Bhakti: શું તમને ખબર છે કે શા માટે છે બાપા જલારામજીના ધામનો ભંડારો અખૂટ ? જાણો રસપ્રદ કથા

|

Nov 11, 2021 | 12:08 PM

જલારામજી અને તેમના પત્ની વીરબાઈ કાયાતૂટ મજૂરી કરતાં. અને આ આકરી મજૂરી બાદ જે થોડું ઘણું મળે તેમાંથીયે જરૂરિયાતમંદોને ભાગ દેતાં. જ્યારે આ સેવાયજ્ઞમાં તેમની આર્થિક પરિસ્થિતિ બાધારૂપ બની, ત્યારે વીરબાઈએ તેમના તમામ ઘરેણાં વેચીને પણ ભૂખ્યાને રોટલા આપ્યા.

Bhakti: શું તમને ખબર છે કે શા માટે છે બાપા જલારામજીના ધામનો ભંડારો અખૂટ ? જાણો રસપ્રદ કથા
ઘરેણાં વેચીને પણ બાપા જલારામ અને વીરબાઈએ ભૂખ્યાને રોટલા આપ્યા !

Follow us on

ભર્યો ભંડારો એણે ભૂખ્યાને કાજે
સદાવ્રત ધારી એ તો સાધુ સંતોને માટે
પાયે લાગું હું તો જોગી જલિયાણને
ઘણી ખમ્મા ખમ્મા બાપા જલારામને

જલારામ બાપા (Jalaram Bapa) એટલે તો એક એવું નામ કે જેમણે આખુંય આયખું સાધુ-સંતો અને દિન-દુ:ખીઓની સેવામાં જ વ્યતિત કર્યું. કહેવત છે કે ઘરનું ગોપીચંદન કરીને કંઈ તીરથ ન થાય. પણ, બાપા જલારામે તો તે પણ કર્યું. અને એટલે જ તો વીરપુરમાં જન્મેલાં આ ઓલિયા જીવે ભક્તોના હૃદયમાં અદકેરું સ્થાન મેળવ્યું.

રાજકોટથી લગભગ 60 કિલોમીટરના અંતરે વીરપુર નામે ગામ આવેલું છે. આ ગામ એ સૌરાષ્ટ્રના ગોકુળિયા ગામ તરીકે પ્રસિદ્ધ છે. અને આ ગામને ખરાં અર્થમાં ગોકુળિયું બનાવવાનો શ્રેય જો કોઈને જતો હોય તો તે છે બાપા જલારામજી. સંત જલારામ કહો, બાપા જલારામ કહો કે પછી કહો જય જલિયાણ. શ્રદ્ધાળુઓના હૃદયમાં તો ભગવાન સરીખું જ સ્થાન ધરાવે છે બાપા જલારામ. અને એટલે જ તો દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ વીરપુરમાં સહજપણે જ દર્શનાર્થે ખેંચાઈ આવે છે. વીરપુર જ બાપા જલારામની જન્મભૂમિ અને કર્મભૂમિ રહ્યું છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

વિક્રમ સંવત 1856ની કારતક સુદ સાતમના રોજ વીરપુરના લોહાણા સમાજના ઠક્કર કુળમાં જલારામ બાપાનો જન્મ થયો. તેમના પિતાનું નામ હતું પ્રધાન ઠક્કર. જ્યારે માતાનું નામ હતું રાજબાઈ ઠક્કર. બાળપણથી જ શ્રીરામનું નામ જલારામજીના મુખે ચઢેલું હતું. જલારામજીનું મન બાળપણથી જ સાધુ-સંતોમાં પરોવાયેલું રહેતું. તેમને ભણવામાં કે પિતાની હાટડીએ બેસવામાં જરાય ગોઠતું ન હતું.

પિતાને બીક પેઠી કે ક્યાંક દિકરો સાધુ ન થઈ જાય ? અને એટલે જ જલારામજીને સંસારમાં બાંધવા તેમનું સગપણ કરી દેવાયું. જલારામજીએ ના પાડી ત્યારે તેમના કાકા વાલજીએ તેમને સમજાવ્યા. “અરે, ભાઈ ! ગૃહસ્થાશ્રમને તું હીણો ન સમજ ! ઘર બાંધીને બેઠા હોઈએ તો કો’ક દહાડો આપણે ઘેર કોઈને પાણી પાઈએ, કોઈને રોટલો ખવડાવીએ, વળી ચકલાં-કબૂતરને ચણ નાંખીએ. એ પુણ્ય ઓછું નથી. અરે, ઘરમાં કીડી-મકોડી કણ ખાય એનુંયે પુણ્ય લાગે !”

લોકોને ખવડાવવાની આ વાત જલારામજીના મનમાં વસી ગઈ. અને સોળ વર્ષની ઉંમરે આટકોટ ગામના વીરબાઈ સાથે જલારામજીના લગ્ન થયા. જો કે આ લગ્નથી જલારામજીના સેવાયજ્ઞમાં કોઈ ઓટ ન આવી. ઉપરથી સોનામાં સુગંધ ભળેની જેમ વીરબાઈ પણ પતિના જ કર્મો પર ચાલી નીકળ્યા. જલારામજી અને તેમના પત્ની વીરબાઈ કાયાતૂટ મજૂરી કરતાં. અને આ આકરી મજૂરી બાદ જે થોડું ઘણું મળે તેમાંથીયે જરૂરિયાતમંદોને ભાગ દેતાં. આખુંય જીવન પતિ-પત્નીએ આ રીતે લોકસેવામાં જ વિતાવ્યું.

બાપા જલારામજી અને તેમના પત્ની વીરબાઈ સદૈવ સાધુ-સંતોની સેવા માટે તત્પર રહેતાં. જ્યારે આ સેવાયજ્ઞમાં તેમની આર્થિક પરિસ્થિતિ બાધારૂપ બની ત્યારે વીરબાઈએ તેમના તમામ ઘરેણાં વેચીને પણ ભૂખ્યાને રોટલા આપ્યા. પણ, સૌથી આકરી કસોટી તો ત્યારે થઈ જ્યારે એક વૃદ્ધ સાધુએ જલારામજી પાસે સેવા માટે તેમની પત્નીનું દાન માંગ્યું. અને પત્નીની સંમતિથી જ જલારામજીએ તે પણ આપ્યું. જો કે વીરબાઈને સાથે લઈને નીકળેલાં તે સંત વીરબાઈને તેમનો દંડો અને ઝોળી આપી અદૃશ્ય થયા અને વીરબાઈ ઘરે પાછા આવ્યા. દંતકથા અનુસાર તે સમયે આકાશવાણી થઈ કે આ તો દંપતિની પરીક્ષા લેવાં સ્વયં પરમેશ્વર પધાર્યા હતા.

કંઈક આવો જ મોટો પરચો તો વીરપુર ધામના અખૂટ ભંડારા સાથે પણ જોડાયેલો છે. વીરપુર સ્થાનકની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં વર્ષ 2000 બાદ શ્રદ્ધાળુઓ પાસેથી એકપણ રૂપિયાનું દાન નથી લેવાતું. અને છતાં સદાવ્રતની અસ્ખલિત ધારા અવિરતપણે ચાલતી જ રહે છે. ભક્તો તેને જલારામ બાપાના પુણ્યનો જ પ્રતાપ માને છે. જલારામ બાપા વિક્રમ સંવત 1937ની મહાવદ દશમે વૈકુંઠવાસી થયા. તે સમયે તેમના વારસ હરિરામજીએ મોટો મેળો કર્યો.

પ્રચલિત કથા અનુસાર તે મેળામાં એક અજાણ્યો સાધુ આવી ચઢ્યો. જે સીધો જ ભંડારઘરમાં ગયો. ત્યાંથી એક લાડુ લઈ તેનો ભૂકો કરી તેણે ચારે દિશાએ વેર્યો ને ‘અખૂટ… અખૂટ… ભંડાર !’ બોલતો ક્યાં અદૃશ્ય થઈ ગયો તેની કોઈને ખબર ન પડી. અને જાણે તેના જ ‘અખૂટ’ આશીર્વાદ આજે પણ વીરપુરમાં ફળીભૂત થઈ રહ્યા છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ ભગવાન શ્રી રામના પરમ ભક્ત જલારામ બાપાની 222 મી જન્મજયંતિ ! જાણો તેમના જીવનમાં કેવા ચમત્કારો થયા ?

આ પણ વાંચોઃ ગોપાષ્ટમીએ આ ખાસ વિધિથી કરો ગૌમાતાની પૂજા, પ્રાપ્ત થશે ભગવાન શ્રીકૃષ્ણની કૃપા !

Next Article