્વારા રચિત આ વિશેષ બેંચ અઠવાડિયામાં માત્ર બે દિવસ બુધવાર અને શુક્રવાર કામ કરશે. આ બે દિવસોમાં આ સ્પેશિયલ બેન્ચ માત્ર પરોક્ષ અને પ્રત્યક્ષ કર સંબંધિત મામલાઓ પર કામ કરશે. વાસ્તવમાં, દેશમાં આવા ઘણા ટેક્સ કેસ પેન્ડિંગ છે, જેની સીધી અસર દેશના વિકાસ અને સામાન્ય જનતા પર પડે છે. આ નિર્ણય બાદ આશા છે કે આ કેસોની સુનાવણી વહેલી તકે કરવામાં આવશે.