દુર્ઘટનાની રાહ જોતુ ભાવનગર મનપાનું તંત્ર, ચોમાસુ માથા પર અને 1500 જર્જરીત ઈમારતોને માત્ર નોટિસ આપી સંતોષ માન્યો- Video

|

Jun 24, 2024 | 7:02 PM

ભાવનગર મનપાનું તંત્ર જાણે કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં 1500 જેટલી જર્જરીત ઈમારતો આવેલી છે અને અહી વસતા લોકોને તંત્ર દ્વારા માત્ર નોટિસ આપવામાં આવી છે. ચોમાસુ માથા પર છે પરંતુ આ ઈમારતો હજુ સુધી ખાલી કરાઈ નથી

ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે પરંતુ ભાવનગર મહાનગરપાલિકા હજુ કુંભકર્ણની નીંદ્રામાં જ છે. કારણ કે શહેરમાં હજુ પણ 1500 જેટલી ખાનગી મિલકત અત્યંત બિસ્માર હાલતમાં છે. જે કોઇ પણ સમયે દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે. ભાવનગર મનપાના વિસ્તારમાં 259 મિલકતો છે. જે પૈકી 59 બહુમાળી ઇમારતો અને કોમ્પલેક્સ છે. જેમાંથી 49 બહુમાળી ઇમારતોમાં વીજળી અને પાણીનું કનેક્શન કાપી દેવાયું છે.18 બહુમાળી ઇમારતોને અંતિમ નોટિસ આપવામાં આવી છે.

આપને જણાવી દઇએ, અત્યાર સુધી મનપાએ 1732 એકમોને નોટિસ આપીને સંતોષ માની લીધો છે. જો કે થોડા અંશે કાર્યવાહી પણ કરી છે. જેમાં નળ, ગટર અને વીજ કનેક્શન કાપી દેવાયા છે. પરંતુ હજી સુધી કોઇ નિરાકરણ નથી આવ્યો. જો વાવાઝોડું કે ભારે વરસાદ આવે તો જર્જરિત મિલકતો જોખમ ઉભું કરી શકે છે.

જો, સરકારી ઇમારતોની વાત કરીએ તો, હાઉસિંગ બોર્ડના 81 બ્લોકમાં 1,117 એકમોમાં નળ, ગટર અને વીજળી કનેક્શન કાપી દેવાયું છે. સાથે, મનપાની 20 જેટલી ઇમારત જર્જરિત છે. જેના પર કોઇ જ કાર્યવાહી નથી કરાઇ. ઉલ્લેખનીય છે, બે દિવસ પહેલા જ ભાવનગરના વડવા વિસ્તાર પાસે 2 માળનું જૂનું મકાન ધરાશાયી થયું હતું. જેમાં એક વૃદ્ધનો આબાદ બચાવ થયો હતો. મહત્વનું છે, વિપક્ષ પણ અનેક વખત પાલિકાની કામગીરી સામે સવાલ ઉઠાવી ચૂક્યું છે.છતાં કામગીરી અધૂરી છે. ત્યારે,આગામી સમયમાં કોઇ મોટી દુર્ઘટના ના બને તે માટે તંત્રએ માત્ર નોટિસ નહીં. કાર્યવાહી કરવી જરૂરી બને છે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો  

Published On - 7:02 pm, Mon, 24 June 24

Next Video