
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌને કાનપુર સાથે જોડતા નવાનિર્મિત એક્સપ્રેસવે પર ઠેર-ઠેર રસ્તો બેસી જવા અને ખરાબ ગુણવત્તાની ફરિયાદો સામે આવ્યા બાદ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ મોટો અને અભૂતપૂર્વ નિર્ણય લીધો છે. એક્સપ્રેસવે ચાલુ થયાના 20 દિવસની અંદર જ રસ્તો ક્ષતિગ્રસ્ત થતાં NHAI એ ટોલ વસૂલાત સંપૂર્ણપણે રોકી દીધી છે અને આખા એક્સપ્રેસવેને ફ્રી કરી દીધો છે. જ્યાં સુધી રસ્તાનું સમારકામ પૂરું નહીં થાય ત્યાં સુધી પ્રવાસીઓ પાસેથી કોઈ ટોલ લેવામાં આવશે નહીં.
ગત 13 જુલાઈના રોજ શરૂ થયેલા 63 કિલોમીટર લાંબા આ એક્સપ્રેસવે પર ખાસ કરીને ઉન્નાવ-લખનૌ કેરેજવે પર અનેક જગ્યાએ રસ્તો ધસી જવાની ફરિયાદો મળી હતી. મુસાફરો પાસેથી કાર/જીપ માટે એક તરફનો 275 રૂપિયા ટોલ વસૂલવામાં આવતો હતો. ખરાબ રસ્તાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અને 26 જુલાઈએ 64મા કિલોમીટર પાસે મોટો ખાડો પડી જતાં NHAI એ તાત્કાલિક અસરથી ટોલ નાબૂદ કર્યો છે અને કહ્યું છે કે ટોલના નુકસાનની ભરપાઈ કોન્ટ્રાક્ટર પાસેથી કરવામાં આવશે.
બનાવટમાં બેદરકારી દાખવવા બદલ NHAI એ પહેલીવાર આટલી આકરી કાર્યવાહી કરતા નીચે મુજબના પગલાં ભર્યા છે:
✴️NHAI has taken stringent action against the concessionaire, Independent Engineer and concerned officials following the identification of issues on the Kanpur–Lucknow Expressway. Immediate corrective measures have also been initiated to restore the affected stretch and… pic.twitter.com/zgR0NIUXhy
— PIB India (@PIB_India) August 5, 2026
NHAI દ્વારા રસ્તાની ખરાબ ગુણવત્તાને કારણે ટોલ વસૂલાત રોકવાનો આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ અગાઉ પણ ખરાબ રસ્તા અને જનતાની પરેશાનીને ધ્યાનમાં રાખીને અદાલતના આદેશથી ટોલ રોકવાનો એક મોટો કિસ્સો સામે આવી ચૂક્યો છે:
કેરળના પાલયિક્કારા ટોલ પ્લાઝા પર ખરાબ રસ્તો, સતત લાગતો ભારે ટ્રાફિક જામ અને બાંધકામના અધૂરા કામના કારણે ભારે જનરોષ જોવા મળ્યો હતો. તે સમયે કેરળ હાઇકોર્ટે પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ટોલ વસૂલાત પર વચગાળાની રોક લગાવી દીધી હતી. ત્યારબાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચતા સુપ્રીમ કોર્ટે પણ હાઇકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો અને સ્પષ્ટ કહ્યું હતું કે “જ્યાં સુધી ટ્રાફિક સામાન્ય ન થાય અને રસ્તો યોગ્ય ન બને ત્યાં સુધી જનતા પાસેથી ટોલ વસૂલવો વ્યાજબી નથી.” પાછળથી સ્થિતિ સુધર્યા બાદ ત્યાં ફરીથી ટોલ શરૂ કરવામાં આવ્યો હતો.
કાનપુર-લખનૌ એક્સપ્રેસવે પર લેવાયેલું આ પગલું દર્શાવે છે કે હવે નેશનલ હાઇવે ઓથોરિટી પણ નિર્માણની ગુણવત્તા અને મુસાફરોની સુરક્ષા પ્રત્યે કોઈ સમાધાન કરવાના મૂડમાં નથી.