Gayatri Mantra : તમે કયા સમયે અને કઈ રીતે કરો છો ગાયત્રી મંત્રનો જાપ ? જાણી લો, આ ખાસ નિયમ
ગાયત્રી મંત્રના (Gayatri mantra) જાપ માટે ત્રણ સમય જ સર્વોત્તમ છે. આ સમય દરમિયાન તમે મુખેથી મોટા અવાજમાં ઉચ્ચારણ કરીને મંત્રનો જાપ કરી શકો છો. પણ, આ ત્રણ સમય સિવાય જો ગાયત્રી મંત્રનો જાપ કરવો હોય તો તે મૌન રહીને જ કરવો જોઈએ !
ગાયત્રી માતાને (goddess gayatri) વેદમાતા માનવામાં આવે છે. કહે છે કે તેમના મંત્રમાં સમસ્ત વેદોના સાર સમાન શક્તિ સમાયેલી છે ! શાસ્ત્ર અનુસાર જોઈએ તો ગાયત્રી મંત્ર (gayatri mantra) એ વેદોનો સર્વશ્રેષ્ઠ મંત્ર છે. આ મંત્રમાં સમસ્ત પાપોનો નાશ કરવાની શક્તિ છે ! ગાયત્રી મંત્રના ઉચ્ચારણથી જીવનમાં ખુશીઓનું આગમન થાય છે. આ મંત્રના જાપથી શરીર નિરોગી રહે છે. તેનાથી મનુષ્યને યશ, પ્રસિદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે ! ગાયત્રી મંત્ર દ્વારા પ્રાપ્ત થતા આ અનેક પ્રકારના લાભને લીધે જ લોકો આસ્થા સાથે મંત્રનો જાપ કરતા હોય છે ! પણ, વાસ્તવમાં ગાયત્રી મંત્રના જાપ માટે ત્રણ સમય જ શ્રેષ્ઠ છે ! અને આજે આ ત્રણ શ્રેષ્ઠ સમય વિશે જ વાત કરવી છે.
।। ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ।।
ગાયત્રી મંત્ર એ તો સૌથી સિદ્ધ મંત્ર મનાય છે. કહે છે કે આ સિદ્ધ મંત્રના જાપથી જ મનુષ્ય અનેક પ્રકારની સિદ્ધિઓની પ્રાપ્તિ કરી શકે છે ! બાળપણથી આપણે બધાં જ આ મંત્રને સાંભળતા આવ્યા છીએ. આ મંત્રનો જાપ કરતા આવ્યા છીએ. બાળકોને પણ અન્ય કોઈ મંત્ર આવડતો હોય કે ન આવડતો હોય, પણ, ગાયત્રી મંત્ર તો આવડતો જ હોય. પણ, શું આટલાં વર્ષોમાં તમે એ જાણવાનો પ્રયાસ કર્યો છે કે ગાયત્રી મંત્રના જાપ માટે સર્વ શ્રેષ્ઠ સમય કયો છે ? આખરે, કયા સમયે મંત્રજાપ કરવાથી શ્રેષ્ઠતમ ફળની પ્રાપ્તિ કરાવશે માતા ગાયત્રી ? આવો આજે તે વિશે વિગતે જાણીએ.
ગાયત્રી મંત્રના જાપ માટે શ્રેષ્ઠ સમય
⦁ ગાયત્રી મંત્રના જાપ માટેનો સૌથી સર્વોત્તમ સમય છે સૂર્યોદય પૂર્વેનો ! કહે છે કે પ્રાતઃકાળમાં સૂર્યોદય પૂર્વે ગાયત્રી મંત્રના જાપનો પ્રારંભ કરવો જોઈએ. અને સૂર્યોદય થઈ ગયા બાદ સુધી આ મંત્રજાપ સતત ચાલુ રાખવા જોઈએ.
⦁ ગાયત્રી મંત્રના જાપ માટેનો બીજો શ્રેષ્ઠ સમય છે મધ્યાહનનો ! એટલે કે, તમે બપોરના સમયે પણ ગાયત્રી મંત્રનો જાપ કરી શકો છો. જે તમને શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ કરાવતા હોવાની માન્યતા છે.
⦁ ગાયત્રી મંત્રના જાપ માટે ત્રીજો શ્રેષ્ઠ સમય છે સાંજનો ! આ માટે સૂર્યાસ્ત થાય તે પૂર્વેથી મંત્રજાપની શરૂઆત કરવી જોઈએ. અને સૂર્યાસ્ત થઈ ગયા બાદ સુધી આ મંત્રજાપ ચાલુ રાખવા જોઈએ !
લૌકિક માન્યતા અનુસાર ગાયત્રી મંત્રના જાપ માટે આ ત્રણ સમય જ સર્વોત્તમ છે. આ સમય દરમિયાન તમે મુખેથી મોટા અવાજમાં ઉચ્ચારણ કરીને મંત્રનો જાપ કરી શકો છો. પણ, આ ત્રણ સમય સિવાય જો ગાયત્રી મંત્રનો જાપ કરવો હોય તો તે મૌન રહીને જ કરવો જોઈએ ! એટલે કે જોરથી અવાજ કર્યા સિવાય માનસિક રૂપે જ મંત્રજાપ કરવો જોઈએ.
આમ જોઈએ તો આ ખૂબ જ નાની બાબતો છે. પણ આ નાની બાબતો જ તમને દેવી ગાયત્રીની સર્વોત્તમ કૃપાને પ્રાપ્ત કરાવવામાં મદદરૂપ બની રહેશે. તો હવે જ્યારે ગાયત્રી મંત્રનો જાપ કરો ત્યારે જાપ માટેના શ્રેષ્ઠ સમયને ચોક્કસપણે યાદ રાખજો.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)