MONEY9: શું શેર બજાર જોખમી લેવલે પહોંચી ગયું છે ?

|

Feb 18, 2022 | 7:00 PM

લિસ્ટેડ કંપનીઓનું બજાર મૂડીકરણ જીડીપીની સરખામણીમાં 116% ની રેકોર્ડ ઊંચાઇ પર પહોંચી ગયું છે. આ ચિંતાજનક આંકડો છે. તો શું આ લેવલે બજારમાં રોકાણ કરવું જોઇએ?

ભારતીય શેર બજાર (stock market) મોંઘા વેલ્યૂએશન (valuation)થી તપી રહ્યા છે. આ જ ચિંતામાં સૂર પુરાવતો નવો આંકડો છે લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ (market cap)નો, જે જીડીપીની સરખામણીમાં 116% ની રેકોર્ડ ઊંચાઇ પર પહોંચી ગયો છે. બજારમાં આવી વસંત આની પહેલાં 2007માં આવી હતી અને ત્યારબાદની પાનખર તો તમને યાદ હશે જ. દુનિયાના દિગ્ગજ રોકાણકાર વૉરેન બફે પણ આને મોંઘા વેલ્યૂએશનના પુસ્તકનું સૌથી મહત્વનું પાનું માને છે. મોંઘું વેલ્યુએશન એટલે કોઇ શેરનો ભાવ તેની હેસિયતથી વધારે, તેની હેસિયતમાં છુપાયો છે કંપનીનો નફો, કંપનીની નેટવર્થ અને દેશની જીડીપી.

લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપને દેશની જીડીપી સાથે ભાગવાથી મળતો આ આંકડો, શેર બજારના મોંઘા કે સસ્તા હોવાનો માપદંડ છે. જે 50% થી 75% ની વચ્ચે હોય તો માનવામાં આવે છે કે બજાર અંડરવેલ્યૂડ છે. એટલે કે કંપનીઓના શેર તેના ઉચિત ભાવથી નીચે છે. 75% થી 90%ની વચ્ચે હોય તો માનવામાં આવે છે કે વેલ્યૂએશન ઠીકઠાક છે. પરંતુ ખતરાની ઘંટડી વાગવાની ત્યારે શરૂ થાય છે જ્યારે તે 90% થી 115% ની વચ્ચે હોય. અત્યારે આપણે ઉભા છીએ 116% પર.

આ જ કારણ છે કે સ્ટૉક માર્કેટમાં ચાલી રહેલા ઉતાર-ચઢાવમાં તમામ કારણો વચ્ચે મોંઘા વેલ્યૂએશનની ચર્ચા સૌથી વધુ છે. આ જ કારણ આગળ ધરીને છેલ્લા 4 મહિનામાં નોમુરા, યૂબીએસ, ગોલ્ડમેન શાક્સ અને મોર્ગન સ્ટેનલે જેવા ગ્લોબલ ફંડ્સે ભારતીય શેરબજારને ડાઉનગ્રેડ કર્યું છે. તેમનું માનવું છે કે ભારતીય બજારમાં રિસ્ક રિવોર્ડ રેશિયો અનુકૂળ નથી. એટલે કે જેટલા નફાની આશા છે, જોખમ તેની સરખામણીમાં ઘણું વધારે છે.

આ જ રિપોર્ટ્સને વાંચીને વિદેશી રોકાણકાર શેર બજારમાંથી નીકળી રહ્યા છે. ઓક્ટોબરથી અત્યાર સુધીમાં લગભગ 80 હજાર કરોડથી વધુની વેચવાલી થઇ ચૂકી છે. તો ફેબ્રઆરીમાં આ આંકડો 7 હજાર કરોડથી વધારે છે.

જો કે ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ તેમને જોરદાર ટક્કર આપી રહ્યા છે. જિયોજીત ફાઇનાન્સિયલ સર્વિસિઝના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી.કે.વિજયકુમાર કહે છે કે ડોમેસ્ટિક રોકાણકારો શેર બજારના નવા હિરો છે. ત્યારે જો ટૂંકાગાળામાં શેર બજારમાં ઘટાડો થશે તો પણ તે બહુ મોટો નહીં હોય.

આ ચિંતાઓ તો થઇ નાના અને મધ્યમગાળાની…પરંતુ લાંબાગાળાના અનુમાનો લાંબા હોય છે. જેફરીઝના ગ્લોબલ હેડ ઑફ ઇક્વિટી સ્ટ્રેટેજી ક્રિસ્ટોફર વુડ કહે છે કે આવતા પાંચ વર્ષમાં સેન્સેક્સ 1 લાખની સપાટીએ પહોંચી શકે છે. ઊંચા વેલ્યૂએશન પછી પણ તેમનો તર્ક છે કે કંપનીઓના સારા પરિણામો અને મજબૂત આર્થિક વિકાસ બજારને તેજી અપાવી શકે છે. તેમનું કહેવું છે કે ભારતની કંપનીઓ એશિયામાં સૌથી સારો અર્નિંગ ગ્રોથ દર્શાવી શકે છે.

મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્સિયલ સર્વિસિઝના ચેરમેન રામદેવ અગ્રવાલ આવતા 10 વર્ષમાં સેન્સેક્સને 2 લાખ પર પહોંચતા જોઇ રહ્યા છે. તેઓ કહે છે કે આવું પહેલીવાર નહીં હોય કે બજાર 10 વર્ષમાં ચાર ગણું વધ્યું હોય. અગાઉ પણ આવુ થઇ ચૂક્યું છે. તેમનું આ અનુમાન 12 થી 13 ટકાના નોમિનલ જીડીપી ગ્રોથના આધારે છે. આ સમયગાળા દરમિયાન લોકોના ખર્ચ કરવાની ક્ષમતા 10 ગણી અને બચત કરવાની શક્તિ 4 ગણી વધવાની આશા છે.

વુડ અને રામદેવ અગ્રવાલ એમ બંન્ને કંપનીઓનો નફો 15 ટકાના દરે વધવાનું અનુમાન લગાવી રહ્યાં છે.
એટલે કે મોટી વાત એ છે કે ટુંકા અને મધ્યમ ગાળામાં ચિંતાઓ જરૂર છે પરંતુ લાંબાગાળા માટે રોકાણ કરનારા ચિંતામુક્ત રહી શકે છે.

આ પણ વાંચો:

MONEY9 : LICના IPOમાં કેટલું મળશે ડિસ્કાઉન્ટ ? કેટલી હશે શેરની ફેસ વેલ્યૂ ?

Next Video