નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) કહ્યું છે કે બેન્કો (ખાનગી ક્ષેત્ર સહિત) ઝડપથી ડિજિટલાઈઝેશન અપનાવે, જેથી સરકારી યોજનાઓનો લાભ સમાજના ગરીબ અને પછાત વર્ગ સુધી પહોંચે. તમિલનાડ મર્કન્ટાઈલ બેંકની શતાબ્દી ઉજવણીને સંબોધતા નાણામંત્રીએ રવિવારે જણાવ્યું હતું કે મહામારી દરમિયાન બેન્કિંગ પ્રતિનિધિઓ દ્વારા ડિજિટલાઈઝેશનનો ઉપયોગ કરીને જરૂરિયાતમંદ લોકોની વિગતોની ચકાસણી કર્યા પછી સરકારની નાણાકીય સહાય તેમના સુધી પહોંચી શકે છે.
નાણામંત્રીએ કહ્યું કે “પ્રધાનમંત્રી જાણે છે કે બેન્કિંગ મહત્વનું છે. તેથી જન ધન યોજના અંતર્ગત ઝીરો બેલેન્સ બેંક ખાતાને મંજૂરી આપતા પણ તેઓ અચકાયા ન હતા. તેઓએ સુનિશ્ચિત કર્યું કે દરેક વ્યક્તિનું બેંક ખાતું હોય અને તે રૂપે કાર્ડ (RuPay Card) દ્વારા વ્યવહાર કરી શકે. સીતારમણે કહ્યું કે સરકાર દ્વારા કોવિડ -19 રોગચાળા દરમિયાન જરૂરિયાતમંદ લોકોના બેંક ખાતામાં ત્રણ હપ્તામાં 1500 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને ડિજિટલાઈઝેશન દ્વારા બેન્કિંગ ક્ષેત્ર ખૂબ ઝડપથી બદલાઈ રહ્યું છે”.
નાણામંત્રીએ કહ્યું કે આજે એવી જગ્યાએ બેન્ક શાખા ખોલવાની જરૂર નથી જ્યાં બેંક નથી. આજે આપણે ત્યાં રહેતા લોકોના બેંક ખાતા સુધી પહોંચીએ છીએ. તમામ પ્રકારની ટેકનોલોજી ઉપલબ્ધ છે. ઘરમાં બેસીને પણ એક નાના ગામમાં રહેતા વ્યક્તિની ટેકનોલોજી દ્વારા બેંકિંગની જરૂરિયાતો પૂરી કરી શકે છે. તેમણે કહ્યું કે આજે તમિલનાડ મર્કન્ટાઈલ બેંક જેવી બેંકો માટે ટેકનોલોજી સંબંધિત ઉકેલો અપનાવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી તે વધુ કાર્યક્ષમ બને.
સીતારમણે કહ્યું કે બેંકિંગ માટે વિશાળ સંભાવનાઓ રહેલી છે. હું માનું છું કે ડિજિટાઈઝેશન પૂર્ણ હોવું જોઈએ. ડિજિટલાઈઝેશન તમારા પોતાના અને ગ્રાહકોના દૃષ્ટિકોણથી આવશ્યક છે. તમિલનાડ મર્કન્ટાઈલ બેંકે તેના તમામ ગ્રાહકોને તેની સાથે જોડવા જોઈએ અને નાણાકીય સમાવેશનો અમલ કરવો જોઈએ.
નાણામંત્રી સીતારમણે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ તમિલનાડ મર્કન્ટાઈલ બેંકના એક લાભાર્થીને નાણાકીય સહાય આપ્યા બાદ કહ્યું કે તમે એક એવી મહિલાને ચેક આપી રહ્યા છો જે ઈડલી વેચવાનો વ્યવસાય કરી રહી છે. તમે આ નાણાકીય સહાય એટલે આપી શક્યા કારણ કે પ્રધાનમંત્રી જન ધન જેવી યોજના છે. જો આ યોજના ન હોત તો તમે આ સહાય પૂરી પાડી શક્યા ન હોત. આ એટલા માટે શક્ય બન્યું કારણ કે 2014માં પ્રધાનમંત્રી જન ધન યોજના શરૂ કરવામાં આવી.
આ પણ વાંચો : સ્વદેશી Social Media એપ Koo આગામી એક વર્ષમાં મોટા પાયે નોકરી આપશે, કંપનીમાં કર્મચારીઓની સંખ્યા 500 સુધી વધારાશે