shravan2022: 633 વર્ષ પ્રાચીન આ શિવ મંદિરમાં છે 65 હજાર કિલો ઘીનો ભંડાર ! જાણો શું છે રહસ્ય ?
રઢુના કામનાથ મહાદેવ (radhu kamnath mahadev) મંદિરમાં સદીઓ જૂનું ઘી સાચવવામાં આવ્યું છે. નવાઈની વાત એ છે કે ન તો આ ઘીની આસપાસ કોઈ જીવજંતુ ફરકે છે, કે ન તો ઘીમાંથી દુર્ગંધ મારે છે !
ભગવાન શિવ (lord shiva) એ એક એવાં દેવ છે કે જેમના નિરાકાર સ્વરૂપના પૂજનનો મહિમા છે. શિવજી મૂર્તિ સ્વરૂપે નહીં, પરંતુ, શિવલિંગ સ્વરૂપે સવિશેષ પૂજાય છે. પરંતુ, અમારે આજે એક એવાં શિવ મંદિરની (shiva temple) વાત કરવી છે કે જ્યાં શિવજી એક જ્યોત સ્વરૂપે બિરાજમાન થયા છે ! ખેડાના રઢુ ગામમાં કામનાથ મહાદેવનું (radhu kamnath mahadev) મંદિર વિદ્યમાન છે. લગભગ 633 વર્ષ પ્રાચીન આ શિવધામમાં મહાદેવના અખંડ જ્યોતિ (akhand jyoti) રૂપના દર્શનની સવિશેષ મહત્તા છે. પણ, ભક્તોને આકર્ષતું આ મંદિરનું સૌથી મોટું રહસ્ય જો કોઈ હોય તો તે છે અહીં આવેલાં ઘીના ભંડાર !
મંદિર માહાત્મ્ય
ખેડાના રઢુ ગામે સ્થિત શિવાલયના ગર્ભગૃહમાં નાનકડું અને મનોહારી શિવલિંગ સ્થાપિત છે. અલબત્, અહીં દર્શનની યાત્રા ત્યાં સુધી પૂર્ણ નથી થતી કે જ્યાં સુધી તમે ગર્ભગૃહમાં પ્રજ્વલિત અખંડ જ્યોતના દર્શન ન કરી લો. કારણ કે આ જ્યોત સ્વરૂપે જ મહાદેવ પૂનાજ ગામેથી રઢુમાં પધાર્યા હતા. કહે છે કે મહેશ્વરના અહીં આગમન સમયથી જ અહીંની જ્યોત અખંડપણે પ્રજ્વલી રહી છે. એટલું જ નહીં, માન્યતા તો એવી પણ છે કે આ જ્યોત જ ભક્તોની સઘળી કામનાઓની પૂર્તિ કરી રહી છે. અને એટલે જ આ જ્યોતને અખંડ રાખવા ભક્તો મંદિરમાં શુદ્ધ ઘી અર્પણ કરે છે.
ઘીની માનતા !
પ્રચલિત માન્યતા એવી છે કે કામનાથ મહાદેવ ઘીની માનતાથી પ્રસન્ન થાય છે. અને પ્રભુના આશિષથી જેમના મનોરથ પૂર્ણ થાય છે તેવા ભક્તો અહીં આવી શુદ્ધ ઘી અર્પણ કરે છે. તમને નવાઈ લાગશે પરંતુ, કામનાથ મહાદેવના મંદિર પરિસરમાં આજે ચાર ઘી ભંડાર આવેલાં છે. આ ઘી ભંડારમાં લગભગ 1300 જેટલી ઘીની ગોળીયો રાખવામાં આવી છે. જેમાં કુલ 65,000 કિલો કરતા પણ વધુ ઘી સચવાયેલું છે !
633 વર્ષ જૂના ઘીનું રહસ્ય !
ઉલ્લેખનીય છે કે અહીં ઘીને માત્ર માટીની ગોળીમાં ભરીને ભંડારમાં મૂકી દેવામાં આવે છે. એટલે કે કોઈ ખાસ યત્ન વિના પ્રભુકૃપાથી જ ઘી સચવાય છે. અહીં કેટલાંક ઘડાઓમાં તો સદીઓ જૂનું ઘી રાખવામાં આવ્યું છે. પણ, તેમ છતાં ન તો કોઈ જીવજંતુ આસપાસ ફરકે છે, કે ન તો ઘીમાંથી દુર્ગંધ મારે છે. પણ, સૌથી મહત્વની વાત એ છે કે, આ ઘીનો ઉપયોગ માત્ર ધાર્મિક કાર્યોમાં જ થઈ શકે છે. આ ઘીમાંથી જ મંદિરની મુખ્ય જ્યોતને તેમજ અન્ય દીવાઓને પ્રજ્વલિત રાખવામાં આવે છે. તો, ધાર્મિક અનુષ્ઠાન સમયે યજ્ઞાદિ કાર્યોમાં આ જ ઘી વાપરવામાં આવે છે. અન્ય કાર્યોમાં ઘીના ઉપયોગનો નિષેધ છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)