કેન્દ્રીય નાણાં મંત્રાલયે સોમવારે આવકવેરા ઈ-ફાઈલિંગ પોર્ટલ (E-Filing Portal)માં વિક્ષેપને લઈને મોટો નિર્ણય લીધો છે. નાણાં મંત્રાલયે પોર્ટલમાં આવતી તમામ ખામીઓને સુધારવા માટે 15 સપ્ટેમ્બરની સમયમર્યાદા નક્કી કરી છે. આ તારીખ સુધીમાં ઈન્ફોસિસે ઈ-ફાઈલિંગ પોર્ટલમાં તમામ ટેક્નિકલ ખામીઓને ઠીક કરવી પડશે. આ પહેલા સોમવારે નાણાં મંત્રાલયે IT કંપની ઈન્ફોસિસના MD અને CEO સલીલ પારેખને સમન્સ પાઠવ્યા હતા. પારેખ સોમવારે નાણામંત્રી સમક્ષ હાજર થયા અને પોતાની વાત રજૂ કરી.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) ટેક્સ પોર્ટલમાં ટેક્નિકલ ખામીને કારણે ઈન્ફોસિસના એમડી સલીલ પારેખ સામે નારાજગી વ્યક્ત કરી હતી. નાણામંત્રીએ આને જાહેર ચિંતા સાથે જોડ્યું તેમજ ખૂબ નિરાશાજનક પણ ગણાવ્યું. નિર્મલા સીતારમણે પોર્ટલની ખામીઓને સલીલ પારેખની સામે રાખતાં 15 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો હતો, આટલા સમયગાળામાં તમામ ખામીઓને સુધારવાની રહેશે. આ તારીખ પછી સરકાર પોર્ટલની કામગીરી અંગે કોઈ ફરિયાદ સાંભળવા માગતી નથી.
શું છે મામલો
લગભગ છેલ્લા બે મહિનાથી ઈ-ફાઈલિંગ પોર્ટલમાં સતત સમસ્યાઓ આવી રહી છે, કરદાતાઓ અને આઈસીએઆઈ તરફથી પણ ઘણી ફરિયાદો આવી છે. સરકારને વિનંતી કરવામાં આવી છે કે પોર્ટલની તમામ ખામીઓ દૂર કરવામાં આવે. છેલ્લા બે દિવસથી પોર્ટલ બંધ હતું, પરંતુ સોમવારે તે ફરી શરૂ થયું. જો કે, અગાઉની જેમ જ તેમાં સમસ્યા આવી રહી છે.
પોર્ટલનો મુદ્દો સંસદમાં પણ ઉઠાવવામાં આવ્યો હતો, જેના પર સરકારે તેને તાત્કાલિક ઠીક કરવાની ખાતરી આપી છે. વિક્ષેપને જોતા કેન્દ્રીય નાણાં મંત્રાલયે 22 ઓગસ્ટના રોજ ઈન્ફોસિસના એમડી અને સીઈઓ સલીલ પારેખને 23મી તારીખે હાજર થવાનો આદેશ આપ્યો હતો.
શું કહ્યું નાણામંત્રીએ?
સલીલ પારેખ સાથેની બેઠકમાં નાણામંત્રીએ ભાર મૂક્યો હતો કે ઈ-ફાઈલિંગ પોર્ટલની સરળ કામગીરી માટે ઈન્ફોસિસે વધુ સંસાધનોનું રોકાણ કરવાની જરૂર છે. ઈન્ફોસિસને વધુમાં વધુ પ્રયાસો કરવા કહેવામાં આવ્યું હતું, જેથી લોકોને ટેક્સ ભરવાની યોગ્ય સુવિધા મળી શકે.
15 સપ્ટેમ્બર સુધીમાં ઈન્ફોસિસે તમામ ખામીઓને સુધારવી પડશે, જેથી કરદાતાઓ અને વ્યાવસાયિકો ટેક્સ પોર્ટલ પર તેમનું કામ કોઈપણ અડચણ અને અવરોધ વિના કરી શકે. દેશની મોટી અને જાણીતી આઈટી કંપની ઈન્ફોસિસે આ પોર્ટલ તૈયાર કર્યું છે. સરકાર દ્વારા આ કામ માટે જાન્યુઆરી 2019થી જૂન 2021 વચ્ચે ઈન્ફોસિસને 164.5 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.
એક પ્રતિષ્ઠીત મીડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે પારેખ અને તેમની ટીમે આ મુદ્દાને ઉકેલવા માટે એક રૂપરેખા તૈયાર કરી હોવાનું માનવામાં આવે છે. આ પોર્ટલ 7 જૂનથી શરૂ કરવામાં આવ્યું હતું. તે જ સમયે, 21થી 22 ઓગસ્ટ સુધી પોર્ટલ મોડી સાંજ સુધી કામ કરતું ન હતું. તેણે 23 ઓગસ્ટથી કામ કરવાનું શરૂ કર્યુ.
ઈન્ફોસિસે જણાવ્યું હતું કે ‘ઈમરજન્સી મેઈન્ટેનન્સ’ને કારણે પોર્ટલ ઉપલબ્ધ નહોતું, પરંતુ બાદમાં કામ શરૂ થયું. આ બીજી વખત છે જ્યારે નાણામંત્રીએ ઈન્ફોસિસ ટીમ સાથે પોર્ટલના મુદ્દા પર ચર્ચા કરી છે. અગાઉ 22 જૂને તેમણે આ મુદ્દે ઈન્ફોસિસના સીઓઓ પ્રવીણ રાવ સાથે વાત કરી હતી.
ઈન્ફોસિસ સાથે કરવામાં આવ્યો છે કરાર
ઈન્ફોસિસ દ્વારા બનાવેલ નવું આવકવેરા પોર્ટલ www.incometax.gov.in 7 જૂનના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. શરૂઆતથી જ પોર્ટલ સાથે સમસ્યાઓ છે. તેના વપરાશકર્તાઓ સતત ફરિયાદ કરી રહ્યા છે કે કારણકે પોર્ટલ ઉપલબ્ધ નથી હોતું અથવા ખૂબ જ ધીરે ધીરે કામ કરી રહ્યું છે. તેને જોતા ટેક્સ વિભાગે રેમિટન્સ ફોર્મ મેન્યુઅલી ભરવાની મંજૂરી આપી છે.
ઉપરાંત ઈલેક્ટ્રોનિક રીતે ફોર્મ જમા કરવાની તારીખ લંબાવવામાં આવી છે. ઈન્ફોસિસને 2019માં આ પોર્ટલ બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. તેનો હેતુ રિટર્ન ફાઈલિંગનો સમયગાળો 63 દિવસથી ઘટાડીને એક દિવસ કરવાનો હતો. જૂન 2021 સુધી સરકારે પોર્ટલના વિકાસ માટે ઈન્ફોસિસને 164.5 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.
ઈન્ફોસિસ ઈન્ડિયાના બિઝનેસ યુનિટના ટ્વીટર હેન્ડલ ઈન્ફોસિસ ઈન્ડિયા બિઝનેસે રવિવારે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે ઈન્કમટેક્સ પોર્ટલ ઈમરજન્સી મેઈન્ટેનન્સમાં છે. જ્યારે આ પોર્ટલ ફરીથી ઉપલબ્ધ થશે, ત્યારે અમે કરદાતાને આ માહિતી ઉપલબ્ધ કરાવીશું. અમે આ અસુવિધા માટે દિલગીર છીએ.