AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhakti: ઉત્પત્તિ એકાદશી એટલે દેવી એકાદશીનો જન્મદિવસ ! જાણો, કેવી રીતે થયું અગિયારસ માતાનું પ્રાગટ્ય ?

શ્રીવિષ્ણુએ વરદાન દેતાં તે કન્યાને કહ્યું કે, "આજથી દરેક એકાદશીએ મારી સાથે તારી પણ પૂજા થશે. જે ભક્ત એકાદશીનું વ્રત રાખશે તે સમગ્ર પાપોથી મુક્ત થઈ જશે."

Bhakti: ઉત્પત્તિ એકાદશી એટલે દેવી એકાદશીનો જન્મદિવસ ! જાણો, કેવી રીતે થયું અગિયારસ માતાનું પ્રાગટ્ય ?
એકાદશી પ્રાગટ્ય
TV9 Bhakti
| Edited By: | Updated on: Nov 29, 2021 | 7:33 AM
Share

સમગ્ર વર્ષ દરમિયાન આવતા વ્રત અને તિથિઓમાં એકાદશીના (ekadashi) વ્રતની આગવી જ મહત્તા છે. કારણ કે તે શ્રીહરિની પરમકૃપાને પ્રાપ્ત કરાવનારો અવસર મનાય છે. આમ તો સમગ્ર વર્ષ દરમિયાન કુલ ચોવીસ એકાદશી આવતી હોય છે. તેમજ અધિક માસના સંજોગોમાં એકાદશીની સંખ્યા 26 થઈ જાય છે. જો કે, આ તમામ એકાદશીઓ મધ્યે ઉત્પત્તિ એકાદશીની (Utpatti Ekadashi) આગવી જ મહત્તા છે.

ગુજરાતી પંચાંગ અનુસાર જોઈએ તો કારતક માસના વદ પક્ષની એકાદશી એ ઉત્પત્તિ એકાદશી તરીકે પ્રસિદ્ધ છે. શાસ્ત્રોમાં આ એકાદશીનું ઉત્પન્ના એકાદશી તેમજ કન્યા એકાદશી તરીકે પણ વર્ણન જોવા મળે છે. વાસ્તવમાં આ તિથિ એ દેવી એકાદશીનો પ્રાગટ્ય દિવસ છે. એટલે કે આ જ તિથિએ દેવી એકાદશીનો જન્મ થયો હોવાની માન્યતા છે. અને એટલે જ કહે છે કે આ તિથિએ વ્રત કરવાથી ભક્તને સવિશેષ લાભની પ્રાપ્તિ થાય છે. આ વર્ષે આ તિથિ 30 નવેમ્બર, મંગળવારના રોજ છે. ત્યારે આવો જાણીએ કે કેવી રીતે થયું દેવી એકાદશીનું પ્રાગટ્ય !

એકાદશીની પ્રાગટ્ય કથા પદ્મપુરાણમાં ઉત્પન્ના એકાદશીના પ્રાગટ્યની કથા છે. તે અનુસાર સતયુગમાં મુર નામના રાક્ષસે દેવતાઓને પરાજિત કરી સ્વર્ગ પર આધિપત્ય જમાવી દીધું. એટલું જ નહીં, સૌને પરેશાન કરી તેણે ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો. મુરના ત્રાસથી મુક્તિ અર્થે દેવતાઓ અને ઋષિમુનિઓ મહાદેવની શરણમાં ગયા. ત્યારે, મહેશ્વરે તેમને શ્રીહરિની શરણમાં જવા કહ્યું. દેવો અને ઋષિઓ શ્રીવિષ્ણુ પાસે પહોંચ્યા. શ્રીહરિ અને અસુરો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. જે વર્ષો સુધી ચાલ્યું. શ્રીવિષ્ણુએ મુરના સેંકડો સૈનિકોનો વધ કરી દીધો અને પછી તે વિશ્રામ માટે બદ્રિકાશ્રમની એક ગુફામાં જતા રહ્યા. સૈનિકોના વધથી ક્રોધિત થયેલો મુર પણ બદ્રિકાશ્રમ પહોંચ્યો. નિંદ્રાધીન શ્રીવિષ્ણુ પર પ્રહાર કરવા તેણે શસ્ત્ર ઉઠાવ્યું. તે જ સમયે શ્રીહરિના શરીરમાંથી એક દિવ્ય કન્યાનું પ્રાગટ્ય થયું.

શ્રીવિષ્ણુના દેહમાંથી પ્રગટેલી તે કન્યા અને અસુર મુર વચ્ચે ભયંકર યુદ્ધ થયું. જેમાં તે કન્યાએ મુરનો વધ કરી દીધો. જ્યારે શ્રીહરિ નિંદ્રામાંથી જાગ્યા ત્યારે કન્યાના કાર્યને જોઈને પ્રસન્ન થઈ ગયા. તેમણે એકાદશીની તિથિએ ઉત્પન્ન થયેલી તે કન્યાને ‘એકાદશી’ના નામે જ સંબોધન કર્યું. સાથે જ તેને તમામ તીર્થોમાં સૌથી મોખરે રહેવાનું વરદાન પણ આપ્યું. અને કહ્યું કે, “આજથી દરેક એકાદશીએ મારી સાથે તારી પણ પૂજા થશે. જે ભક્ત એકાદશીનું વ્રત રાખશે તે સમગ્ર પાપોથી મુક્ત થઈ જશે.”

આમ, કારતક માસની કૃષ્ણપક્ષની તિથિએ કન્યારૂપ એકાદશીનું, દેવી અગિયારસનું પ્રાગટ્ય થયું. જેના પરથી જ આ એકાદશી એ કન્યા એકાદશી, ઉત્પત્તિ એકાદશી તેમજ ઉત્પન્ના એકાદશી જેવાં નામોથી પ્રસિદ્ધ થઈ.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ શ્રીમદ્ ભાગવતમાં પણ રામજન્મની કથાનું વર્ણન, જાણો ઇક્ષ્વાકુ વંશમાં શા માટે થયું શ્રીરામનું પ્રાગટ્ય ?

આ પણ વાંચોઃ શું તમારા ઘરના મંદિરમાં છે આ પવિત્ર વસ્તુઓ ? જાણો પુણ્યફળની પ્રાપ્તિ કરાવનારી પૂજા સામગ્રી 

g clip-path="url(#clip0_868_265)">