કોરોનાકાળમાં લોન્ચ થયેલા મોટાભાગના IPO સારું ભંડોળ એકત્ર કરવામાં સફળ રહયા છે. આ દરમ્યાન LIC ના IPO ની રોકાણકારો રાહ જોઇ રહ્યા છે. IPO લાવવા માટે સરકારે તૈયારીઓ પણ તેજ કરી દીધી છે. એક અનુમાન મુજબ છે કે આ મહિને મર્ચન્ટ બેન્કર્સ માટે બિડ્સ મંગાવવામાં આવી શકે છે. LIC IPO દેશનો સૌથી મોટો IPO છે.
સૂત્રોએ કહ્યું છે કે LICની વેલ્યુએશન આગામી કેટલાક સપ્તાહમાં કરવામાં આવશે. વીમા કંપનીઓના હાલના મૂલ્યની સાથે ભાવિ નફા તેની ચોખ્ખી સંપત્તિ મૂલ્ય (NAV) માં ઉમેરવામાં આવે છે. થોડી અસમયમાં મર્ચન્ટ બેંકર્સની નિમણૂક માટે બિડ મંગાવવામાં આવશે. આ અંગે સંસ્થાકીય રોકાણકારો સાથે વાટાઘાટો ચાલી રહી છે.
જાન્યુઆરી 2022 સુધીમાં IPO આવી શકે છે
સૂત્રોના જણાવ્યા અનુસાર IPOને નવેમ્બરના અંત સુધીમાં નિયમનકારી મંજૂરી મળે તેવી સંભાવના છે. LICનો IPO જાન્યુઆરી 2022 સુધી આવી શકે છે. માનવામાં આવે છે કે તે અત્યાર સુધીનો દેશનો સૌથ મોટો IPO છે. સરકાર ખાધને પહોંચી વળવા LICનો હિસ્સો વેચવા માંગે છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને નાણાકીય વર્ષ 2020-21ના કેન્દ્રીય બજેટ દરમિયાન LICના IPOનો ઉલ્લેખ કર્યો હતો. એલઆઈસીનો 10 ટકા ઇશ્યૂ પોલિસીધારકો માટે અનામત રહેશે.
LICની સંપત્તિ 32 લાખ કરોડ છે
LICના વાર્ષિક અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2019-20માં LICની કુલ અંદાજિત સંપત્તિ લગભગ 32 લાખ કરોડ રૂપિયા અથવા $ 439 અબજ ડોલરની હતી. જીવન વીમા બજારમાં એલઆઈસીનો હિસ્સો લગભગ 69 ટકા છે.
ચેરમેનનો કાર્યકાળ વધારાયો
LIC IPO પહેલા કેન્દ્ર સરકારે ભારતીય જીવન વીમા નિગમ (LIC) ના ચેરમેનની નિવૃત્તિ વયમર્યાદા વધારીને 62 વર્ષ કરી છે. આ માટે ભારતીય જીવન વીમા નિગમ (કર્મચારી) નિયમો, 1960 માં સુધારો કરવામાં આવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં LICની ઇનિશિયલ પબ્લિક ઓફર (IPO) લાવવાની યોજના છે. 30 જૂન, 2021 ના રોજ સરકારે જાહેર કરેલા જાહેરનામા અનુસાર નિયમોમાં કરવામાં આવેલા ફેરફારને જીવન વીમા નિગમ (ભારતીય કર્મચારી) સુધારણા નિયમો કહેવાશે.