
દુનિયાના લગભગ 200થી વધુ દેશોમાં ભારતની દવાઓ પહોંચે છે અને આખા વિશ્વની અડધાથી વધુ દવાઓ ભારતમાંથી પસાર થાય છે. કોવિડ 19 મહામારી પછી ભારત વેક્સિન ઉત્પાદનમાં પણ અગ્રેસર બન્યુ છે. જ્યાં વિશ્વની લગભગ 60% વેક્સિન (વોલ્યુમ મુજબ) ભારતમાં બને છે. પરંતુ આ ભવ્ય સફળતાની પાછળ એક એવું સત્ય છુપાયેલું છે જે ભારતની સુરક્ષા અને અર્થતંત્ર માટે ચિંતાનો વિષય છે. ભારત સરકારની થિંક ટેન્ક ‘નીતિ આયોગ’ એ ચેતવણી આપી છે કે દવાઓ બનાવવા માટેના મુખ્ય રો મટિરિલ, એટલે કે API (એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ) માટે ચીન પર ભારતની નિર્ભરતા અત્યંત જોખમી છે.
ભારતીય ફાર્મા ઉદ્યોગે છેલ્લા બે દાયકામાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. 2023-24માં ભારતની ફાર્મસી રેવન્યુ 50 બિલિયન ડોલર સુધી પહોંચી છે અને 2030 સુધીમાં તે 130 બિલિયન ડોલર થવાનો અંદાજ છે. ભારતની દવાઓની નિકાસમાં વર્ષ 2000થી અત્યાર સુધીમાં 16 ગણો વધારો થયો છે.
વોલ્યુમ (જથ્થા) ની દૃષ્ટિએ ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે, પરંતુ વેલ્યુ (કિંમત) ની દૃષ્ટિએ તે 11મા કે 13મા ક્રમે આવે છે. આનો અર્થ એ છે કે ભારત મોટા પ્રમાણમાં સસ્તી દવાઓ બનાવે છે, પરંતુ મોંઘી પેટન્ટેડ દવાઓનું પ્રમાણ ઓછું છે. ભારતમાં દવા બનાવતા મુખ્ય શહેરોમાં વડોદરા, અમદાવાદ, અંકલેશ્વર, વાપી, બડ્ડી અને સિક્કિમ જેવા શહેરો દવા ઉત્પાદનના મુખ્ય હબ તરીકે ઉભરી આવ્યા છે.
દવાની દુનિયામાં API એટલે કે ‘એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ’ એ મુખ્ય ઘટક છે જે બીમારી સામે લડે છે. દાખલા તરીકે, જો તાવ માટે પેરાસિટામોલની ગોળી લેવામાં આવે, તો તેમાં ‘પેરાસિટામોલ’ પોતે એક API છે જે શરીર પર અસર કરે છે. આ API માં અન્ય પદાર્થો Excipients મિક્સ કરીને ને તેને ગોળી કે સિરપનું સ્વરૂપ આપવામાં આવે છે. ભારતની સૌથી મોટી નબળાઈ એ છે કે આપણે દવાઓ તો બનાવીએ છીએ, પરંતુ તેના માટેનો કાચો માલ એટલે કે API મોટાભાગે ચીનથી આયાત કરીએ છીએ. જો આપણે દવાની સરખામણી એક ઓરડા સાથે કરીએ, તો API એ આખો ઓરડો છે જે આપણે ચીનથી તૈયાર મંગાવીએ છીએ અને અહીં માત્ર તેનું પેકેજિંગ કે ફિનિશિંગ કરીએ છીએ.
નીતિ આયોગની ચિંતાનું મુખ્ય કારણ એ છે કે ભારત પોતાની જરૂરિયાતના 65% થી 84% API ચીનથી મંગાવે છે. એમોક્સિસિલિન, એઝિથ્રોમાસીન જેવી એન્ટિબાયોટિક્સથી લઈને પેરાસિટામોલ અને વિટામિન સહિતની દવાઓ માટે આપણે ચીન પર નિર્ભર છીએ. નીતિ આયોગના વાઈસ ચેરમેન અશોક કુમાર લાહૌટીએ ચેતવણી આપી છે કે ‘તમારા બધા ઈંડા એક જ ટોપલીમાં ન રાખો’ Don’t Put your all eggs in one Basket. જેનો અર્થ એ છે કે જો બાસ્કેટ તૂટી ગઈ તો તમારો બધો માલ ખરાબ થઈ જશે મતલબ સ્પષ્ટ છે કે જો ભવિષ્યમાં ચીન સાથેના સંબંધો વણસે અને તે API નો પુરવઠો બંધ કરી દે, તો ભારતની ‘ફાર્મસી ઓફ ધ વર્લ્ડ’ ગણાતી ફેક્ટરીઓ રાતોરાત બંધ થઈ શકે છે. ચીન આજે માત્ર કાચો માલ જ નથી વેચતું, પણ તે વૈશ્વિક ફાર્મા સપ્લાય ચેઈનનો અસલી ‘કિંગ’ બનીને બેઠું છે.
ભારત પોતે API કેમ નથી બનાવતું? તેનું મુખ્ય કારણ કિંમત છે. ચીનમાં API ભારત કરતા 30% સસ્તું પડે છે.ચીને દવા ઉત્પાદન માટે મોટા ‘ક્લસ્ટરો’ બનાવ્યા છે. જ્યાં વીજળી, પાણી, પરિવહન અને કાચો માલ બધું જ એકસાથે અને સસ્તા દરે ઉપલબ્ધ છે. ત્યાંની સરકાર કંપનીઓને ટેક્સમાં મોટી રાહતો અને સબસિડી આપે છે, તેમજ પોતાની કરન્સીનું મૂલ્ય ઘટાડીને નિકાસને પ્રોત્સાહન આપે છે.
ભારત મુખ્યત્વે જેનરિક દવાઓ બનાવે છે. જેનેરિક દવા એટલે એવી દવા જેની મૂળ શોધ બીજી કોઈ કંપનીએ કરી હોય અને તેની પેટન્ટ પૂરી થયા પછી ભારત તેની કોપી બનાવીને સસ્તા ભાવે વેચે છે. ભારતની મુખ્ય સમસ્યા R&D માં ઓછું રોકાણ છે. ઈરાન જેવા દેશો તેમની GDP ના 4% સંશોધન પાછળ ખર્ચે છે, જ્યારે ભારત માત્ર 2% થી પણ ઓછો ખર્ચ કરે છે. આયર્લેન્ડ જેવા નાના દેશો ભારત કરતા વધુ કિંમતની દવાઓ નિકાસ કરે છે કારણ કે તેઓ પેટન્ટેડ દવાઓ પર ધ્યાન આપે છે. ભારત માત્ર એક ‘પેકેજિંગ યુનિટ’ બનીને રહી ન જાય તે માટે આપણે આપણી પોતાની પેટન્ટ અને સંશોધન વધારવા પડશે.
આ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભારત સરકારે કમર કસી છે.
ભારતીય ફાર્મા ઉદ્યોગ આજે એક મહત્વપૂર્ણ વળાંક પર છે. આપણી પાસે કુશળતા અને મોટું બજાર છે, પરંતુ જો આપણે અસલી ‘વૈશ્વિક લીડર’ બનવું હોય, તો ચીન પરની નિર્ભરતા ઘટાડવી અનિવાર્ય છે. નીતિ આયોગની સલાહ મુજબ, ભારતે હવે માત્ર ‘કોપી’ કરવાને બદલે ‘નવું શોધવા’ (R&D) પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. જો ભારત પોતાના API અને પેટન્ટેડ દવાઓ વિકસાવવામાં સફળ રહેશે, તો જ તે સાચા અર્થમાં આત્મનિર્ભર અને વૈશ્વિક મહાસત્તા બની શકશે.