રશિયા(Russia ) અને યુક્રેન (Ukraine ) વચ્ચેના યુદ્ધ તેમજ ડોલરના ભાવ વધવા જેવા અન્ય બીજા કારણોસર હીરા ઉદ્યોગમાં (Diamond Industry )પોલિશડ ડાયમંડનું વેચાણ ઘટી ગયું છે. જેના કારણે સુરતના નાના તથા મધ્યમ હીરા કારખાનેદારોએ ફેક્ટરીમાં તારીખ 22 મે સુધીનું વેકેશન જાહેર કરી દીધું હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ રશિયા અને યુક્રેન યુદ્ધની અસર સીધી જ સુરતના હીરા ઉદ્યોગ પર પણ પડી છે. અમેરિકાએ લાગુ પડેલા પ્રતિબંધોથી આંતરરાષ્ટ્રીય સ્તરે પોલીશડ ડાયમંડનું વેચાણ ઘટવાની સાથે રશિયાથી રફ હીરા આવતા બંધ થઇ જતા રફ ડાયમંડના ભાવો વધી જવા પામ્યા છે.
આ ઉપરાંત ડોલરના ભાવ પણ વધતા વેપારીઓ તેમજ કારખાનેદારોને રફ હીરા ખરીદવા હવે મોંઘા પડી રહ્યા છે. તેવા સંજોગોમાં નાના તથા મધ્યમ હીરા કારખાનેદારોને વધુ નુકસાની સહન ન કરવી પડે, તેમજ આર્થિક બોજો ન આવે તે માટે ત્રણ અઠવાડિયાનું વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. અને આ જાહેરાતના બોર્ડ નાના તેમજ મધ્યમ કારખાનામાં લગાવવામાંઆવ્યા છે. સાથે જ આ બોર્ડ સોશિયલ મીડિયામાં પણ ખુબ વાયરલ થયા હતા.
નાના અને મધ્યમ હીરા કારખાનેદારો દ્વારા તારીખ 22 મે સુધી સંપૂર્ણ વેકેશન જાહેર કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છેતેમજ તારીખ 23 બાદ હીરાના કારખાનાઓ શરૂ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. જો કે 23 મે બાદ પણ હીરાના નાના તથા મધ્યમ હીરા કારખાનાઓ શરૂ થશે કે નહીં એ વિષે કશું પણ કહેવું હાલ મુશ્કેલ જણાઈ રહ્યું છે તેવું હીરા ઉદ્યોગકારો જણાવી રહ્યા છે.
રત્નકલાકાર સંઘના પ્રમુખના જણાવ્યા અનુસાર હાલ તો આને મંદીના જ અણસાર કહી શકાય. કારણ કે મોટા ભાગના નાના હીરા ઉદ્યોગકારો પાસે કામ નથી. જેના કારણે વેકેશન પાડવું પડી રહ્યુ છે. જેમાં રત્નકલાકારોની હાલત સૌથી વધારે કફોડી થઇ જવા પામી છે. કામના અભાવે તેમની રોજગારી સામે મોટો પ્રશ્ન આવનારા દિવસોમાં ઉભો થશે એવું કહીએ તો પણ ખોટું નથી. આ પરિસ્થિતિ પર સરકારે ધ્યાન આપવાની જરૂર છે.