આમ તો કરુણાનિધાન ભગવાન શિવ (lord shiva) શુદ્ધ જળ અર્પણ કરવા માત્રથી જ રીઝનારા છે. તેમ છતાં, તેમને વિવિધ દ્રવ્યોથી અભિષેક (shiva abhishek) કરવાનો પણ મહિમા છે. અલબત્, સુરતના ઉમરામાં આવેલું રામનાથ ઘેલા મહાદેવનું (ramnath ghela mahadev) મંદિર, એટલે તો અભિષેકને મામલે વિશ્વનું સૌથી અનોખું શિવમંદિર. (unique shiva temples) એવું મંદિર કે જ્યાં દેવાધિદેવ મહાદેવને થાય છે જીવતા કરચલાનો અભિષેક !
કરચલાનો અભિષેક !
ઉલ્લેખનીય છે કે પોષ વદ અગિયારસનો દિવસ એ રામનાથ ઘેલા મહાદેવનો પ્રાગટ્ય દિવસ મનાય છે. અને એ જ દિવસે વર્ષમાં એકવાર ભક્તો તેમને જીવિત કરચલા અર્પણ કરે છે. કોઈ શિવમંદિર બહાર શ્રદ્ધાળુઓ જેમ સહજ રીતે પુષ્પ કે બિલ્વપત્રની ખરીદી કરતાં હોય છે, તે જ રીતે આ રામનાથ ઘેલા મંદિર બહાર શ્રદ્ધાળુઓ જીવતા કરચલાની ખરીદી કરે છે. અને પછી આસ્થા સાથે મંદિરમાં પ્રવેશ કરી ભાવિક ભક્તો મહેશ્વર પર કરચલાનો અભિષેક કરે છે. પોષ વદી એકાદશીએ મહાદેવને કરચલાનો અભિષેક કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રામનાથ ઘેલા મંદિરે ઉમટી પડે છે. તો, શ્રાવણ અને શિવરાત્રી જેવા અવસરો પર પણ અહીં મહેશ્વરના દિવ્ય રૂપના દર્શનનો સવિશેષ મહિમા છે. અલબત્, પ્રશ્ન થવો સ્વભાવિક છે, કે મહાદેવને શા માટે અર્પણ થાય છે જીવતા કરચલા ?
કેમ ચઢે છે કરચલા ?
રામનાથ ઘેલા મહાદેવને આ કરચલા શા માટે અર્પણ થાય છે, તેની સાથે એક રોચક દંતકથા જોડાયેલી છે. કહે છે કે વનવાસે નીકળેલા શ્રીરામ આ ભૂમિ પર પધાર્યા ત્યારે તેમને પાવની તાપીને કિનારે પિતા દશરથ માટે તર્પણવિધિ કરવાની ઈચ્છા થઈ આવી. શ્રીરામે તે સમયે ભૂમિ પર બાણ ચલાવ્યું અને તે સાથે જ ધરતીમાંથી શિવલિંગનું પ્રાગટ્ય થયું. મહેશ્વરનું દિવ્ય રૂપ જોઈ શ્રીરામ ઘેલા-ઘેલા થઈ ગયા. અને એટલે જ તો મહાદેવ અહીં રામનાથ ઘેલા મહાદેવના રૂપે પ્રસિદ્ધ થયા.
મહેશ્વરના પ્રાગટ્ય બાદ પિતાની તર્પણવિધિ માટે શ્રીરામને એક બ્રાહ્મણની જરૂર પડી. કહે છે કે ત્યારે સ્વયં દરિયાદેવ બ્રાહ્મણનું રૂપ લઈ તર્પણવિધિ કરવા પધાર્યા. તે ભરતીનો દિવસ હોઈ દરિયાદેવની સાથે અસંખ્ય દરિયાઈ જીવો અને વિશેષ તો કરચલા પણ શિવલિંગ પર ખેંચાઈ આવ્યા. આખરે, દરિયાદેવે શ્રીરામને તે જીવોનો ઉદ્ધાર કરવાની પ્રાર્થના કરી. અને શ્રીરામે આશિષ પ્રદાન કરતાં કહ્યું કે, “હે સમુદ્રદેવ ! પોષ વદ એકાદશીએ મહાદેવનું અહીં પ્રાગટ્ય થયું છે. એટલે, એ દિવસે જે મનુષ્ય આ કરચલા મહાદેવ દાદાને અર્પણ કરશે, તેની તમામ તકલીફોનો અંત આવશે. મનુષ્ય, અને કરચલા બંન્નેનો ઉદ્ધાર થશે.”
એટલે કે, શ્રીરામચંદ્રજીએ પ્રદાન કરેલાં તે આશિષને લીધે જ રામનાથ ઘેલા મહાદેવને કરચલા અર્પણ કરવાનો મહિમા છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આવો અભિષેક દુનિયામાં બીજા કોઈ શિવલિંગ પર નથી થતો.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)