ગુજરાતના આ બ્રિજ ઉપરથી લોકો કેમ લગાવી રહ્યા છે મોતની છલાંગ? એક વર્ષમાં બે ડઝનથી વધુ લોકોના આત્મહત્યાના પ્રયાસ

|

Jan 03, 2023 | 7:50 AM

સ્થાનિક અગ્રણી અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીના જણાવ્યા અનુસાર સાંજના સમયે ઘટનાની તેમને જાણ થતા સ્થાનિક નાવિકો સાથે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. રત્ન અંધારામાં રેસ્ક્યુ ઓપરેશન ખુબ મુશ્કેલ હતું. ફાયર બ્રિગેડને પણ કોલ અપાયો હતો.

ભરૂચ નજીક નર્મદા નદી ઉપર આકાર પામેલ નર્મદા મૈયા બ્રિજ સુસાઇડ પોઇન્ટ બની રહ્યો છે. વર્ષ 2022 માં 2 ડઝન કરતા વધુ લોકોએ આ બ્રિજ ઉપરથી નર્મદામાં મોતની છલાંગ લગાવ્યા બાદ પોલીસે પેટ્રોલિંગ વધાર્યું છે છતાં અહીં અપમૃત્યુના પ્રયાસના મામલાઓ વારંવાર સામે આવતા રહે છે. 2 જાન્યુઆરીએ સાંજના સમયે ભરૂચથી અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તાર તરફ જતા દંપતી પૈકી પતિએ લઘુશંકાના બહાને બાઈક ઉભી રાખી અચાનક નદીમાં છલાંગ લગાવી દેતા દોડધામ મચી ગઈ હતી. મહિલા દ્વારા બુમરાણ મચાવવામાં આવતા અન્ય વાહનચાલકો , સ્થાનિકો અનેપોલીસ દોડી આવી હતી. ઘટના બાદ નદીમાં છલાંગ લગાવનાર વ્યક્તિની શોધખોળ માટે ફાયરબ્રિગેડને મદદે બોલાવવામાં આવ્યું હતું.

અચાનક નદીમાં કૂદી પડયો બાઈક સવાર

સ્થાનિક અગ્રણી અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીના જણાવ્યા અનુસાર સાંજના સમયે ઘટનાની તેમને જાણ થતા સ્થાનિક નાવિકો સાથે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. રત્ન અંધારામાં રેસ્ક્યુ ઓપરેશન ખુબ મુશ્કેલ હતું. ફાયર બ્રિગેડને પણ કોલ અપાયો હતો. છલાંગ લગાવનાર વ્યક્તિ અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામનો કે પી સીંગ હતો જે પત્ની સાથે અંકલેશ્વર જતા લઘુશંકાના બહાને રોકાયા બાદ અચાનક નદીમાં કૂદી પડ્યો હતો.

બ્રિજના છેડે જાળી લગાડવાની માંગ

ધર્મેશે વધુમાં જણાવ્યું હતું કે આ સ્થળ આત્મહત્યના બનાવો માટે ખુબ બદનામ બન્યું છે. માત્ર વર્ષ 2022ની વાત કરવામાં આવે તો અહીં બે ડઝનથી વધુ લોકોએ જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો છે. તંત્રએ અહીં પૂલની રેલિંગ સાથે જાળી લગાડવી જોઈએ જેથી અપમૃત્યુના બનાવો ઉપર નિયંત્રણ આવી શકે .

Published On - 7:48 am, Tue, 3 January 23

Next Video