
ભારતમાં એક તાળાવાળા મહાદેવનું મંદિર ઘણુ પ્રસિદ્ધ છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં તાળાવાળા મહાદેવનું અનોખુ મંદિર આવેલુ છે. જેને શ્રદ્ધાળુઓ નાથેશ્વરનાથ મહાદેવ મંદિર કે ‘તાળાવાળા મહાદેવ મંદિર’ કહે છે. આ મંદિર તેની અનોખી પરંપરાના કારણે દૂર દૂર સુધી ઘણુ પ્રસિદ્ધ છે. અહીં આવનારા શ્રદ્ધાળુઓ તેમની મનોકામના પુરી થવાની કામના સાથે મંદિર પરિસરમાં એક તાળુ લગાવે છે. માન્યતા છે કે ભગવાન ભોલેનાથ તેમની પ્રાર્થના અવશ્ય સાંભળે છે. ઈચ્છાપૂર્તિ થયા બાદ શ્રદ્ધાળુ ફરી આ મંદિરે આવી તેણે લગાવેલા એ જ તાળાને ખોલે છે અને ભગવાન શિવની વિધિ-વિધાન સાથે પૂજા- અર્ચના કરે છે.
મંદિર પરિસરની દીવાલો, જાળીઓ અને આસપાસના તમામ ભાગમાં લાખો તાળા લગાવેલા જોવા મળે છે. દરેક તાળુ કોઈને કોઈ શ્રદ્ધાળુની આસ્થા અને વિશ્વાસનું પ્રતિક છે. અહીં તાળા પર શ્રદ્ધાળુ પોતાનુ નામ, સરનામુ અને પોતાની કોઈ અનોખઈ ઓળખ પણ લખાવે છે. જેથી મનોકામનાની પૂર્તિ બાદ જ્યારે તે ફરી અહીં આવે તો પોતાના તાળાને સરળતાથી ઓળખી શકે. શ્રદ્ધાળુઓનું કહેવુ છે કે આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે અને ભોલેનાથની કૃપાથી તેમની મનોકામના પૂર્ણ થાય છે. આ જ વિશ્વાસ સાથે દરરોજ મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચે છે અને તેમની ઈચ્છા પૂર્તિનું તાળુ લગાવી ભગવાન શિવને પ્રાર્થના કરે છે.
મંદિરમાં દરરોજ રૂદ્રાભિષેક, જળાભિષેક, ભજન-કીર્તન અને આરતીનું આયોજન થાય છે. શ્રાવણ મહિનો, સોમવાર અને મહાશિવરાત્રિ જેવા વિશેષ તહેવારો પર
અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે. સમગ્ર મંદિર પરિસર હર-હર મહાદેવ અને બમ બમ ભોલેના જયઘોષ સાથે ગૂંજી ઉઠે છે. આસ્થા અને વિશ્વાસનો આ અનોખો સંગમ નાથેશ્વરનાથ મહાદેવ મંદિરને પ્રયાગરાજના પ્રમુખ ધાર્મિક સ્થળોમાં વિશેષ ઓળખ અપાવે છે.
અહીં લગાવવામાં આવેલુ પ્રત્યેક તાળુ કોઈને કોઈ ભક્તની આશા, વિશ્વાસ અને ભોલેનાથ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાની સાબિતી પૂરે છે. આ મંદિરમાં અત્યાર સુધીમાં એટલા તાળા લાગી ચુક્યા છે કે તેને કાઢીને જગ્યા ખાલી કરવી પડે છે અને એક રૂમમાં જુના તાળા રાખવામાં આવ્યા છે. આ કામ થોડા થોડા સમયના અંતરાલે નિરંતર કરતુ રહેવુ પડે છે જેથી આવનારા શ્રદ્ધાળુઓને તેમનુ તાળુ લગાવવાની જગ્યા મળી શકે.
Published On - 9:20 pm, Sun, 16 August 26