Breaking News: અનિલ અંબાણી ગ્રુપની વધુ ₹1,021 કરોડની સંપત્તિ જપ્ત, કુલ આંકડો ₹20,000 કરોડને પાર

મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) 'રિલાયન્સ' અનિલ અંબાણી ગ્રુપ વિરુદ્ધ વધુ એક કાર્યવાહી હાથ ધરી છે. હોમ ફાઇનાન્સ અને કોમર્શિયલ ફાઇનાન્સ કંપનીઓ સાથે જોડાયેલા કથિત બેંક ફંડ ડાયવર્ઝન મામલે એજન્સીએ ગ્રુપની વધુ 1,021 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. આ નવી કાર્યવાહી સાથે જ અત્યાર સુધીમાં જપ્ત કરાયેલી કુલ સંપત્તિનો આંકડો 20,000 કરોડ રૂપિયાને પાર પહોંચી ગયો છે.

Breaking News: અનિલ અંબાણી ગ્રુપની વધુ ₹1,021 કરોડની સંપત્તિ જપ્ત, કુલ આંકડો ₹20,000 કરોડને પાર
Image Credit source: AI Generated
| Updated on: Jul 11, 2026 | 9:11 PM

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) ‘રિલાયન્સ’ અનિલ અંબાણી ગ્રુપ વિરુદ્ધ ચાલી રહેલી મની લોન્ડરિંગ તપાસમાં વધુ એક મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ (RHFL) અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ (RCFL) સંબંધિત કેસમાં 1,021 કરોડ રૂપિયાની નવી સંપત્તિ જપ્ત કરી લીધી છે.

આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કરવામાં આવી છે. આ નવી કાર્યવાહી પછી રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપ વિરુદ્ધ ED દ્વારા અત્યાર સુધીમાં જપ્ત કરવામાં આવેલી કુલ સંપત્તિની કિંમત 20,367 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

શું છે સમગ્ર મામલો?

EDના જણાવ્યા અનુસાર, આ સમગ્ર મામલાની તપાસ સીબીઆઈ (CBI) દ્વારા નોંધવામાં આવેલી અનેક એફઆઈઆર (FIR) ના આધારે શરૂ થઈ હતી. આ FIR જાહેર અને ખાનગી ક્ષેત્રની અનેક બેંકોની ફરિયાદો બાદ નોંધવામાં આવી હતી.

તપાસમાં અત્યાર સુધી સામે આવ્યું છે કે, RHFL અને RCFL એ બેંકો અને અન્ય સંસ્થાઓ પાસેથી એકત્રિત કરેલા આશરે 15,548 કરોડ રૂપિયાના જાહેર નાણાંને સુઆયોજિત (Well-Planned) રીતે ડાયવર્ટ કર્યા હતા.

તપાસ એજન્સીનો આરોપ છે કે, આ નાણાં શેલ કંપનીઓ અને રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપ સાથે જોડાયેલી અનેક કંપનીઓના નેટવર્ક દ્વારા આમ-તેમ મોકલવામાં આવ્યા હતા.

ED ના જણાવ્યા અનુસાર, આ વખતે જે સંપત્તિઓને એટેચ કરવામાં આવી છે. તેમાં રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ પાસે રહેલા રિલાયન્સ પાવર લિમિટેડના ઇક્વિટી શેર જોડાયેલ છે. આ ઉપરાંત સાસન પાવર લિમિટેડ અને રિલાયન્સ પાવર લિમિટેડ પાસેથી મળવાપાત્ર કેટલીક લોનની રકમ (Loan Receivables) ને પણ એટેચ કરવામાં આવી છે. એજન્સીનું કહેવું છે કે, આ સંપત્તિઓ કથિત રીતે ગુનાની કમાણી સાથે જોડાયેલી છે.

અત્યાર સુધીમાં 80 થી વધુ સ્થળોએ દરોડા

તપાસ એજન્સીએ જણાવ્યું કે, રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપ વિરુદ્ધ હાલમાં PMLA હેઠળ ચાર કેસ નોંધાયેલા છે, જ્યારે FEMA હેઠળ ત્રણ અલગ-અલગ કેસ પણ નોંધવામાં આવ્યા છે. આ કેસોની તપાસ દરમિયાન ઈડી અત્યાર સુધીમાં 80 થી વધુ સ્થળોએ દરોડા પાડી ચૂકી છે. આ દરોડામાં મોટી સંખ્યામાં દસ્તાવેજો, ડિજિટલ રેકોર્ડ અને નાણાકીય લેવડદેવડ સંબંધિત મહત્વના પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે.

અદાલતમાં 4 ચાર્જશીટ દાખલ

ઈડીએ એ પણ જણાવ્યું કે, PMLA હેઠળ અત્યાર સુધીમાં ચાર ચાર્જશીટ અદાલતમાં દાખલ કરવામાં આવી ચુકી છે, જ્યારે FEMA હેઠળ એક ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. આ સિવાય FEMA ની જોગવાઈઓ હેઠળ 77.86 કરોડ રૂપિયાની સંપત્તિ પણ એટેચ કરવામાં આવી ચુકી છે.

8 વરિષ્ઠ અધિકારીઓ અને નજીકના સહયોગીઓની ધરપકડ

આ સમગ્ર મામલામાં તપાસ એજન્સી અત્યાર સુધીમાં રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપના આઠ વરિષ્ઠ અધિકારીઓ અને નજીકના સહયોગીઓની ધરપકડ કરી ચૂકી છે. ઈડીના જણાવ્યા અનુસાર, તમામ આરોપીઓ હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે અને તેમની સાથે જોડાયેલી નાણાકીય લેવડદેવડની તપાસ હજુ પણ ચાલુ છે.

હવે આગળ શું?

ઈડીએ તેના નિવેદનમાં જણાવ્યું છે કે, સુપ્રીમ કોર્ટના આદેશના પાલનમાં એક વિશેષ તપાસ ટીમ (Special Investigation Team – SIT) ની રચના કરવામાં આવી છે. આ એસઆઈટી (SIT) આ કેસોની ઝડપી તપાસ કરી રહી છે અને નાણાંના કથિત દુરુપયોગ, મની લોન્ડરિંગ અને નાણાકીય ગેરરીતિઓની સંપૂર્ણ આયોજનબદ્ધ કાવતરાની વિગતો શોધવામાં જોતરાયેલી છે.

તપાસ એજન્સીનું કહેવું છે કે, આ મામલો દેશના સૌથી મોટા નાણાકીય ગેરરીતિ અને બેંકિંગ ફંડ ડાયવર્ઝન કેસોમાંનો એક છે. તપાસ હજુ ચાલુ છે અને આગામી સમયમાં આ મામલે વધુ કાર્યવાહી થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

Breaking News: કાચા તેલની અછત નહીં સર્જાય! દેશની તેલ રિઝર્વ ક્ષમતા વધારવા માટે સરકારે લીધો ‘મોટો નિર્ણય’

Follow Us