Shradh Paksh 2022 : માત્ર એક દીવાથી દૂર થશે પિતૃ દોષ ! અત્યારે જ જાણી લો તમારા ફાયદાની વાત
જ્યોતિષ શાસ્ત્ર (Jyotish shashtra) અનુસાર જે લોકોની કુંડળીમાં પિતૃદોષ હોય એ લોકો વિધ વિધ બીમારી કે સમસ્યાનો સામનો કરતાં હોય છે. આ તમામ સમસ્યાઓનું નિવારણ અને પિતૃ દોષથી મુક્તિ અપાવી શકે છે એક દીવો.
જ્યોતિષ શાસ્ત્ર (Jyotish shashtra) અનુસાર જે લોકોની કુંડળીમાં (Kundali)પિતૃદોષ (Pitrudosh)હોય એ લોકો માટે પિતૃ પક્ષ (Pitru paksh) એ આ દોષનું નિવારણ કરવાનો તેમજ પૂજન કરવાનો શ્રેષ્ઠ અવસર છે. જો કોઇ વ્યક્તિના મૃત્યુ પછી તેને વિધિ વિધાન સાથે અંતિમ સંસ્કાર ન કર્યા હોય, અથવા તો કોઈનું અકાળે મૃત્યુ થયું હોય તો તે વ્યક્તિ સાથે જોડાયેલ પરિવારના લોકોએ કેટલીય પેઢી સુધી પિતૃદોષની પીડા સહન કરવી પડે છે. તેમના જીવનમાં કેટલાય પ્રકારની સમસ્યાઓ આવે છે. પિતૃદોષના અશુભ પ્રભાવથી બચવા માટે પિતૃ મોક્ષ માટેના ઉપાયો કરવા પડે છે. તો ચાલો આજે જાણીએ કે કયા સંકેતો છે કે જે દર્શાવે છે પિતૃદોષ અને પિતૃદોષમાંથી મુક્તિ મેળવવાના કયા છે સરળ અને સચોટ ઉપાયો.
કુંડળીમાં પિતૃદોષના સંકેતો
કુંડળીમાં રાહુ ગ્રહ જો કેન્દ્ર સ્થાને કે ત્રિકોણમાં હોય અને તેમની રાશી નકારાત્મક સ્થિતિમાં હોય તો પિતૃદોષનું નિર્માણ થાય છે. આ સિવાય પણ રાહુનો સંબંધ કુંડળીમાં રહેલ સૂર્ય અને ચંદ્ર ગ્રહ સાથે પણ છે તો આવી કુંડળીમાં પિતૃદોષનું નિર્માણ થાય છે.
જો કુંડળીમાં રાહુનો સંબંધ શનિ કે બૃહસ્પતિ સાથે હોય ત્યારે પણ પિતૃદોષનું નિર્માણ થાય છે. ત્યાં જ રાહુ જો બીજા અને આઠમા ભાવમાં હોય ત્યારે પણ કુંડળીમાં પિતૃ દોષનું નિર્માણ થાય છે.
જો કુંડળીમાં નવમા ભાવમાં રાહુની સાથે સૂર્ય હોય ત્યારે પણ પિતૃદોષનું નિર્માણ થાય છે.
પિતૃદોષની સમસ્યાઓ
જો કોઇ વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષના લક્ષણ હોય છે તો તેના કારણે તે પરિવારના સદસ્યો બીમાર રહે છે. તેના કારણે સદસ્યોને હંમેશા દવાખાનાના ચક્કર લગાવવા પડે છે. તેમની મોટાભાગની સંપત્તિ બીમારીમાં ખર્ચાય છે.
કુંડળીમાં પિતૃદોષ હોવાના કારણે લગ્નમાં ઘણી બધી અડચણો આવે છે. ઘણીવાર એવું પણ બને કે લગ્ન તો થઇ જાય પણ લગ્ન થયા પછી પતિ-પતિના સંબંધોમાં નાની મોટી ખટરાગ ચાલતી રહે છે. તેના સિવાય એક મહત્વનું કારણ એ છે કે જો લગ્ન થઇ જાય, લગ્નજીવન સુખી ચાલતું હોય પરંતુ પિતૃદોષના કારણે સંતતિની સમસ્યા સતાવે છે.
નોકરી-ધંધામાં પણ ખૂબ જ મહેનત કરવા છતાં યોગ્ય પરિણામ ન મળવું, મહેનત વધુ કરવા છતાં પણ લાભ ન મળવો, પરિવારમાં સતત કંકાશનો માહોલ રહેતો હોય એ પણ પિતૃદોષના જ સંકેત છે.
પરિવારમાં દીકરો કે દીકરી હોય તેમના લગ્નમાં અવરોધ આવતા હોય કે છૂટેછેડાની સમસ્યા હોય તે પણ પિતૃદોષનું જ કારણ છે.
વ્યક્તિને વારંવાર દુર્ઘટનાઓનો શિકાર બનવું પડે છે, તથા તેમના જીવનમાં થનાર માંગલિક કાર્યો કે શુભ કાર્યોમાં અવરોધો આવતા રહે છે.
પરિવારના સદસ્યો પર નકારાત્મક ઊર્જાનો પ્રભાવ હોય, ઘરમાં હંમેશા તણાવ અને કલેશ રહેતો હોય. પિતૃઓના અંતિમ સંસ્કાર વિધિ વિધાનથી ન થયા હોય તો પણ આ સમસ્યા આવતી હોય છે. પિતૃઓનો અનાદર કરવાથી પણ પિતૃદોષ પરેશાન કરે છે. ધર્મ વિરુદ્ધનું આચરણ પણ આપને પિતૃદોષમાં નાંખી શકે છે.
પિતૃદોષ દૂર કરવાના સરળ-સચોટ ઉપાયો
પિતૃદોષ દૂર કરવા, પિતૃઓની આત્માની શાંતિ માટે તર્પણ-શ્રાદ્ધ અને પિંડદાન કરવું ખૂબ જ જરૂરી છે. પિતૃપક્ષમાં કરવામાં આવેલ પિંડદાન, તર્પણ અને શ્રાદ્ધથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે. તેની સાથે જ દક્ષિણ દિશામાં પિતૃઓના ફોટા લગાવીને નિત્ય તેમને પ્રણામ કરવા જોઇએ. તેનાથી પિતૃદોષમાંથી રાહત મળી શકે છે.
પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું જોઇએ. આ કાર્ય જો આપ અમાસની તિથિ પર કરો છો તો તે અત્યંત લાભદાયી રહે છે. અમાસના દિવસે પીપળામાં જળની સાથે સાથે પુષ્પ, દૂધ, અક્ષત અને કાળા તલ પણ અર્પણ કરવા.
જો આપ જીવનની વ્યસ્તતામાં ઉપર જણાવેલ એક પણ વિશેષ ઉપાય નથી કરી શકતાં, તો માત્ર એક દીવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મેળવી શકો છો. નિત્ય સાંયકાળે દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવો. એક દિવો માત્ર પિતૃદોષ દૂર કરી શકે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)