દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કંપનીના વેતન કપાતના નિર્ણયને પરત લઇ કર્મચારીઓની દિવાળી સુધારી છે. કંપનીએ ન માત્ર પગાર કપાત પાછી ખેંચી છે પરંતુ સાથે બોનસ આપવાની પણ જાહેરાત કરી છે. કંપની જે કર્મચારીઓનો પગાર કાપવામાં આવ્યો હતો તેમને પણ પગાર પાછો આપશે. આ નિર્ણયથી રિલાયન્સ ગ્રુપના 3.5 લાખથી વધારે કર્મચારીઓને લાભ થશે.
કંપનીએ કર્મચારીઓના કોરોના કાળમાં કામ કરવાના પ્રતિ સદ્ભાવનાનું નિદર્શન કરીને તેમને આવતા વર્ષના પગારના 30 ટકા અગાઉથી ઓફર પણ કરવામાં આવશે. કંપનીના આ નિર્ણયથી અર્થવ્યવસ્થામાં માંગમાં વધારો થશે. રિલાયન્સે એપ્રિલમાં તેના હાઇડ્રોકાર્બન પેટ્રોલિયમ વિભાગમાં 50 ટકા સુધી પગારમાં ઘટાડો કર્યો હતો. કંપનીના અધ્યક્ષ મુકેશ અંબાણીએ તેમનો તમામ પગાર છોડી દીધો હતો. કંપનીએ રોકડ બોનસ અને કામ આધારિત પ્રોત્સાહનોની ચુકવણી પણ મુલતવી રાખી હતી.
એકતરફ બજારમાં માગમાં ઘટાડાની સ્થિતિ ઉભી થઇ છે તેવામાં મુકેશ અંબાણીનો આ નિર્ણય કર્મચારીઓ માટે આર્થિક રાહત પેકેજથી ઓછો નહિ કહેવાય. આર્થિક સધ્ધરતા મળવાથી લોકોના હાથમાં ખર્ચ કરવા માટે પૈસા આવશે અને અર્થતંત્રમાં માંગ વધશે. કંપનીના નિર્ણયથી કર્મચારીઓ પણ ખુશ જણાઈ રહ્યા છે. આવકમાં નુક્શાનની સ્થિતિ સામે હવે લાભની સ્થિતિ ઉભી થતા ચોક્કસ કર્મચારીઓની દિવાળી સુધરી છે. ૧૦ થી ૫૦ ટકા સુધી પગાર કપાત સામે હવે કર્મચારીઓને બોનસનો પણ લાભ મળશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Published On - 1:25 pm, Mon, 26 October 20