ન્યુઝ એજન્સી પીટીઆઇએ Paytm અને અદાણી વચ્ચેની મિટીંગ અને હિસ્સેદારીને અફવા ગણાવી છે, એજન્સી પ્રાપ્ત અહેવાલમાં જાણવા મળ્યું છે કે Paytm એ મીડિયા રિપોર્ટમાં કરવામાં આવેલા દાવાઓને ખોટા ગણાવ્યા છે, દાવો હતો કે અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી Paytmમાં હિસ્સો ખરીદવા માટે Paytmના સ્થાપક વિજય શંકર શર્મા સાથે વાતચીત કરી રહ્યા હતા.
દેશની જાણીતી ફિનટેક કંપનીએ આ સમાચારને અફવા ગણાવી છે. કંપનીએ કહ્યું છે કે આવા સમાચાર માત્ર અટકળો છે. પેટીએમએ શેરબજારોને આપેલી માહિતીમાં કહ્યું છે કે કંપની આ સંબંધમાં કોઈપણ પ્રકારની વાતચીત કરી રહી નથી.
ફાઇલિંગમાં કંપનીએ જણાવ્યું હતું કે, “…અમે સ્પષ્ટતા કરીએ છીએ કે ઉપરોક્ત સમાચાર અફવા છે અને કંપની આ સંબંધમાં કોઈપણ ચર્ચામાં સામેલ નથી. અમે હંમેશા સેબી (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ હેઠળ અમારી જવાબદારીઓનું પાલન કર્યું છે.
બુધવારે વહેલી સવારે, એક અખબારે, અજાણ્યા સ્ત્રોતોને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી Paytmની પેરન્ટ કંપની One97 કોમ્યુનિકેશન્સમાં હિસ્સો ખરીદવાનું વિચારી રહ્યા છે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે Paytmના સ્થાપક અને CEO વિજય શેખર શર્મા મંગળવારે અમદાવાદમાં અદાણીની ઓફિસમાં ગૌતમ અદાણીને મળ્યા હતા અને સોદાના રૂપરેખાને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. રિપોર્ટ અનુસાર વન97 કોમ્યુનિકેશન્સમાં શર્માની ભાગીદારી લગભગ 19 ટકા છે, જેનું મૂલ્ય 4,218 કરોડ રૂપિયા છે.
મંગળવારે કંપનીના શેર રૂ.342 પ્રતિ શેરના ભાવે બંધ થયા હતા. બુધવારે પેટીએમનો શેર BSE પર 5% વધીને રૂ. 359.55 પર ઉપલી સર્કિટ પર પહોંચ્યો હતો. કંપનીના શેરમાં આ ઉછાળો અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી દ્વારા કંપનીમાં હિસ્સો લેવાના સમાચાર સામે આવ્યા બાદ આવ્યો હતો. જોકે, હવે કંપનીએ આ પ્રકારની ડીલ કરવાનો ઇનકાર કરી દીધો છે.
Published On - 1:38 pm, Wed, 29 May 24