દેવ દિવાળી પર જ ચંદ્રગ્રહણ ! જાણો, રાહુ-કેતુના અનિષ્ટ પ્રભાવથી બચવા કયા કરશો ઉપાય ?
શાસ્ત્રો અનુસાર રાહુ-કેતુની (Rahu-Ketu) ખરાબ અસર વ્યક્તિના જીવનમાં અસ્થિરતા લાવી દે છે. એટલા માટે ચંદ્રગ્રહણ દરમ્યાન રાહુ-કેતુના પ્રભાવથી બચવા કેટલાંક વિશેષ ઉપાય અજમાવવા ખૂબ જ જરૂરી બની જાય છે.
હિન્દુ પંચાંગ અનુસાર કારતક સુદ પૂર્ણિમાને દેવ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. માન્યતા એવી છે કે દેવી અને દેવતાઓ આ દિવાળી ઉજવવા માટે ધરતી પર પધારે છે. પણ, આ વખતે દેવ દિવાળી સંબંધી ખાસ વાત એ છે કે, તે જ દિવસે ચંદ્રગ્રહણ પણ લાગી રહ્યું છે ! એટલે કે, વર્ષના અત્યંત શુભ દિવસ પર ગ્રહણ સર્જાઈ રહ્યું છે. ગુજરાતી પંચાંગ અનુસાર આ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ છે. ધાર્મિક માન્યતા એવી છે કે આ દિવસે રાહુ અને કેતુનો પ્રકોપ પૃથ્વી પર વધી જાય છે. ત્યારે, આવો જાણીએ કે આ દિવસે કયા ઉપાયો કરવાથી રાહુ-કેતુથી રક્ષણ મળશે ?
ચંદ્રગ્રહણ
ભારતીય સમયાનુસાર 8 નવેમ્બરે બપોરે 02:39 કલાકે ગ્રહણનો સ્પર્શ થશે. અને સાંજે 06:19 કલાકે તેનો મોક્ષ થશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ચંદ્રગ્રહણ ભરણી નક્ષત્ર અને મેષ રાશિમાં લાગશે.
ચંદ્ર ગ્રહણના દિવસે રાહુ-કેતુના ખરાબ પ્રભાવથી બચવાના ઉપાયો
ધાર્મિક માન્યતા અનુસાર ચંદ્રગ્રહણ દરમ્યાન રાહુ અને કેતુનો પ્રકોપ પૃથ્વીને અને તેના પર વસનારા જીવોને વધુ પ્રભાવિત કરે છે. એવામાં રાહુ-કેતુના પ્રભાવથી બચવા માટે અહીં જણાવેલ કેટલાક ઉપાયો આપના માટે લાભદાયી સાબિત થશે.
ગુરુ મંત્રના જાપ
ચંદ્રગ્રહણ દરમ્યાન ખરાબ પ્રભાવથી બચવા માટે ગુરુમંત્રનો જાપ કરવો ફાયદાકારક બની રહેશે. એટલે આ સમય દરમિયાન નીચે આપેલ મંત્રનો જાપ કરવો.
“ૐ ગ્રાં ગ્રીં ગ્રૌં સહ ગુરવે નમ:”
મહામૃત્યંજય મંત્રનો જાપ
ચંદ્રગ્રહણ દરમ્યાન લોકોએ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઇએ. માન્યતા છે કે ગ્રહણ દરમિયાન રાહુ અને કેતુના પ્રભાવથી બચવા માટે મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા ખૂબ લાભપ્રદ સાબિત થઈ શકે છે. મંત્ર નીચે અનુસાર છે.
ૐ ત્ર્યંબકં યજામહે સુગંધિમ્ પૃષ્ટિવર્ધનમ્ ।
ઉર્વારૂકમિવ બંધનાન્ મૃત્યોર્મુક્ષીય મામૃતાત્ ।।
રાહુ-કેતુના પ્રભાવથી બચવાનો વિશેષ મંત્ર
શાસ્ત્રો અનુસાર રાહુ-કેતુની ખરાબ અસર વ્યક્તિના જીવનમાં અસ્થિરતા લાવી દે છે. એટલા માટે ગ્રહણ દરમ્યાન રાહુ-કેતુના પ્રભાવથી બચવા માટે નીચે આપેલ મંત્રનો જાપ અવશ્ય કરવો.
તમોમય મહાભીમ સોમસૂર્યવિમર્દન ।
હેમતારાપ્રદાનેન મમ શાન્તિપ્રદો ભવ ।।
તુલસીના પાનનું સેવન
ધર્મ ગ્રંથો અનુસાર, ચંદ્રગ્રહણ દરમ્યાન તુલસીના પાનનું સેવન કરવું જોઇએ. તુલસીના પાનને આરોગવું ફાયદાકારક સાબિત થાય છે.
બગલામુખી મંત્ર
ધાર્મિક ગ્રંથો અનુસાર ચંદ્રગ્રહણ દરમિયાન બગલામુખી મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રના જાપ કરવાથી વ્યક્તિ પર થનાર નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે તથા શત્રુઓથી મુક્તિ મળે છે. શત્રુ પર વિજય પ્રાપ્ત કરવા ચંદ્રગ્રહણ દરમ્યાન આ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઇએ. આ મંત્રની ઓછામાં ઓછી એક માળા તો કરવી જ જોઇએ. મંત્ર નીચે મુજબ છે.
ૐ હ્રીં બગલામુખી સર્વદુષ્ટાનાં વાચં મુખં પદં સ્તંભય જિહ્વાં કીલય બુદ્ધિ વિનાશય હ્રીં ૐ સ્વાહા ।
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)