આ વર્ષે ભારતે અનેક સિદ્ધિઓ હાંસલ કરી, 2025ના વર્ષની છેલ્લી ‘મન કી બાત’માં શું બોલ્યા PM મોદી

| Edited By: | Updated on: Dec 28, 2025 | 11:58 AM

Mann Ki Baat 129th Episode : આજે 28મી ડિસેમ્બરને રવિવારના રોજ, સવારે 11 વાગે પીએમ મોદીએ ઈસ્વીસન 2025ના છેલ્લા 'મન કી બાત'ના કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમનો આ 129મો મન્થલી એપિસોડ હતો. મન કી બાત કાર્યક્રમમાં સંબોધન દરમિયાન, પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત નવી આશાઓ અને નવા સંકલ્પો સાથે આગળ વધવા માટે તૈયાર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ના 129મા એપિસોડમાં રાષ્ટ્રને સંબોધન કરતા કહ્યું કે આ વર્ષે દેશ માટે ઘણી સિદ્ધિઓ રહી છે. ભારત નવી આશાઓ અને નવા સંકલ્પો સાથે આગળ વધવા માટે તૈયાર છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આ વર્ષનું ‘ઓપરેશન સિંદૂર’ દરેક ભારતીય માટે ગૌરવનું પ્રતીક બન્યું. દુનિયાએ સ્પષ્ટપણે જોયું કે, આજનું ભારત તેની સુરક્ષા સાથે કોઈ જ પ્રકારે સમાધાન કરતું નથી. ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન, વિશ્વના દરેક ખૂણામાંથી ભારત માતા પ્રત્યે પ્રેમ અને ભક્તિની તસવીર સામે આવી. ‘વંદે માતરમ’ ને 150 વર્ષ પૂર્ણ થયા ત્યારે પણ આવી જ ભાવના દરેક ભારતીયોમાં ગર્વપૂર્વક જોવા મળી હતી.

વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે 2025 માં, શ્રદ્ધા, સંસ્કૃતિ અને ભારતનો અનોખા વારસા સમાન બધું એકસાથે જોવા મળ્યું. વર્ષની શરૂઆતમાં પ્રયાગરાજ મહાકુંભના આયોજને સમગ્ર વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું. વર્ષના અંતે, અયોધ્યાના રામ મંદિરમાં ધર્મ ધ્વજા રોહણ સમારોહે દરેક ભારતીયને ગર્વિત કરી દીધા.

સ્વદેશી વિશે બોલતા, પીએમ મોદીએ કહ્યું કે લોકોએ સ્વદેશી ઉત્પાદનો માટે પણ ખૂબ ઉત્સાહ દર્શાવ્યો છે. દેશના નાગરિકો હવે માત્ર ભારતીયોની મહેનતથી બનેલી વસ્તુઓ જ ખરીદી રહ્યા છે. આજે, આપણે ગર્વથી કહી શકીએ છીએ કે 2025 એ ભારતને વધુ આત્મવિશ્વાસ આપ્યો છે 2026માં નવી આશાઓ અને નવા સંકલ્પો સાથે આગળ વધીશું.

દેશભરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો