BAPS દ્વારા USAમાં મહામહોપાધ્યાય સાધુ ભદ્રેશદાસજીના અધ્યક્ષપદે યોજાયેલા 10 જેટલી ‘યુનિટી ફોરમ’માં સનાતન હિન્દુ ધર્મના મંદિરો, ભારતીય સંસ્થાઓ અને વિવિધ ધર્મોના પ્રતિનિધિઓ સાથે BAPSના સંતોએ મુલાકાત અને વિમર્શ કર્યું હતું. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વિશ્વબંધુત્વની ભાવનાને દૃઢાવતા અનેકવિધ વિશિષ્ટ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજે સનાતન હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિ માટે કરેલાં વિરાટ કાર્યોને સૌ કોઈએ આદરાંજલિ અર્પણ કરી હતી.
અનેકવિધ ‘યુનિટી ફોરમ’ની સાથે તાજેતરમાં ઈન્ડોનેશિયામાં 2 અને 3 નવેમ્બરે યોજાયેલા ‘R20’ સમિટમાં સનાતન ધર્મના પ્રતિનિધિરૂપે 400 કરતાં વધુ અગ્રણીઓને સંબોધન કરનારા મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ આજે અમદાવાદ શાહીબાગ મંદિરે તેમના યુનિટી ફોરમ અને R20 ફોરમના સ્વાનુભવો વિશે જણાવ્યું હતું, ‘પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી આજે 7 જેટલાં શોધ સંસ્થાનો, રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના દેશ અને વિદેશમાં કરવામાં આવી છે. જેમાં આજના યુગમાં સમગ્ર વિશ્વમાં સનાતન વૈદિક ધર્મની રક્ષા, પુષ્ટિ અને પ્રસાર થાય અને આપણાં સંસ્કારોની રક્ષા થાય તે હેતુ છે. આ શોધ સંસ્થાનોની સ્થાપના દરમિયાન અનેકવિધ હિન્દુ ધાર્મિક, સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેતા હતા. જે તે શહેરમાં અનેક અગ્રણી યુનિવર્સિટીઓના પ્રોફેસર પણ હાજર રહેતા હતા. BAPS સંસ્થા સનાતન વૈદિક ધર્મને વરેલી સંસ્થા છે. આ પરંપરાનું ગૌરવ જળવાય અને 10000 વર્ષ પુરાણી ભારતીય સંસ્કૃતિ અને ઉદાત્ત ભારતીય શિક્ષણ પરંપરા કઈ રીતે આગળ વધે તે આવા શોધ સંસ્થાનોની સ્થાપના પાછળ હેતુ છે.’
USAમાં યોજાયેલા ‘વસુધૈવ કુટુમ્બકમ’નો સંદેશ પ્રસરાવતી અનેકવિધ ‘Unity Forum’ના કાર્ય અને પ્રભાવ વિશે સંબોધન કરતા સાધુ વિવેકમૂર્તિદાસજીએ જણાવ્યું હતું કે, ‘ડો. કલામે પ્રમુખસ્વામી મહારાજના સાનિધ્યમાં અનુભવ કર્યો હતો કે પ્રમુખસ્વામી મહારાજના પ્રેમ અને આધ્યાત્મિકતા વિશ્વના વિવિધ ધર્મો વચ્ચે સંવાદિતાના સેતુરૂપ છે.’
મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી અનેક દેશોમાં સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવી છે, જેના નેજા હેઠળ સમગ્ર યુએસએમાં 10 યુનિટી ફોરમના આયોજન થયા, જેમાં વિવિધ શહેરોમાં 335 જેટલા હિન્દુ મંદિરો અને વિવિધ હિન્દુ ધાર્મિક સંસ્થાઓના 1009 કરતાં વધુ પ્રતિનિધિઓ સાથે ભદ્રેશ દાસ સ્વામી અને BAPSના સંતોએ વિમર્શ કર્યો હતો. અનેકવિધ ધાર્મિક સંસ્થાઓએ આ યુનિટી ફોરમના કાર્યક્રમો વિષે BAPS સંસ્થા પ્રત્યે અહોભાવ અને પ્રસન્નતા વ્યક્ત કર્યા હતા અને સનાતન હિન્દુ સંસ્કારો અને જીવનશૈલીને નવી પેઢીમાં દૃઢ કરવા સૌ એકતાથી કાર્ય કરવા કટિબદ્ધ થયા હતા.
Published On - 3:00 pm, Mon, 21 November 22