એક જ પિતાના જોડિયા દીકરા, પણ બન્નેની જ્ઞાતિ અલગ અલગ ! યુવરાજસિંહે ખુલ્લુ પાડ્યું કથિત સરકારી નોકરીનુ ભરતી કૌભાંડ ! જુઓ વીડિયો
યુવરાજસિંહના જણાવ્યા અનુસાર, એક જ પિતાના જોડિયા પુત્રોમાંથી એકે OBC (અન્ય પછાત વર્ગ)નું પ્રમાણપત્ર રજૂ કરીને રેવન્યુ તલાટી તરીકે સરકારી નોકરી મેળવી છે, જ્યારે બીજા ભાઈએ ST (અનુસૂચિત જનજાતિ)નું પ્રમાણપત્ર રજૂ કરીને જુનિયર ક્લાર્ક તરીકે નિમણૂક મેળવી હોવાનું સામે આવ્યું છે.
ગુજરાત રાજ્યમાં સરકારી નોકરીમાં ભરતી અને સરકારી યોજનાઓના લાભાર્થીઓને લઈને ગંભીર ગેરરીતિઓના આક્ષેપો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ એક કથિત કૌભાંડનો પર્દાફાશ કરતા દાવો કર્યો છે કે, એક જ પરિવારના જોડિયા ભાઈઓએ અલગ-અલગ જ્ઞાતિના પ્રમાણપત્રોના આધારે સરકારી નોકરીઓ મેળવી છે.
યુવરાજસિંહના જણાવ્યા અનુસાર, એક જ પિતાના જોડિયા પુત્રોમાંથી એકે OBC (અન્ય પછાત વર્ગ)નું પ્રમાણપત્ર રજૂ કરીને રેવન્યુ તલાટી તરીકે સરકારી નોકરી મેળવી છે, જ્યારે બીજા ભાઈએ ST (અનુસૂચિત જનજાતિ)નું પ્રમાણપત્ર રજૂ કરીને જુનિયર ક્લાર્ક તરીકે નિમણૂક મેળવી હોવાનું સામે આવ્યું છે.
આ મામલે યુવરાજસિંહે કથિત સરકારી દસ્તાવેજો જાહેર કરીને પ્રશ્ન ઉઠાવ્યો છે કે એક જ પરિવારના બે સગા અને જોડિયા ભાઈઓની જ્ઞાતિ અલગ-અલગ કેવી રીતે હોઈ શકે? તેમણે આરોપ લગાવ્યો છે કે ખોટા જ્ઞાતિ પ્રમાણપત્રોના આધારે સરકારી ભરતી અને વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવવામાં આવ્યો છે.
યુવરાજસિંહે વધુમાં દાવો કર્યો છે કે આવા કથિત કૌભાંડોના કારણે ખરેખર OBC અને ST વર્ગના હકદાર ઉમેદવારોના અધિકારો પર તરાપ મારવામાં આવી રહી છે. તેમના કહેવા મુજબ રાજ્યમાં આર્થિક અને સામાજિક સ્તરે મોટા પાયે ગેરરીતિઓ ચાલી રહી હોવાની આશંકા છે.
વિદ્યાર્થી નેતાએ સરકાર અને સંબંધિત વિભાગો પાસે સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે. સાથે જ ખોટા જ્ઞાતિ પ્રમાણપત્રો બનાવી આપનારા, તેનો ઉપયોગ કરનારા અને આવા કેસોમાં સંડોવાયેલા અધિકારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠાવી છે.
હાલ આ મામલે સરકારી તંત્ર તરફથી કોઈ સત્તાવાર પ્રતિસાદ જાહેર કરવામાં આવ્યો નથી. જો કે યુવરાજસિંહના આક્ષેપો સામે આવ્યા બાદ સમગ્ર ઘટનાક્રમ ચર્ચાનો વિષય બન્યો છે અને હવે તપાસમાં શું હકીકત બહાર આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.