2 એપ્રિલથી ચૈત્ર નવરાત્રી (Chaitra Navratri )નો પવિત્ર તહેવાર શરૂ થયો છે. નવરાત્રિ નિમિત્તે માતાજીના દર્શન માટે સવારથી જ મંદિરોમાં ભીડ જામે છે. આ દરમિયાન શક્તિપીઠના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો લાગે છે. દેવી પુરાણ (Devi Purana) અનુસાર, વિશ્વમાં 51 શક્તિપીઠો છે, જેમાંથી 42 ભારતમાં, 1 પાકિસ્તાનમાં, 4 બાંગ્લાદેશમાં, 2 નેપાળમાં, 1 તિબેટમાં અને 1 શ્રીલંકામાં છે. પરંતુ આજે આપણે પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં સ્થિત હિંગળાંજ શક્તિપીઠ વિશે વાત કરીશું. કહેવાય છે કે હિંગળાજ શક્તિપીઠની યાત્રા અમરનાથ કરતા પણ વધુ મુશ્કેલ છે. અહીં હિંદુ અને મુસલમાન વચ્ચે કોઈ ભેદ નથી. ચૈત્ર નવરાત્રીના અવસર પર આ મંદિર વિશે જાણીએ.
હિંગળાજ મંદિર માટે એવું કહેવાય છે કે તે 2000 વર્ષથી પણ વધુ જૂનું છે. અહીં હિંદુ અને મુસ્લિમ વચ્ચે ભેદ પાડવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે. ક્યારેક મંદિરના પૂજારીઓ પણ મુસ્લિમ ટોપી પહેરેલા જોવા મળે છે. હિંદુ અને મુસ્લિમ એકસાથે માતાની પૂજા કરે છે. હિન્દુઓ આ મંદિરમાં માતા તરીકે પૂજા કરે છે, જ્યારે મુસ્લિમો તેને ‘નાનીની હજ’ અથવા ‘પીરગાહ’ કહે છે. અફઘાનિસ્તાન, ઈજિપ્ત અને ઈરાન ઉપરાંત બાંગ્લાદેશ, અમેરિકા અને બ્રિટનના લોકો પણ અહીં દર્શન માટે આવે છે.
હિંગળાજ માતાનું મંદિર પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના હિંગલાજમાં હિંગોલ નદીના કિનારે આવેલું છે. આ મંદિરની યાત્રા અમરનાથ કરતાં વધુ મુશ્કેલ કહેવાય છે કારણ કે પહેલા જ્યારે અહીં જવા માટે યોગ્ય સાધન ઉપલબ્ધ નહોતું ત્યારે આ મંદિર સુધી પહોંચવામાં 45 દિવસનો સમય લાગતો હતો. આજે પણ આ મંદિર સુધી પહોંચવા માટે ઘણા પ્રયત્નો કરવા પડે છે અને અનેક અવરોધો પાર કરવા પડે છે. તે હિંગોલ નદીના પશ્ચિમ કિનારે, મકરાનના રણમાં ખેરથર ટેકરીઓની શ્રેણીના અંતે બાંધવામાં આવ્યું છે. રસ્તામાં હજાર ફૂટ ઊંચા પર્વતો, દૂર દૂર સુધી ફેલાયેલું નિર્જન રણ, જંગલી પ્રાણીઓથી ભરેલું ગાઢ જંગલ અને 300 ફૂટ ઊંચો માટીનો જ્વાળામુખી જેવા ખતરનાક પડાવ પાર કર્યા પછી, માતાના દર્શનનો લહાવો મળે છે.
અહીં માતાની કોઈ મૂર્તિ નથી, પરંતુ એક નાની પ્રાકૃતિક ગુફામાં એક નાની શિલા છે, જેને હિંગળાજ માતા તરીકે પૂજવામાં આવે છે. કહેવાય છે કે મંદિરમાં આવતા પહેલા બે સંકલ્પ લેવાના હોય છે. પહેલો સંકલ્પ એ છે કે માતાના દર્શન કર્યા પછી સન્યાસ લેવાનો અને બીજો સંકલ્પ એ છે કે તમારા જગમાંથી કોઇને પાણી ન આપવું, પછી ભલે તમારા સહ-યાત્રીઓને તેની કેટલી પણ જરૂર કેમ ન હોય. આ બંને સંકલ્પો ભક્તોની પરીક્ષા માટે છે. જો આ પૂર્ણ ન થાય તો તમારી યાત્રા પૂર્ણ માનવામાં આવતી નથી.
આા પણ વાંચો :Russia-Ukraine War: યુક્રેનના ઓડેશા શહેરમાં સિરિયલ બ્લાસ્ટ, આગના ધુમાડામાં ફેરવાયુ શહેર
આા પણ વાંચો : CUET 2022 Registration: યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ માટેની નોંધણી પ્રક્રિયા 6 એપ્રિલથી થશે શરૂ, અહીં કરો અરજી
Published On - 1:06 pm, Sun, 3 April 22