ખાનગી ક્ષેત્રની ઇન્ડસઇન્ડ બેંકે (Indusind Bank) બુધવારે જણાવ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED- Enforcement Directorate) ની તપાસ દરમિયાન જો તેનો કોઈ કર્મચારી કોઈપણ પ્રકારના ગેરકાયદે વ્યવહારમાં સંડોવાયેલો જણાશે તો તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. બેંકે સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં કહ્યું કે આ મામલો ચેન્નાઈમાં EDની પ્રાદેશિક કચેરીની તપાસ સાથે સંબંધિત છે. હકીકતમાં, 2011 અને 2014 વચ્ચે થયેલા આયાત સોદા માટે વિદેશમાં મોકલવામાં આવેલી કેટલીક કથિત અનિયમિતતાઓ તપાસ હેઠળ છે.
આ જૂના મામલામાં કેટલાક મીડિયા રિપોર્ટ્સ બાદ બેંકે આ સ્પષ્ટતા આપી છે. આ સમાચાર આવ્યા પછી, BSE (Bombay Stock Exchange)માં IndusInd Bankનો શેર 3.42 ટકા સુધી ગગડી ગયો. ઇન્ડસઇન્ડ બેન્કે જણાવ્યું હતું કે તેણે આ સમયગાળા દરમિયાન તેના સ્તરે અનેક શંકાસ્પદ વ્યવહારો અંગે નિયમનકારી અધિકારીઓને જાણ કરી હતી.
ઇન્ડસઇન્ડ બેંકે કહ્યું કે, વર્ષ 2015માં બેંકે કેટલીક કંપનીઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ કરી હતી. ઓક્ટોબર 2015માં આ બાબતની સમીક્ષા કર્યા બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંક પર દંડ પણ લગાવ્યો હતો. તેની માહિતી 28 જુલાઈ 2016ના રોજ સ્ટોક એક્સચેન્જને આપવામાં આવી હતી.
9 જુલાઈ, 2022 ના રોજ, EDએ આ જૂના કેસમાં ચેન્નાઈના એક પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે, જેમાં કેટલીક કંપનીઓ સિવાય ઇન્ડસઇન્ડ બેંકના કેટલાક કર્મચારીઓના નામ પણ સામેલ છે. બેંકે કહ્યું કે આમાંના મોટાભાગના કર્મચારીઓ હવે તેનો ભાગ નથી.
આ સાથે બેંકે કહ્યું કે, જો કોઈ કર્મચારી કોઈપણ પ્રકારના ગેરકાયદે વ્યવહારમાં સંડોવાયેલો જણાશે તો તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
જણાવી દઈએ કે ખાનગી ક્ષેત્રની ઇન્ડસઇન્ડ બેંક હિન્દુજા ગ્રુપની કંપની છે. ઇન્ડસઇન્ડ બેંકનું મુખ્ય મથક મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં આવેલું છે. બેંકના વર્તમાન CEO સુમંત કઠપાલિયા છે. બેંકે વર્ષ 2020માં સુમંત કઠપાલિયાને ઈન્ડસઈન્ડ બેંકના સીઈઓ તરીકે નિયુક્ત કર્યા હતા.