દેશ અત્યારે ઈંધણ સંકટ (Fuel Crisis) તરફ આગળ વધી રહ્યો છે. ઘણા રાજ્યોમાંથી એવા અહેવાલો છે કે પેટ્રોલ પંપો (Petrol Pumps) પર મર્યાદિત પુરવઠો છે, જેના કારણે દેશમાં ચિંતાની સ્થિતી છે. આવી સ્થિતિમાં લોકો ગભરાઈને વધારે ખરીદી કરી રહ્યા છે. આ સમસ્યાને દૂર કરવા માટે પેટ્રોલિયમ મંત્રાલયે સમગ્ર દેશમાં યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન લાગુ કર્યું છે. આ નિયમ હેઠળ જે લોકો પાસે પેટ્રોલ પંપ ચલાવવાનું લાયસન્સ છે તેઓ હવે જાણીજોઈને તેમના પેટ્રોલ પંપને બંધ કરી શકશે નહીં. જોકે, રિલાયન્સ અને નાયરા જેવી ખાનગી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આ મુશ્કેલીથી બચવા માટે એક નવો રસ્તો શોધી કાઢ્યો છે. પ્રાઈવેટ આઉટલેટ્સ પર પેટ્રોલ અને ડીઝલ 3-5 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ વેચાઈ રહ્યું છે. આ ભીડને ઓછી કરવામાં મદદ કરી રહ્યું છે, પરંતુ સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પર બોજ વધી રહ્યો છે.
ઈંધણ સંકટની સમસ્યા મે મહિનામાં શરૂ થઈ હતી, પરંતુ જૂન સુધીમાં તે ગંભીર બની ગઈ હતી. વાસ્તવમાં, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત બેરલ દીઠ 120 ડોલર ની નજીક છે. હાલમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત પ્રતિ બેરલ 85 ડોલરના આધારે છે. આવી સ્થિતિમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓને પેટ્રોલ પર 10-12 રૂપિયા અને ડીઝલ પર 23-25 રૂપિયા પ્રતિ લીટરનું નુકસાન થઈ રહ્યું છે. આ નુકસાનને ટાળવા માટે, ખાનગી પેટ્રોલ પંપ સંચાલકોએ ધીમે ધીમે તેમનો સ્ટોક ઘટાડવાનું શરૂ કર્યું અને સેંકડો પેટ્રોલ પંપ પણ તાત્કાલિક બંધ કરી દીધા છે.
યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન હેઠળ, રિટેલર્સ કોઈપણ ભેદભાવ વિના પેટ્રોલ અને ડીઝલનું વેચાણ કરશે. પેટ્રોલ પંપ સંચાલકોએ તેમની પાસે પૂરતો સ્ટોક રાખવો પડશે. પેટ્રોલ પંપ ખોલવા અને બંધ કરવા માટે સરકાર જે સમય જાહેર કરશે તે સ્વીકારવાની ફરજ પડશે. સરકાર લઘુત્તમ સ્ટોક અંગે માર્ગદર્શિકા પણ બહાર પાડશે, જેનું કોઈપણ સંજોગોમાં પાલન કરવું જરૂરી છે. આ તમામ પગલાંની મદદથી સરકાર સમગ્ર દેશમાં ઇંધણનો પુરવઠો અવિરત રાખવા માંગે છે. આ ઉપરાંત કોઈપણ પ્રકારના બ્લેક માર્કેટિંગને રોકવા માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
6 એપ્રિલથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ વચ્ચે 22 મેના રોજ જ્યારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જોકે ત્યારપછી ફરી ભાવ સ્થિર છે. અહીં કાચા તેલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓનું નુકસાન સતત વધી રહ્યું છે. ખોટ ઘટાડવા માટે, ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સપ્લાયને ટાંકીને સ્ટોક ઘટાડ્યો છે અને તે મર્યાદિત સમય માટે વેચવામાં આવી રહ્યો છે.
દેશભરમાં આવા હજારો પેટ્રોલ પંપ છે જે સુકાઈ ગયા છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાંથી પેટ્રોલ પંપ સુકાઈ જવાના અહેવાલો છે. લોકોમાં ભયનું વાતાવરણ છે જેના કારણે તેઓ ગભરાઈને ખરીદી કરી રહ્યા છે. પુરવઠાની સમસ્યા દૂર કરવા માટે સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ડેપો પર કામના કલાકો વધારી દીધા છે. હવે રાત્રિના સમયે પણ ટેન્કરો ભરવામાં આવે છે જેથી સપ્લાય વધારી શકાય.