નવરાત્રીનો (Navratri 2022) અવસર એટલે તો આદ્યશક્તિની કૃપાને પ્રાપ્ત કરવાનો અવસર. કહે કે જે મનુષ્ય આ દિવસો દરમિયાન આસ્થા સાથે માતાની પૂજા-અર્ચના કરી લે છે, તેની તમામ મનશાઓને દેવી પરિપૂર્ણ કરી લે છે. એટલું જ નહીં, દેવી ભક્તોની સમૃદ્ધિની મનશા પણ પૂર્ણ કરનારા છે. એમાં પણ, આજે શુક્રવાર (friday remedies) છે. નવરાત્રી અને શુક્રવારનો આ સંયોગ દેવી લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરવા માટે સર્વોત્તમ છે. જો આપને જીવનમાં ખૂબ જ ધનની પ્રાપ્તિ કરવી છે, જીવનમાં પ્રગતિ સાધવી છે, તો આપે પણ આ સરળ અને સચોટ ઉપાયોને જરૂરથી અજમાવવા જોઈએ. કે જેના દ્વારા માતા લક્ષ્મી આપની મનશાની પૂર્તિ કરશે. ત્યારે આવો જાણીએ કે કયા સરળ ઉપાયથી આપણે મા લક્ષ્મીની પ્રસન્નતાને પ્રાપ્ત કરી શકીશું.
નવરાત્રીમાં લક્ષ્મીકૃપા !
⦁ નવરાત્રી દરમિયાન ઘણાં લોકો અખંડ દીપ રાખતા હોય છે. અને જો અખંડ દીપ ન રાખી શકાય તો પણ માની સામે સવારે અને સાંજે ઘી કે તેલનો દીવો પ્રજ્વલિત કરતા હોય છે. તમે પણ આવું કરતાં હશો. તો આજે શુક્રવારે આ દીવામાં ચાર લવિંગ મૂકવાનું ન ભૂલતા !
⦁ માતાજીને 7 ઇલાયચી અને સાકરનો ભોગ અર્પણ કરો.
⦁ પાંચ પ્રકારના સૂકામેવા એક લાલ રંગની ચુંદડીમાં રાખીને માતાજીને સમર્પિત કરવા.
⦁ માતાજીને તાજા નાગરવેલના પાન પર સોપારી અને સિક્કો મૂકીને અર્પિત કરવા.
⦁ શક્ય હોય તો કોઈ દેવી મંદિરમાં જઇને માને લાલ રંગની ધજા અર્પણ કરવી. આજે ન થઈ શકે તો પણ નવરાત્રીના અન્ય દિવસોમાં પણ આ કાર્ય કરવું શુભદાયી બનશે. અને સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થશે.
⦁ લાલ રંગના પાકીટમાં દક્ષિણા મૂકીને તે કુંવારી કન્યાઓને ભેટમાં આપવા.
⦁ માન્યતા અનુસાર સમગ્ર નવરાત્રી દરમિયાન જો હનુમાનજીને પાનનું બીડુ અર્પણ કરવામાં આવે તો તેનાથી દરિદ્રતાનો નાશ થાય છે અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. પણ, જો આવું નિત્ય શક્ય ન બને તો પણ આજે શુક્રવારે કે શનિવારના રોજ તેમજ નવરાત્રીની અષ્ટમીના રોજ આ કાર્ય કરવું ફળદાયી બની રહેશે.
⦁ સુવર્ણ કે ચાંદીમાંથી નિર્મિત શ્રીયંત્રની આજે સ્થાપના કરવી પણ ખૂબ જ લાભદાયી બની રહેશે.
⦁ સુવર્ણ કે ચાંદીમાંથી નિર્મિત સ્વસ્તિક, ઓમકાર, શ્રી, હાથી, કળશ, દીપ, ગરુડઘંટડી, મુકુટ કે ત્રિશૂળમાંથી શક્ય હોય તે વસ્તુ ખરીદી તેને ઘરના મંદિરમાં દેવીના ચરણે સમર્પિત કરવી. ત્યારબાદ તેની વિધિવત પૂજા કરવી. નવમાં નોરતે જે-તે વસ્તુને એક ગુલાબી રંગના રેશમી કપડામાં બાંધીને તમારી તિજોરી અથવા તો ધન રાખવાની જગ્યા પર મૂકી દેવી. કહે છે કે આ ઉપાયથી ચોક્કસપણે ધનપ્રાપ્તિના યોગ સર્જાશે.
(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)