હિન્દુ ધર્મમાં પરિણીત મહિલાઓના સોળ શણગાર ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. દરેક સ્ત્રી માટે તેનું ખૂબ જ મહત્વ છે. માત્ર ધાર્મિક દૃષ્ટિએ જ નહીં, પરંતુ, વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ તેનું વિશેષ મહત્વ છે. હિન્દુ ધર્મમાં પૂજાથી લઇને લગ્ન જેવા દરેક પ્રસંગોમાં મહિલાઓ માટે શણગાર કરવા ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. પરિણીત સ્ત્રીઓ માટે શણગાર માત્ર તેમના સૌંદર્યના પ્રતિક જ નથી, પરંતુ, તેમના પતિના આયુષ્ય માટે પણ ખૂબ જરૂરી માનવામાં આવે છે. એ જ કારણ છે કે, પરિણીત મહિલાઓ કડવા ચોથ, વટ સાવિત્રી તેમજ શુભ માંગલિક કાર્યોમાં તો અચૂક સોળ શણગાર સજતી હોય છે. તો ચાલો જાણીએ કે આ સોળ શણગારમાં કઈ કઈ વસ્તુઓ સામેલ છે.
પુરાણોમાં સ્નાનને પ્રથમ શણગાર માનવામાં આવે છે. સ્નાન વિના સૌંદર્ય પ્રસાધન અને આભૂષણ ધારણ કરવામાં નથી આવતા. અખંડ સૌભાગ્યવતી મહિલાઓએ હળદર અને ચંદનના ઉબટનથી સ્નાન કરવાનું વિધાન છે. સ્નાન દરમ્યાન મહિલાઓ પોતાના વાળમાં આંબળા, અરીઠા, શિકાકાઇ, ભૃંગરાજ જેવી સામગ્રીઓનો ઉપયોગ કર્યા પછી જ નવા વસ્ત્ર ધારણ કરે છે અને અન્ય આભૂષણો તેમજ સાજ સજ્જાથી સજે છે.
સ્ત્રીઓનો બીજા નંબરનો શણગાર છે સિંદૂર. આ સિંદૂરને સૌભાગ્યની નિશાની માનવામાં આવે છે. માન્યતા અનુસાર તેનાથી સ્ત્રીના પતિનું આયુષ્ય વધે છે. અને એટલે જ તો સિંદૂરને સૌભાગ્યવતી સ્ત્રીઓનું સાચું ઘરેણું માનવામાં આવે છે.
સોળ શણગારમાં ત્રીજું સ્થાન ધરાવે છે મંગળસૂત્ર. મહિલાઓના તમામ ઘરેણામાં મંગળસૂત્ર ખૂબ મહત્વનું છે. તે સૌભાગ્યનું પ્રતિક મનાય છે. તો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોનાના મંગળસૂત્રની કાળા રંગના મોતીની માળા પહેરવાથી ખરાબ નજરથી બચી શકાય છે.
સ્ત્રીઓ તેમના કપાળ પર કુમકુમથી ચાંદલો કરે છે. તેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તે સ્ત્રીઓને પ્રસન્ન, શાંત અને કાર્યરત રાખે છે.
સોળ શણગારમાં મહેંદીનું એક આગવું જ મહત્વ છે. લૌકિક માન્યતા અનુસાર સૌભાગ્યવતી મહિલાઓએ મહેંદી લગાવવી ખૂબ જ શુભ મનાય છે.
કાજલ એ સ્ત્રીઓની આંખની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. તો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાજલ લગાવવાથી માંગલિક દોષો પણ દૂર થાય છે.
સ્ત્રીઓનો સાતમો શણગાર છે બંગડીઓ. લાલ, લીલા અને પીળા રંગની બંગડીઓને સૌભાગ્યની નિશાની માનવામાં આવે છે. આ રંગની બંગડીઓથી ઘરમાં ખુશીઓ અને સમૃદ્ધિનું આગમન થતું હોવાની માન્યતા પ્રચલિત છે.
નાકમાં ચાંદી કે સોનાની નથણી પહેરવાથી મહિલાઓના ચહેરાની રોનક વધી જાય છે. તો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચાંદી કે સોનાની નથણી ધારણ કરવાથી બુધદોષ દૂર થઈ જાય છે.
સ્ત્રીઓ સોના કે ચાંદીની બાજુબંધ ધારણ કરતી હોય છે. ઘણીવાર તે કડાના રૂપમાં પણ હોય છે. વાસ્તવમાં તેનો સંબંધ ધનની રક્ષા સાથે જોડાયેલ છે. જેને હાથમાં ઉપરની તરફ ધારણ કરવામાં આવે છે.
કમરમાં ચાંદી કે સોનામાંથી બનેલ રત્ન જડિત આભૂષણ સ્ત્રીઓના શણગારમાં અભિવૃદ્ધિ કરે છે. સ્ત્રીઓ માટે ચાંદીમાંથી નિર્મિત કમરબંધ કે ઝુડો વધારે શુભ મનાય છે. સાથે જ તે ઘર પ્રત્યેની સ્ત્રીઓની જવાબદારીનું પણ પ્રતિક છે.
એક પરિણિત મહિલા માટે માથા પરનો ટીકો ખૂબ જ મહત્વનો મનાય છે. સેંથાની વચોવચ પહેરવામાં આવતું આ આભૂષણ ચહેરાની આભા વધારે છે. સાથે જ તે લગ્નજીવનમાં એકસાથે ચાલવાનું પ્રતિક પણ છે.
કાનના ઝુમખા કે બુટ્ટીઓ પણ શણગારનો જ એક ભાગ છે. જ્યોતિષીય માન્યતા અનુસાર સોનાના ઝુમખા પહેરવાથી રાહુ અને કેતુ ગ્રહના દોષ દૂર થાય છે.
સિંદૂર અને મંગળસૂત્રની જેમ જ વિંછીયા પણ સૌભાગ્યની નિશાની માનવામાં આવે છે. તે શુભતા અને શક્તિનું પ્રતિક મનાય છે. જે લગ્ન પછી દરેક મહિલાઓને મજબૂત બનાવે છે.
પગમાં પહેરવામાં આવતી પાયલ પણ શણગારની જ નિશાની છે. કહે છે કે જ્યારે ઘરમાં તેનો રણકાર થાય છે ત્યારે તેનાથી ઘરની નકારાત્મક ઊર્જાનું શમન થઈ જાય છે. અને ઘરમાં શુભત્વનું આગમન થાય છે. યાદ રાખો, કે પાયલ હંમેશા ચાંદીની જ પહેરવી જોઈએ. ક્યારેય પણ સોનાની ન પહેરવી જોઈએ.
સુગંધિત ગજરો એટલે કે વેણી પણ સોળ શણગારમાં સ્થાન ધરાવે છે. તેને મહિલાઓ પોતાના વાળમાં લગાવે છે. ગજરો સુંદરતાની સાથે દાંપત્ય જીવનને પણ મહેકાવી દે છે.
પ્રેમ અને વિશ્વાસની નિશાની છે વીંટી. એટલે જ સગાઇના સમયે યુવક અને યુવતી એકબીજાને વીંટી પહેરાવે છે. લગ્ન પછી પણ બંને તે વીંટી જીવનભર પહેરી રાખે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)