
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં રોકાણના વલણમાં પરિવર્તન જોવા મળ્યું છે. રોકાણકારો શેરબજારમાં પહેલા કરતાં વધુ રસ લઈ રહ્યા છે અને પૈસા રોકાણ કરી રહ્યા છે. જો કે, સાયબર ગુનેગારો પણ આ વધતા વલણનો લાભ લઈ રહ્યા છે. આ સાયબર ગઠિયાઓ નવી-નવી રીતોનો ઉપયોગ કરીને લોકોને છેતરી રહ્યા છે.
છેતરપિંડી કરનારાઓ વોટ્સએપ અથવા અન્ય સોશિયલ મીડિયા દ્વારા રોકાણકારોને હાઈ રિટર્નની લાલચ આપે છે. તેઓ નકલી એપ અથવા વેબસાઇટ બનાવે છે, જે વાસ્તવિક ટ્રેડિંગ પ્લેટફોર્મ જેવી દેખાય છે. રોકાણકારને રોકાણ માટે પૈસા જમા કરાવવાનું કહેવામાં આવે છે પરંતુ પાછળથી ન તો નફો થાય છે અને ન તો પૈસા પાછા મળે છે.
ક્યારેક શરૂઆતના રોકાણ પર રિટર્ન આપવામાં આવે છે પરંતુ ત્યારબાદ રોકાણકારોને વધુ પૈસા રોકાણ કરવા માટે લલચાવે છે. જ્યારે રોકાણકારો મોટી રકમનું રોકાણ કરે છે, ત્યારે છેતરપિંડી કરનાર તેમના પૈસા લઈને ભાગી જાય છે.
આટલું જ નહીં, IPOના નામે પણ છેતરપિંડી થઈ રહી છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, ગુનેગારોએ તિરુપુરમાં રહેતા એક વ્યક્તિને IPOમાં પૈસા રોકાણ કરવા કહ્યું અને તેની સાથે છેતરપિંડી કરી દીધી.
વાત એમ છે કે, સાયબર ગુનેગારોએ તે વ્યક્તિને ‘Adit Pro’ નામની નકલી સંસ્થામાં રોકાણ કરવાનું કહ્યું અને હાઈ રિટર્નની લાલચ આપી. આ ગુનેગારોએ એક WhatsApp ગ્રુપ દ્વારા તે વ્યક્તિને શેરબજારની ટિપ્સ અને IPOમાં રોકાણ કરવાની ખોટી ટિપ્સ આપી.
સાયબર ક્રાઇમ વિભાગે જાહેર જનતાને અપીલ કરી છે કે, તેઓ આવી ઓનલાઈન જોબ કે રોકાણની ઓફરથી સાવધ રહે. સંપૂર્ણ માહિતી અને માન્યતા ન હોય તેવી સ્કીમમાં પડશો નહી. જો કોઈ વ્યક્તિ સાયબર છેતરપિંડીનો ભોગ બને છે, તો તે રાષ્ટ્રીય હેલ્પલાઈન નંબર 1930 પર કૉલ કરી શકે છે અથવા www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકે છે.