
દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ વચ્ચે હવે ફરી એકવાર તેમને GSTના દાયરામાં લાવવાની માંગ તેજ બની છે. છેલ્લા કેટલાક દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વારંવાર વધારો થતાં અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ ₹100ને પાર પહોંચી ગયો છે. દિલ્હીમાં 23 મેના રોજ પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ₹99.51 સુધી પહોંચી ગયો હતો. વધતા ઇંધણના ભાવને કારણે સામાન્ય માણસના ખિસ્સા પર સીધી અસર પડી રહી છે.
આ સ્થિતિ વચ્ચે ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીએ કેન્દ્ર સરકારને પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લાવવાની અપીલ કરી છે. સંસ્થાના અધ્યક્ષ બ્રિજેશ ગોયલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને જણાવ્યું છે કે ઇંધણ પર હાલ ખૂબ વધારે કર વસૂલવામાં આવી રહ્યો છે, જેના કારણે લોકો પર વધારાનો આર્થિક બોજ પડી રહ્યો છે.
બ્રિજેશ ગોયલના જણાવ્યા પ્રમાણે, હાલમાં પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્ર અને રાજ્ય સરકારો અલગ-અલગ કર વસૂલે છે. દિલ્હીમાં પેટ્રોલનો મૂળ ભાવ માત્ર ₹66.29 પ્રતિ લિટર છે, પરંતુ તેના પર કેન્દ્ર સરકાર ₹11.90 એક્સાઇઝ ડ્યુટી અને દિલ્હી સરકાર ₹16.03 VAT વસૂલે છે. સાથે જ ડીલર માર્જિન ₹4.42 ઉમેરાતા પેટ્રોલનો અંતિમ ભાવ ₹99.51 સુધી પહોંચી જાય છે.
એજ રીતે ડીઝલ પર પણ ભારે કર વસૂલવામાં આવે છે. દિલ્હીમાં ડીઝલનો મૂળ ભાવ ₹67.36 છે, જ્યારે તેના પર એક્સાઇઝ ડ્યુટી, VAT અને ડીલર માર્જિન મળીને લગભગ ₹24 જેટલો વધારાનો ખર્ચ ઉમેરાય છે.
વિશેષજ્ઞોના મતે, જો પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લાવવામાં આવે તો ભાવમાં મોટો ઘટાડો શક્ય બની શકે છે. હાલ પેટ્રોલ પર લાગતા વિવિધ કર દૂર કરીને જો 18 ટકા GST લાગુ કરવામાં આવે, તો દિલ્હીમાં પેટ્રોલનો ભાવ લગભગ ₹78 પ્રતિ લિટર સુધી આવી શકે છે. એટલે કે હાલના ભાવની સરખામણીએ લગભગ ₹22નો ઘટાડો થઈ શકે છે.
ગણતરી મુજબ, પેટ્રોલનો મૂળ ભાવ ₹66.29 છે. તેના પર 18 ટકા GST લગાવવામાં આવે તો આશરે ₹11.93નો કર લાગશે. આ રીતે પેટ્રોલનો કુલ ભાવ લગભગ ₹78.22 પ્રતિ લિટર થાય છે. હાલના ₹99.51ના ભાવની સરખામણીએ આ નોંધપાત્ર રાહત ગણાય.
ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીનું કહેવું છે કે જ્યારે 2017માં GST લાગુ કરવામાં આવ્યો હતો ત્યારે “એક દેશ, એક કર”નો વિચાર રજૂ થયો હતો. પરંતુ પેટ્રોલ અને ડીઝલ હજુ પણ GSTની બહાર હોવાથી દરેક રાજ્ય પોતપોતાના દરે VAT વસૂલે છે. પરિણામે અલગ-અલગ રાજ્યોમાં ઇંધણના ભાવમાં મોટો ફરક જોવા મળે છે.
જો પેટ્રોલ અને ડીઝલ GST હેઠળ આવે, તો દેશભરમાં ઇંધણના ભાવમાં એકરૂપતા આવશે અને સામાન્ય લોકોને મોંઘવારીમાંથી મોટી રાહત મળી શકે છે. હવે જોવાનું એ રહેશે કે કેન્દ્ર સરકાર આ માંગ પર શું નિર્ણય લે છે.
ગુજરાતમાં દારૂબંધી.. અન્ય રાજ્યોની સરકાર દારૂમાંથી કેટલી કમાણી કરે?