
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ આજે 12 મે અને મંગળવારના રોજ, સર્વોદય સહકારી બેંકનું લાઇસન્સ રદ કરી નાખ્યું છે. ભારતીય રિઝર્વ બેંકે આ કાર્યવાહી કેમ કરવામાં આવી છે તેના કારણોમાં, બેંકની અપૂરતી મૂડી, ઓછી કમાણીની સંભાવનાઓ અને બેંકિંગ નિયમન કાયદાની જોગવાઈઓનું પાલન ના કરવાનો ઉલ્લેખ કર્યો. RBI એ જણાવ્યું હતું કે, આ સહકારી બેંક 12 મે, 2026 થી બેંકિંગ વ્યવસાય કરવાનું બંધ કરશે. સહકાર કમિશનર અને સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર, મહારાષ્ટ્રને પણ બેંકને બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરવા અને લિક્વિડેટરની નિમણૂક કરવામાં જણાવવામાં આવ્યું છે.
RBI ના મતે, બેંક પાસે પૂરતી મૂડી અને કમાણીની સંભાવનાઓનો અભાવ હતો, અને બેંકિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ અનેક નિયમનકારી આવશ્યકતાઓનું પાલન કરવામાં નિષ્ફળ રહી હતી. RBI એ વધુમાં જણાવ્યું હતું કે બેંકને કામગીરી ચાલુ રાખવાની મંજૂરી આપવી એ થાપણદારોના હિત અને જાહેર હિત માટે હાનિકારક હશે. RBI એ નોંધ્યું હતું કે, તેની વર્તમાન નાણાકીય સ્થિતિને જોતાં, બેંક તેના હાલના થાપણદારોને સંપૂર્ણ ચુકવણી કરી શકશે નહીં. તેણે એમ પણ ઉમેર્યું હતું કે જો બેંકને તેનો બેંકિંગ વ્યવસાય ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવે, તો તેની જાહેર હિત પર પ્રતિકૂળ અસર પડશે. તેનું લાઇસન્સ રદ કર્યા પછી, બેંકને તાત્કાલિક અસરથી બેંકિંગ વ્યવસાય કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે – જેમાં થાપણોની સ્વીકૃતિ અને ચુકવણીનો સમાવેશ થાય છે.
RBI એ જણાવ્યું હતું કે, થાપણદારો ડિપોઝિટ ઇન્શ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) તરફથી રૂપિયા 5 લાખ સુધીના થાપણ વીમા દાવા મેળવવા માટે હકદાર રહેશે. બેંક દ્વારા સબમિટ કરાયેલા ડેટા અનુસાર, જે તારીખે વ્યાપક નિર્દેશો લાગુ થયા તે તારીખે, આશરે 98.36 ટકા થાપણદારો DICGC પાસેથી તેમની થાપણોની સંપૂર્ણ રકમ મેળવવા માટે પાત્ર હતા. DICGC એ 31 માર્ચ, 2026 સુધીમાં વીમાકૃત થાપણો માટે રૂપિયા 26.72 કરોડ ચૂકવી દીધા હતા.