ટાટા પાવરે અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી (ADA) સાથે મળીને અયોધ્યામાં અને તેની આસપાસના મહત્વના માર્ગો પર ચાર્જિંગ પોઈન્ટ લગાવવવામાં આવ્યા છે. ટાટા પાવરે ચાર્જિંગ પોઈન્ટ લગાવીને ઈલેક્ટ્રિક વાહનોને અપનાવવાની પ્રક્રિયાને વેગ આપ્યો છે. ટાટા પાવરની આ પહેલ વ્યૂહાત્મક રીતે અયોધ્યાને EV ચાર્જિંગ પોઈન્ટની સ્થાપના દ્વારા નજીકના મોટા શહેરો સાથે જોડે છે.
કંપનીએ કહ્યું કે, આ ચાર્જિંગ પોઈન્ટ નેશનલ હાઈવે (NH) 27 પર અયોધ્યાથી લખનૌ, NH 330 પર અયોધ્યાથી રાયબરેલી, NH 330 પર અયોધ્યાથી પ્રયાગરાજ અને NH 27 પર અયોધ્યાથી ગોરખપુર જેવા રૂટ પર લગાવવામાં આવ્યા છે.
ટાટા પાવર રિન્યુએબલ એનર્જી લિમિટેડના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર દીપેશ નંદાએ જણાવ્યું હતું કે, આ ચાર્જિંગ પોઈન્ટ સ્ટેશનો પર્યાવરણીય વ્યવસ્થાપનમાં મદદરૂપ સાબિત થશે. આ શૂન્ય ઉત્સર્જન તરફ એક પગલું છે. સાથે મળીને આપણે એક ટકાઉ આવતીકાલને આકાર આપી રહ્યા છીએ જે આપણા બધાને લાભદાયી થશે.
80,000થી વધુ હોમ ચાર્જર, 5,300થી વધુ સાર્વજનિક, અર્ધ-જાહેર અને ફ્લીટ ચાર્જિંગ પોઈન્ટ્સ અને 850થી વધુ બસ ચાર્જિંગ સ્ટેશનો સાથે ટાટા પાવરે જણાવ્યું હતું કે તે ઇકો-ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટેશન તરફ પરિવર્તન લાવવામાં મોખરે છે. અયોધ્યાના કમિશનર ગૌરવ દયાલે જણાવ્યું હતું કે, આ ચાર્જિંગ પોઈન્ટ માત્ર આપણા શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને જ નહીં પરંતુ ઈકો-ચેતના અને પ્રગતિના નવા યુગની પણ શરૂઆત કરે છે.