કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) કહ્યું છે કે જો બાઈડેન (Joe Biden) વહીવટીતંત્ર તેમજ અમેરિકાના કોર્પોરેટ ક્ષેત્રના દિગ્ગજોએ ભારત સરકારના સુધારાઓને ખૂબ જ સકારાત્મક પગલા ગણાવ્યા છે. નાણામંત્રીએ કહ્યું કે ખાસ કરીને અમેરિકાની કંપનીઓ પૂર્વવર્તી તારીખથી રિટ્રોસ્પેક્ટિવ ટેક્સ નાબૂદ કરવાના નિર્ણયથી ખૂબ જ ખુશ છે.
ઓગસ્ટમાં સંસદ દ્વારા બિલ પસાર કરીને પાછલી તારીખથી રિટ્રોસ્પેક્ટિવ ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત ટેક્સ વિભાગને 50 વર્ષથી વધુ જૂના કેસોમાં પણ કેપિટલ ગેઈન ટેક્સ વસૂલવાની સત્તા આપવામાં આવી હતી. આ કાયદો રદ્દ થયા બાદ સરકારે હવે કંપનીઓ પાસેથી પાછલી તારીખોના રિટ્રોસ્પેક્ટિવ ટેક્સ દ્વારા વસુલ કરવામાં આવેલી રકમ પરત કરવી પડશે. આ માટે કંપનીઓએ આવા કેસોમાં સરકાર સામેના તમામ કાનૂની કેસ પણ પાછા ખેંચવા પડશે.
સીતારામને કહ્યું, “અમે જે સુધારા કર્યા છે, ખાસ કરીને પૂર્વવર્તી કરને નાબૂદ કરવાનો નિર્ણય યુએસ વહીવટીતંત્રે તેને ખૂબ જ સકારાત્મક પગલું ગણાવ્યું છે.” સીતારામને શુક્રવારે પોતાની યુએસ મુલાકાતના વોશિંગ્ટન ડીસીના સમાપન સમયે પત્રકારોને જણાવ્યું હતું કે કોર્પોરેટ જગતે પણ આ નિર્ણયની પ્રશંસા કરી છે.
વોશિંગ્ટનથી નાણામંત્રી ન્યૂયોર્ક જશે, જ્યાં તે વેપારી સમુદાય સાથે ચર્ચામાં ભાગ લેશે. તે પછી તે ભારત આવવા રવાના થશે. સીતારમણે સોમવારે બોસ્ટનથી તેમની એક સપ્તાહની યાત્રા શરૂ કરી હતી. અમેરિકા સાથેના વ્યાપાર કરાર અંગેના સવાલના જવાબમાં સીતારમણે કહ્યું કે, હું રોકાણ પ્રોત્સાહન કરાર પર વિચાર કરી રહી છું. આ માટે અમારી પાસે ડિસેમ્બર સુધીનો સમય છે.
નાણામંત્રીએ કહ્યું કે અમે આ અંગે ચર્ચા કરી છે. બંને દેશો આ અંગે સંવાદને આગળ વધારવા માંગે છે અને શક્ય તેટલી વહેલી તકે તેને પૂર્ણ કરવા માંગે છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી વેપારના મોટા મુદ્દાનો પ્રશ્ન છે તો આ પર વાણિજ્ય મંત્રાલય અમેરિકાના પોતાના સમકક્ષની સાથે મળીને કામ કરી રહ્યું છે. આમાં હું ઉંડાણ પૂર્વક સામેલ નથી.
કોવિડ -19 મહામારી બાદ સીતારમણની આ પ્રથમ યુ. એસ. મુલાકાત છે. આ પહેલા વાણિજ્ય અને સંરક્ષણ મંત્રી તરીકે તેમણે ભારત-યુએસ વ્યૂહાત્મક સંબંધોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) અને વિશ્વ બેંકની વાર્ષિક બેઠકોમાં હાજરી આપવા ઉપરાંત નાણામંત્રીએ તેમની અમેરિકાની મુલાકાત દરમિયાન ભારતના આર્થિક પુનરુત્થાન પર ભાર મૂક્યો હતો. સાથે જ તેમણે ભારત સરકારના લાંબા ગાળાના સુધારાઓ માટે પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી છે.