સસ્તા સ્વાસ્થ્ય વીમા ઉત્પાદનોની ગેરહાજરીમાં, દેશની ઓછામાં ઓછી 30 ટકા વસ્તી, એટલે કે 40 કરોડ લોકો પાસે વીમાના સ્વરૂપમાં કોઈ નાણાકીય સુરક્ષા નથી. નીતિ આયોગના એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. ‘હેલ્થ ઈન્સ્યોરન્સ ફોર ઈન્ડિયાઝ મિસિંગ મિડલ’ શીર્ષક હેઠળના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સ્વાસ્થ્ય વીમા કવરેજનું વિસ્તરણ એ સાર્વત્રિક સ્વાસ્થ્ય કવરેજ (Universal health coverage) હાંસલ કરવાના ભારતના પ્રયાસોમાં એક આવશ્યક પગલું છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “ઓછામાં ઓછી 30 ટકા વસ્તી એટલે કે 40 કરોડ લોકો સ્વાસ્થ્ય માટે કોઈપણ નાણાકીય સુરક્ષાથી વંચિત છે. રિપોર્ટમાં તેમને ‘મિસિંગ મિડલ’ કહેવામાં આવ્યા છે. ઓછી કિંમતના સ્વાસ્થ્ય વીમા ઉત્પાદનની ગેરહાજરીમાં, આ લોકો પાસે સસ્તું પ્રિમીયમ ચૂકવવાની ક્ષમતા હોવા છતાં સ્વાસ્થ્ય વીમો નથી. રિપોર્ટ અનુસાર, ‘મિસિંગ મિડલ’ એ એક વ્યાપક શ્રેણી છે જેમાં સ્વાસ્થ્ય વીમાનો અભાવ છે. તેઓ સીમાંત ગરીબ વર્ગો અને પ્રમાણમાં સમૃદ્ધ સંગઠિત ક્ષેત્ર વચ્ચેના લોકો છે.
2018 માં યોજનાની શરૂઆત
અહેવાલમાં જણાવાયું છે કે આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) સપ્ટેમ્બર 2018 માં શરૂ કરવામાં આવી હતી. જે રાજ્ય સરકારની યોજનાઓ સાથે ગરીબ વસ્તીના 50 ટકા એટલે કે લગભગ 70 કરોડ લોકોને હોસ્પિટલ સારવાર માટે વ્યાપક કવર પ્રદાન કરે છે.
આયુષ્માન ભારત યોજના દ્વારા 25 કરોડ લોકોનો વીમો
લગભગ 20 ટકા વસ્તી અથવા 25 કરોડ વ્યક્તિઓ સામાજિક સ્વાસ્થ્ય વીમા અને ખાનગી સ્વાસ્થ્ય વીમા દ્વારા આવરી લેવામાં આવે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, બાકીની 30 ટકા વસ્તી આરોગ્ય વીમાથી વંચિત છે. PMJAY માં હાલના કવરેજ ગેપ અને યોજનાઓ વચ્ચેના ડુપ્લિકેશનને કારણે વાસ્તવિક વીમાથી વંચિત વસ્તી વધારે છે.
સરકાર PMJAY જેવી નવી યોજના લાવવાનું વિચારી રહી છે
હાલમાં જ એક રિપોર્ટ આવ્યો હતો, જે મુજબ કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) જેવી બીજી કોઈ યોજના લાવી શકે છે. સરકારનું ધ્યાન દેશના તે 40 કરોડ લોકો પર છે જેમની પાસે કોઈ વીમો નથી. આ નવી યોજનામાં આ લોકોને વીમાનો લાભ આપવામાં આવી શકે છે. સરકારે આ માટે 21 વીમા કંપનીઓ પર વિચાર કર્યો છે, જે ખૂબ જ સસ્તા દરે (સબસિડી દરે) લોકોને વીમો ઉપલબ્ધ કરાવશે. આ પ્રોગ્રામ સૌપ્રથમ પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરી શકાય છે.
મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
40 કરોડ લોકો એવા છે જેમની પાસે મેડિકલ વીમાનું કવચ નથી. આવા લોકોને ‘મિસિંગ મિડલ’નું નામ આપવામાં આવે છે. એટલે કે અમીર અને ગરીબોમાં વીમા વગરના 40 કરોડ લોકો છે, જેમના માટે સરકાર નવી યોજના શરૂ કરી શકે છે. સરકારનું માનવું છે કે જો આ લોકોને વીમાનો લાભ નહીં આપવામાં આવે અને તેઓ કોરોના મહામારીમાં ફસાઈ જાય તો ઈમરજન્સીમાં આવા લોકો ગરીબીમાં જઈ શકે છે. જો કોઈ ગંભીર બિમારી થઈ જાય તો આ લોકોની વધારે મુડી સારવારમાં ખર્ચ થઈ જશે. જેથી તેમની જમાપુંજી વપરાય જશે.
Published On - 11:32 pm, Fri, 29 October 21