શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે બુધવારે સંસદમાં જણાવ્યું હતું કે ભારત દ્વારા આપવામાં આવતી નાણાકીય સહાય ચેરિટી નથી અને દેશને આ દેવાની ચૂકવણી કરવા માટે એક યોજના બનાવાની જરૂર છે. વડાપ્રધાને સંસદમાં પુનરોચ્ચાર કર્યો કે શ્રીલંકા ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. શ્રીલંકા 1948માં તેની આઝાદી પછીના સૌથી ખરાબ આર્થિક સંકટ (Economic crisis)નો સામનો કરી રહ્યું છે, જેના કારણે ત્યાં ખોરાક, દવા, રાંધણ ગેસ અને ઈંધણ જેવી આવશ્યક ચીજવસ્તુઓની તીવ્ર અછત છે. ભારત શ્રીલંકા (Sri Lanka)માં સ્થિતિ બગડે નહીં તે માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે અને ઈંધણની સપ્લાય કરી રહ્યું છે. જો કે હજુ પણ સ્થિતિ ગંભીર છે. વિક્રમસિંઘેએ સંસદને માહિતી આપી હતી કે ભારતીય રિઝર્વ બેંકના વરિષ્ઠ અધિકારીઓની એક ટીમ કોલંબો પહોંચી રહી છે અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરશે.
વિક્રમસિંઘેએ સંસદમાં જણાવ્યું કે અમે ભારતીય ધિરાણ રેખા હેઠળ યુએસ 4 બિલિયન ડોલરની લોન લીધી છે. અમે અમારા ભારતીય સમકક્ષો પાસેથી વધુ ક્રેડિટ સપોર્ટની વિનંતી કરી છે, પરંતુ ભારત પણ અમને આ રીતે સતત સમર્થન આપી શકશે નહીં. તેમની મદદની પણ મર્યાદા હોય છે. બીજી તરફ આ લોનની ચૂકવણી કરવાની અમારી પાસે પણ યોજના હોવી જોઈએ. આ સખાવતી દાન નથી. તેમણે સંસદને આર્થિક સંકટનો સામનો કરવા માટે સરકાર દ્વારા અત્યાર સુધી લેવામાં આવેલા પગલાં વિશે જણાવ્યું. વડાપ્રધાને કહ્યું કે ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ઉચ્ચ અધિકારીઓની એક ટીમ સ્થાનિક આર્થિક સ્થિતિનું મૂલ્યાંકન કરવા ગુરુવારે કોલંબો પહોંચશે. વિક્રમસિંઘેએ જણાવ્યું હતું કે શ્રીલંકા હવે માત્ર બળતણ, ગેસ, વીજળી અને ખોરાકની અછત કરતાં વધુ ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે.
વિક્રમસિંઘેએ કહ્યું કે શ્રીલંકાની હવે એકમાત્ર આશા આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ પાસેથી છે. ફંડ એકત્ર કરવા માટે દેશ સતત IMF સાથે વાત કરી રહ્યો છે. જો કે લોન આપતા પહેલા IMF લોનની ચુકવણી અને અર્થતંત્રની પુનઃપ્રાપ્તિ માટેની યોજનાઓની ખાતરી કરવા માંગે છે. વડાપ્રધાને કહ્યું કે આપણી અર્થવ્યવસ્થા સંપૂર્ણ પતનનો સામનો કરી રહી છે. આજે આપણી સામે આ સૌથી ગંભીર મુદ્દો છે. આ મુદ્દાઓ શ્રીલંકાના અર્થતંત્રને પુનર્જીવિત કરીને જ ઉકેલી શકાય છે. આ કરવા માટે આપણે સૌ પ્રથમ વિદેશી વિનિમય અનામતની કટોકટીને સમાધાન કરવુ જરૂરી.