GST ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગ્સ (AAR)ની મહારાષ્ટ્ર (Maharashtra) બેન્ચે હળદર (turmeric) પર 5% ટેક્સ લાદવાનો આદેશ આપ્યો છે. હળદરને કૃષિ ઉત્પાદન તરીકે ગણવા અને તેને GSTમાંથી મુક્તિ આપવા માટે આ મામલો બેન્ચ સમક્ષ લાવવામાં આવ્યો હતો. સમાચાર એ છે કે GST-AARએ પોતાના નિર્ણયમાં હળદરને બિન-કૃષિ ઉત્પાદન (non-agricultural product) જાહેર કર્યું છે. કારણ કે ખેડૂતો પહેલા કાચી હળદરને ઉકાળે છે અને પછી સૂકવીને પોલીશ કરીને બજારમાં વેચે છે. તેથી તેને મસાલા ગણીને તેના પર 5 ટકા જીએસટી લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પરંતુ, આ નિર્ણય GST-AARની ગુજરાત બેન્ચના નિર્ણયથી તદ્દન વિરુદ્ધ છે. જેમાં હળદરને કૃષિ ઉત્પાદન ગણીને કરમાંથી મુક્તિ આપવામાં આવી હતી. તાજેતરમાં કર્ણાટક બેન્ચે કાચા ઈંડાને કૃષિ ઉત્પાદન ગણીને તેને GSTમાંથી મુક્તિ આપી છે. હવે ચાલો તમને જણાવીએ કે મામલો શું છે. ગુજરાતની એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)માં નોંધાયેલા કમિશન એજન્ટ નીતિન બાપુસાહેબ પાટીલ ખેડૂતો અને વેપારીઓની હાજરીમાં હળદરની હરાજી કરતા હતા.
ડીલ કન્ફર્મ થાય ત્યારે તેઓ વેપારીઓ પાસેથી 3 ટકા કમિશન મેળવતા હતા. પાટીલ દ્વારા તેમના કામને જીએસટીમાંથી મુક્તિ મળશે કે કેમ તે અંગે જાણવા માટે AARમાં અરજી દાખલ કરવામાં આવી હતી. પાટીલ GST-AAR બેન્ચ સમક્ષ તે સાબિત કરવામાં નિષ્ફળ ગયા કે ખેડૂતો પોતાના ખેતરમાં મશીનની મદદથી હળદરની ખાસ પ્રક્રિયા કરે છે. તેથી, બેન્ચે તેને કૃષિ ઉત્પાદન તરીકે ગણવાનો ઈનકાર કર્યો હતો.
28 જૂન, 2017ના નોટિફિકેશન મુજબ કોઈપણ પ્રક્રિયા વિના માત્ર કૃષિ અને પશુપાલન (ઘોડા સિવાય)માંથી મેળવેલા ઉત્પાદનોને જ કૃષિ પેદાશ તરીકે ગણવામાં આવે છે. ખેડૂત અથવા ઉત્પાદકને ફક્ત આવી પ્રક્રિયા કરવાની મંજૂરી આપવામાં આવી છે, જે ઉત્પાદનને તેની મૂળ સ્થિતિમાં કોઈપણ ફેરફાર કર્યા વિના વધુ માર્કેટેબલ બનાવે છે.
આ પણ વાંચો : Mukesh Ambani એ દેશની સૌથી મોટી કંપનીના ઉત્તરાધિકાર મામલે પહેલીવાર નિવેદન આપ્યું, જાણો શું કહ્યું અંબાણીએ