તહેવારોની સિઝન આવી ગઈ છે અને આ સમયે તમને તમામ પ્રકારની ખરીદી પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ઘણી જગ્યાએ કોઈ ચોક્કસ બેંકના ક્રેડિટ કાર્ડ (Credit Card)નો ઉપયોગ કરવા માટે ખાસ છૂટ મળતી હોય છે. આ છૂટને કારણે ઘણી વખત આપણે આપણી ક્ષમતા કરતાં વધુ ખર્ચ કરી નાખીએ છીએ. જેના ગંભીર પરિણામો ભોગવવા પડતા હોય છે. આવી સ્થિતિમાં જો તમે આવી કોઈ મુશ્કેલીથી બચવા માંગો છો તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
જ્યારે તમે ક્રેડિટ કાર્ડથી ખરીદી કરો છો, ત્યારે હંમેશા ધ્યાનમાં રાખો કે તમે માત્ર એટલી જ ખરીદી કરો જેટલી તમે ચુકવણી કરી શકો. એવી પરિસ્થિતિ ઉભી ન થવા દો જેના કારણે તમારે મિનિમમ બેલેન્સ પેમેન્ટ સાથે કામ ચલાવવુ પડે અને તેના બદલે વ્યાજ તરીકે મોટી રકમ ચૂકવવી પડે. મિનિમમ ડ્યુ અમાઉન્ટ આઉટ સ્ટેન્ડીંગ બેલેન્સના 5 ટકા હોય છે. જો કે, આમાં EMI શામેલ નથી. ન્યૂનતમ રકમ ચૂકવવા પર કોઈ દંડ લાગતો નથી, જોકે વ્યાજ ચૂકવવું પડે છે.
કોરોના સંકટમાંથી અર્થતંત્ર બહાર આવી રહ્યું છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે આ તહેવારોની મોસમ બજાર માટે શાનદાર રહેશે. માંગમાં બમ્પર વૃદ્ધિની પણ અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ હોવા છતાં બિનજરૂરી વસ્તુઓ ખરીદવાનું ટાળો. યાદ રાખો કે જો તમે વૈભવી વસ્તુ ખરીદો છો તો તેમાં સરળતાથી વિલંબ કરી શકો છો.
તમને ક્રેડિટ કાર્ડથી રોકડ ઉપાડવાની સુવિધા પણ મળે છે. જોકે તે એકદમ ખર્ચાળ છે. આવી સ્થિતિમાં ભૂલીને પણ ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ઉપાડવાની ભૂલ ન કરો. રોકડ ઉપાડવા માટે ઘણા પ્રકારના ચાર્જ છે અને વ્યાજ દર પણ ખૂબ ઉંચો હોય છે. આવી સ્થિતિમાં તમારી એક ભૂલને કારણે કુલ વધારાની રકમમાં નોંધપાત્ર વધારો થશે.
જ્યારે તમે ક્રેડિટ કાર્ડમાંથી ખર્ચ કરો છો, ત્યારે તમને ખર્ચના બદલામાં રિવોર્ડ પોઈન્ટ મળે છે. જોકે, તેની એક્સપાયરી ડેટ પણ હોય છે. આવી સ્થિતિમાં ક્રેડિટ કાર્ડમાંથી તમને મળતા રિવોર્ડ પોઈન્ટ પર નજર રાખો અને સમયાંતરે તેનો ઉપયોગ કરતા રહો.
આ ઉપરાંત, ક્રેડીટ યુટીલાઈઝેશન રેશીયો પર પણ ધ્યાન આપો. પૈસાબજારના સાહિલ અરોરા કહે છે કે CIBIL સ્કોરમાં સુધારો કરવા માટે ક્યારેક કાર્ડ ધારકો વધારે પડતો ખર્ચ કરે છે. જો ક્રેડીટ યુટીલાઈઝેશન રેશીયો 30 ટકાથી વધુ હોય તો ક્રેડિટ બ્યુરો તેના પર ખાસ નજર રાખે છે અને CIBIL સ્કોર ઘટાડી પણ શકે છે.
આ પણ વાંચો : વિશ્વ બેંકે કહ્યું – ભારતીય અર્થતંત્ર 8.3 ટકાના દરે વૃદ્ધિ કરશે