
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે, પરંતુ હવે ગુજરાતની જનતાને ટૂંક સમયમાં જ આ ભીષણ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા દેખાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, 30 મેથી 2 જૂન દરમિયાન રાજ્યમાં વરસાદનો એક સારો રાઉન્ડ જોવા મળી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક જિલ્લાઓમાં અંદાજે 2 ઇંચ સુધી વરસાદ નોંધાઈ શકે છે.
હાલમાં રાજ્યના અનેક શહેરોમાં તાપમાન ઉંચા સ્તરે પહોંચતા લોકો ગરમીથી પરેશાન બન્યા છે. જોકે હવામાન વિભાગના અનુમાન અનુસાર આગામી દિવસોમાં વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે. ગુજરાતમાં સત્તાવાર ચોમાસું બેસવામાં હજુ સમય છે, છતાં તે પહેલા પ્રી-મોન્સૂન એક્ટિવિટી તરીકે અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસા માટે હાલ અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી છે અને અરબી સમુદ્ર, બંગાળની ખાડી તેમજ અંદમાન-નિકોબાર વિસ્તારમાં ચોમાસું આગામી બે થી ત્રણ દિવસમાં આગળ વધશે.
હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે ઉત્તર પશ્ચિમ ભારતમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે, જેના કારણે ગુજરાતના હવામાનમાં બદલાવ આવશે. હાલમાં પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે અને તેના પ્રભાવથી 30 મેના રોજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
આગાહી મુજબ 1 અને 2 જૂન દરમિયાન છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ જામશે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. આ દરમિયાન પવનની ઝડપ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળશે પરંતુ સાથે સાવચેત રહેવાની પણ જરૂર રહેશે.
હવામાન વિભાગે ખાસ કરીને ખેડૂતો અને નાગરિકોને બદલાતા વાતાવરણને ધ્યાનમાં રાખીને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી છે. આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી ઝાપટાંને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે, જેના કારણે ગરમીથી લોકોને મોટી રાહત મળવાની આશા છે.
જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.