કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ (Nitin Gadkari) માર્ગ અકસ્માતો (Road Accident) ઘટાડવા માટે વિમાનના પાયલોટની જેમ વ્યાપારી ટ્રક ડ્રાઈવરો માટે ડ્રાઈવિંગનો સમય નક્કી કરવાની હિમાયત કરી છે.
આ ઉપરાંત, તેમણે કોમર્શિયલ વાહનોમાં ડ્રાઈવરને ઊંઘ આવી રહી છે તે ખબર પડી શકે તે માટે માટે સેન્સર લગાવવા પર પણ ભાર મૂક્યો હતો. મંગળવારે શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને ગડકરીએ કહ્યું કે પાઈલટની જેમ ટ્રક ડ્રાઈવરો માટે પણ ડ્રાઈવિંગના કલાકો નક્કી થવા જોઇએ. જે થાકને કારણે થતા માર્ગ અકસ્માતોમાં ઘટાડો કરશે.
તેમણે ટ્વીટ કર્યું હતું કે “મેં અધિકારીઓને યુરોપિયન ધોરણોને અનુરૂપ વ્યાપારી વાહનોમાં ડ્રાઈવિંગ કરતી વખતે સ્લીપ-ડિટેક્શન સેન્સર સંબંધિત નીતિ પર કામ કરવા કહ્યું છે.” તેમણે કહ્યું કે તેઓ જિલ્લા માર્ગ સમિતિઓની નિયમિત બેઠકો બોલાવવા મુખ્યમંત્રીઓ અને જિલ્લા કલેક્ટરને પત્ર લખશે.
અગાઉ મંગળવારે ગડકરીએ નેશનલ રોડ સેફ્ટી કાઉન્સિલ (NRSC)માં નોમિનેટ થયેલા નવા સભ્યો સાથે પરિચય બેઠકમાં હાજરી આપી હતી. મંત્રીએ કહ્યું કે તેમણે દર બે મહિને કાઉન્સિલની બેઠકનું આયોજન કરવાનો નિર્દેશ આપ્યો છે.
એક સત્તાવાર નિવેદન મુજબ બેઠક દરમિયાન સભ્યોએ માર્ગ સલામતી સુધારવા માટે ઘણા મહત્વના સૂચનો કર્યા. ગડકરીએ તમામ સભ્યોને માર્ગ સલામતીના વિવિધ ક્ષેત્રોમાં કામ કરવાનું સૂચન કર્યું, જેથી રસ્તાઓ પર વધુને વધુ જીવ બચાવી શકાય.
તેમણે મંત્રાલયના અધિકારીઓને એનઆરએસસીના સભ્યો સાથે ગાઢ સંકલનમાં કામ કરવા અને તેમની ભલામણોને પ્રાથમિકતાના ધોરણે અમલમાં મૂકવા કહ્યું. આ બેઠકમાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ રાજ્યમંત્રી જનરલ વીકે સિંહ અને મંત્રાલયના અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
ભારતમાં 2015થી 2019 દરમિયાન રસ્તાની લંબાઈ 17 ટકા વધી છે, જ્યારે રજિસ્ટર્ડ વાહનોમાં 41 ટકાનો વધારો નોંધાયો છે. 2019માં દેશમાં નોંધાયેલા વાહનોની સંખ્યા 41 ટકા વધીને 29.6 કરોડ થઈ છે. જે વર્ષ 2015માં આ સંખ્યા 21 કરોડ હતી.
બીજી બાજુ રસ્તાઓની લંબાઈ 17 ટકા વધીને 2019માં 63.9 લાખ કિ.મી થઈ છે, જે 2015માં 54.7 કિમી હતી. આ સમય દરમિયાન માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક ઘટી ગયો છે. 2015માં મૃત્યુઆંક 1,46,113 હતો. જે 2019માં 10 ટકા ઘટીને 1,31,714 પર આવી ગયો.