ઈન્ડિગોના એરક્રાફ્ટ મેઈન્ટેનન્સ ટેકનિશિયનો ઓછા વેતનના (Salary) વિરોધમાં છેલ્લા બે દિવસ દરમિયાન હૈદરાબાદ અને દિલ્હીમાં રજા પર ઉતરી ગયા છે. પીટીઆઈના અહેવાલ મુજબ સૂત્રોએ રવિવારે આ માહિતી આપી છે. 2 જુલાઈના રોજ, ઈન્ડિગોની લગભગ 55 ટકા ડોમેસ્ટિક ફ્લાઈટ્સ (Domestic Flights) વિલંબિત થઈ હતી કારણ કે મોટી સંખ્યામાં ક્રૂ મેમ્બરોએ ખરાબ તબિયતને કારણે રજા લીધી હતી. ઉડ્ડયન ઉદ્યોગના (Aviation Industry) સૂત્રોએ જણાવ્યું હતું કે આ કર્મચારીઓ એર ઈન્ડિયાની ભરતી અભિયાનમાં સામેલ થવા ગયા હતા.
જ્યારે કોવિડ-19 મહામારી ચરમસીમા પર હતો, ત્યારે ઈન્ડિગોએ તેના કર્મચારીઓના મોટા વર્ગના પગારમાં કાપ મૂક્યો હતો. નવી એરલાઇન અકાસા એર, જેટ એરવેઝ અને ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાએ ભરતી પ્રક્રિયા શરૂ કરી છે અને તેનાથી ઉડ્ડયન ઉદ્યોગમાં હલચલ મચી ગઈ છે.
સૂત્રોએ જણાવ્યું કે છેલ્લા બે દિવસ દરમિયાન ઇન્ડિગોના ઘણા ટેકનિશિયન ખરાબ તબિયતનું કારણ આપીને રજા પર ઉતરી ગયા હતા. જેથી ઓછા વેતનના વિરોધને કારણે કોઈપણ શિસ્તભંગના પગલાં ન લઈ શકાય. ઈન્ડિગોએ આ બાબતે નિવેદન માટે પીટીઆઈની વિનંતીનો જવાબ આપ્યો ન હતો.
આ સિવાય તમને જણાવી દઈએ કે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ની કડકાઈથી ઈન્ડિગો એરલાઈનની ફ્લાઈટ્સના સમયમાં મોટો સુધારો જોવા મળી રહ્યો છે. થોડા દિવસો પહેલા ડીજીસીઆઈએ ઈન્ડિગો ફ્લાઈટમાં વિલંબને લઈને એરલાઈન કંપનીને નોટિસ પાઠવી તેનો જવાબ માંગ્યો હતો. ઘણી ફ્લાઇટમાં વિલંબ અંગે નોટિસ જાહેર કરવામાં આવી હતી.
આ પછી ગયા રવિવારે, ઈન્ડિગોના 71.8% વિમાનોએ સમયસર ઉડાન ભરી. જ્યારે, એક દિવસ પહેલા શનિવારના રોજ, સમયસર ફ્લાઇટની ટકાવારી માત્ર 45.2% હતી. ઓટીપી અથવા ઓનટાઇમ પરફોર્મન્સ એ એરલાઇન્સ માટે એક તકનીકી શબ્દ છે જે દર્શાવે છે કે કઈ એરલાઇન સમયસર ફ્લાઇટના નિયમોનું પાલન કરે છે. ઈન્ડિગોના OTPમાં રવિવારે 32.9% નો સુધારો જોવા મળ્યો છે. તેનું મુખ્ય કારણ ડીજીસીઆઈની નોટિસ છે, જેમાં ફ્લાઈટ મોડી થવા અંગે જવાબ માંગવામાં આવ્યો હતો.