રાજકોટ મહાનગરપાલિકાએ ફરી એક વખત મિનરલ વોટરના પ્રોડક્શન યુનિટ પર દરોડા પાડી તપાસ હાથ ધરી. મનપાના આરોગ્ય વિભાગે બે અલગ અલગ પાણીની કંપનીઓ મેક્સ બેવરેજીસ અને બિસ્વિનને દંડ ફટકાર્યો હતો. જે બાદ આજે ફરીથી બંને કંપનીઓમાં ઓઝોનેશનવાળું પાણી છે કે કેમ તે બાબતે તપાસ કરી. મિનરલ વોટર માટે ઓઝોનેશનવાળું પાણી હોવું જરૂરી છે. તંત્ર દ્વારા બંને કંપનીઓને દંડ ફટકારવામાં આવ્યા બાદ ફરીથી નમૂનાઓ લેવામાં આવ્યા હતા.
જો કે આ નમૂનાનો રિપોર્ટ 2 મહિના બાદ આવશે. એટલે કે 2 મહિના સુધીમાં રિપોર્ટ આવે ત્યાં સુધી પ્રોડ્કશન ચાલુ રહેશે. ત્યારે સવાલ એ છે કે જો 2 મહિના બાદ નમૂના ફેલ થાય તો આ દરમ્યાન આરોગ્ય માટે જોખમી એવું પાણી પીવે તો જવાબદાર કોણ ? આરોગ્ય વિભાગનું કહેવું છે કે અમે જે-તે કંપનીને દંડ ફટકારી શકીએ છીએ પરંતુ કંપનીનું પ્રોડ્કશન બંધ ન કરી શકાય. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે RMCએ આજે બજેટ રજૂ કરતી વખતે જે પાણી પીવા આપ્યું તે એ કંપનીઓનું હતું જેને ભૂતકાળમાં દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: મુસીબતનું માવઠુ ! રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદના વાદળો બંધાતા ખેડૂતોના પાક પર સંકટ
મહત્વપૂર્ણ છે કે થોડા દિવસ પહેલા જ બિસ્વીન અને મેક્સ કંપનીની વોટર બોટલોના નમૂના લેવામાં આવ્યા હતા જે ફેઇલ થયા હતા. સાથે જ મિનરલ વોટરનું પાણી પીવાલાયક ન હોવાનો રિપોર્ટ પણ આવ્યો હતો. હવે સવાલ એ છે કે જો આ પાણીના નમૂના ફરી ફેલ થયા તો, RMCના અધિકારીઓની તબિયત લથડી તો જવાબદારી કોની ? શું પાણી આપતા પહેલા આ તમામ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી નહોતું?