ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ભરપૂર પાણીની આવક નોંધાઇ છે. ત્યારે સરદાર સરોવર ડેમની જળસપાટી સતત વધી રહી છે. નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર 135 મીટરને પાર પહોંચ્યો છે. મળતી માહિતી મુજબ ડેમનું જળસ્તર જાળવી રાખવા 9 દરવાજા 1.5 મીટર ખોલવામાં આવ્યા છે અને નર્મદા નદીમાં પાણી છોડાઇ રહ્યું છે. ત્યારે નર્મદા નદીમાં પાણી છોડાતા નર્મદા કાંઠાના જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે.
નર્મદા ડેમમાં ભારે વરસાદના કારણે જળ સ્તર ઉપર આવી ગયા છે જેને લઈને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. હાલ નર્મદા ડેમની સપાટી 135 મીટરથી ઉપર પહોંચી ચૂકી છે. ડેમમાં 2.13 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે. તમને જણાવી દઈએ કે કેવડીયાને અડીને આવેલા ડભોઇના ચાણોદમાં મલહાર રાવ ઘાટના 5 પગથિયા ડૂબ્યા છે. તો ભરૂચ નજીકથી પસાર થતી નર્મદા નદીના જળસ્તર વધતા તંત્ર એલર્ટ બન્યું છે.
તંત્રએ કાંઠા વિસ્તારના લોકોને સતર્ક રહેવા સૂચના આપી છે. તો માછીમારોને નર્મદામાં માછીમારી ન કરવા અપીલ કરાઇ છે. કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે અંકલેશ્વરમાં નર્મદા કાંઠે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરી દેવાયો છે. આ સિઝનમાં નર્મદા ડેમ 90 ટકા ભરાઈ ચૂક્યો છે. ત્યારે હવે નર્મદા ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા છે. આ સાથી પાણી નદીઓમાં છોડાતા નદી કાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Published On - 11:09 am, Mon, 12 August 24