અહીં જ ઈન્દ્રને પ્રાપ્ત થયું હતું વજ્ર ! જાણો મહર્ષિ દધીચિની તપોભૂમિનો મહિમા
પદ્મપુરાણ અનુસાર પૌરાણિક કાળમાં આ જ સ્થાન ઋષિ દધીચિની તપોભૂમિ હતું. દાયકાઓ પૂર્વે આ સ્થાન પર એક ગાય સ્વયંભૂ જ દૂધની ધારા વહાવી જતી. અને પછી તે સ્થાન પર ખોદતા મહાદેવના ધવલ રૂપનું પ્રાગટ્ય થયું.
ભારતની ભૂમિ એ તો ઋષિઓની તપોભૂમિ રહી છે. આ ધરાએ એવાં મહાન ઋષિઓની ભેટ આપી છે કે જેઓ માનવજાતિના કલ્યાણ અર્થે સ્વયંનું જ બલિદાન દેતા પણ અચકાયા નથી ! જેમાં સવિશેષ ઉલ્લેખ કરવો પડે મહર્ષિ દધીચિનો. (maharshi dadhichi) દેવતાઓ માટે અસ્ત્ર શસ્ત્રનું નિર્માણ કરવા ઋષિ દધીચિએ સ્વયંના જ અસ્થિનું દાન કરી દીધું હતું. અને કહે છે કે તે અસ્થિમાંથી જ ઈન્દ્રના વજ્રનું (indra vajra) નિર્માણ થયું હતું. જેના દ્વારા દેવરાજે અસુર વૃત્રાસુરનો વધ કર્યો હતો. અલબત્, ઘણાં ઓછાં લોકો એ વાત જાણે છે કે તે ઘટના આપણાં ગુજરાતના આજના અમદાવાદમાં જ ઘટી હતી. કે જ્યાં આજે દધીચિ આશ્રમમાં (dadhichi ashram) દૂધાધારી મહાદેવનું મંદિર (dudhadhari mahadev mandir) વિદ્યમાન થયું છે.
દૂધાધારી મહાદેવનું મંદિર એ અમદાવાદના આશ્રમરોડ પર આવેલાં દધીચિ આશ્રમમાં સ્થિત છે. પદ્મપુરાણ અનુસાર પૌરાણિક કાળમાં આ જ સ્થાન ઋષિ દધીચિની તપોભૂમિ હતું. જ્યાં આજે નાનકડું શિવાલય શોભાયમાન છે. તેના ગર્ભગૃહમાં દૂધાધારી મહાદેવ વિદ્યમાન થયા છે. મંદિરમાં શિવજીનું અત્યંત ધવલ સ્વરૂપ પ્રસ્થાપિત થયું છે. કહે છે કે ઋષિ દધીચિ અંગિરા ગોત્રમાં પ્રગટ થયા હતા. જેમના આરાધ્ય દૂધનાથ મહાદેવ હતા. દૂધનાથ એટલે દૂધ જેવાં સફેદ. માન્યતા અનુસાર એ જ દૂધનાથ મહાદેવ આજે અહીં દૂધાધારી મહાદેવના રૂપે પૂજાઈ રહ્યા છે.
કેવી રીતે થયું પ્રાગટ્ય ?
એક માન્યતા અનુસાર મૂળે તો આ સ્થાન સતયુગનું છે. પરંતુ, કળિયુગમાં કોઈ કારણસર તે લુપ્ત થયું. દાયકાઓ પૂર્વે આ સ્થાન પર એક ગાય સ્વયંભૂ જ દૂધની ધારા વહાવી જતી. અને પછી તે સ્થાન પર ખોદતા મહાદેવના ધવલ રૂપનું પ્રાગટ્ય થયું. દૂધની ધારાથી પ્રગટ્યા હોઈ ભોળાનાથ અહીં દૂધાધારીના નામે પ્રસિદ્ધ થયા. લૌકિક વાયકા એવી છે કે આ દૂધાધારી મહાદેવ જ ઋષિ દધીચિના દૂધનાથ મહાદેવ છે.
અખંડ ધૂણાના દર્શનનો મહિમા
દૂધાધારી મહાદેવ મંદિરના પરિસરમાં એક અખંડ ધૂણો પણ આવેલો છે. દૂધાધારીના દર્શન જેટલો જ મહિમા આ ચેતનવંતા ધૂણાના દર્શનનો પણ છે. મહર્ષિ દધીચિના આ ધૂણાને કેટલાંક અઘોરીઓ દ્વારા ચેતનવંતો કરવામાં આવ્યો હતો. જેના દર્શન માત્ર શ્રદ્ધાળુઓના પાપકર્મનો નાશ કરી દે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)