સંકષ્ટી ચતુર્થીનું (sankashti chaturthi) વ્રત એ ગજાનન ગણેશની પરમ કૃપાની પ્રાપ્તિ કરાવનારું છે. આજે તારીખ 21 જાન્યુઆરી, શુક્રવારના રોજ ભક્તોને આ જ વ્રતનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. કહે છે કે આજના દિવસે વિધિ વિધાન સાથે કરેલી ગણેશ પૂજા વ્યક્તિનું ભાગ્ય બદલી દે છે. તેના જીવનના તમામ કષ્ટ અને અવરોધોને દૂર કરી દે છે અને તેની કામનાઓને પણ પરિપૂર્ણ કરી દે છે. સંકષ્ટીની ગણેશ પૂજા અત્યંત ફળદાયી મનાય છે. ત્યારે આવો આજે તે વિશે જ વિગતે માહિતી મેળવીએ.
દરેક મહિનાના વદ પક્ષની ચતુર્થી તિથિ એ સંકટ ચતુર્થી કે સંકષ્ટી ચતુર્થી તરીકે ઓળખાય છે. ગણપતિના ભક્તો આ દિવસે વ્રત રાખતા હોય છે અને ચંદ્ર દર્શન બાદ જ ઉપવાસ પૂર્ણ કરીને ભોજન ગ્રહણ કરે છે. આજના દિવસે વ્રત કરનાર ભક્ત દિવસ દરમ્યાન માત્ર ફળ ગ્રહણ કરી શકે છે. એવી પણ માન્યતા છે કે સંકટ ચતુર્થી જીવનના તમામ સંકટ દૂર કરવાવાળી છે.
⦁ સૌપ્રથમ સંકટ ચતુર્થીના દિવસે નિત્ય ક્રિયામાંથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો.
⦁ પૂજા માટે ભગવાન ગણેશની પ્રતિમાને ઇશાન ખૂણામાં એક બાજોઠ પર સ્થાપિત કરો.
⦁ બાજોઠ પર પીળા રંગનું વસ્ત્ર પાથરો.
⦁ ભગવાન સામે હાથ જોડીને પૂજા અને વ્રત કરવાનો સંકલ્પ લો.
⦁ ત્યારબાદ જળ, અક્ષત, દૂર્વા, પુષ્પ, લાડુ, પાન, ધૂપ આદિ વિનાયકને અર્પણ કરો.
⦁ અક્ષત અને પુષ્પ લઇને ગણેશજીને અર્પણ કરો અને તે જ સમયે તમારી મનોકામના પણ અભિવ્યક્ત કરો.
⦁ ત્યારબાદ એક થાળીમાં કેળનું પાન ગોઠવો. આ પાન પર કંકુ વડે એક ત્રિકોણ બનાવો.
⦁ ત્રિકોણના અગ્ર ભાગ પર ઘીનો દિપક મૂકો. તેની સાથે મસૂરની દાળ અને 7 સૂકા લાલ મરચા મૂકો.
⦁ સંકષ્ટીએ વિઘ્નહર્તાને બુંદીના લાડુ કે ચુરમા લાડુનો ભોગ જરૂરથી લગાવો.
⦁ ત્યારબાદ “ૐ ગં ગણપતયે નમઃ” મંત્રનો 108 વખત જાપ કરો.
માન્યતા અનુસાર આ પ્રકારના સંકષ્ટી પૂજનથી એકદંતા ચોક્કસથી પ્રસન્ન થાય છે. અને ભક્તના જીવનના સંકટોનો નાશ કરી દે છે. તો આ વ્રતમાં ચંદ્ર દર્શનનો પણ સવિશેષ મહિમા છે.
સમય- રાત્રેે 9.25 કલાકે
ઉલ્લેખનીય છે કે સંકષ્ટી ચતુર્થીનું વ્રત એ ચંદ્રમાના દર્શન બાદ જ પૂર્ણ મનાય છે. એટલે કે ચંદ્ર દર્શન બાદ જ આપ ઉપવાસ છોડીને અન્ન ગ્રહણ કરી શકો છો. ત્યારે ચંદ્ર દર્શન સમયે ચંદ્રમાને પણ અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ. સવિશેષ કૃપા અર્થે દૂધમાં મધ, ચંદન અને કંકુ મિશ્રિત કરીને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ. તેમજ તેમને પણ લાડુનો ભોગ લગાવીને પછી તેને પ્રસાદ રૂપે ગ્રહણ કરવો જોઈએ.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચો : પૂજા સમયે મંદિરમાં શા માટે વગાડવામાં આવે છે ઘંટ ? જાણો તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ
આ પણ વાંચો : ગણેશજીના 12 નામનું સ્મરણ દૂર કરશે જીવનના તમામ વિધ્નો
Published On - 6:59 am, Fri, 21 January 22