જામનગરમાં 52 વર્ષ જૂનુ બસ સ્ટેન્ડની હાલ પડવાના વાંકે ઉભું છે. બસ સ્ટેન્ડમાં તિરાડો પડી ગઈ છે. છતમાંથી પોપડા પડી રહ્યા છે. છતાં ન તો તેનું સમારકામ કરવામાં આવી રહ્યું છે, ન તો નવું બસ સ્ટેન્ડ બનાવવાની કોઈ યોજના છે. મહત્વપૂર્ણ છે કે આ બસ સ્ટેન્ડ 1970માં બાંધવામાં આવ્યુ હતુ. હાલ આ બસ સ્ટેન્ડ પડુ પડુ થઈ રહ્યુ છે.
જીલ્લા મથકની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી દૈનિક 2 હજારથી વધુ વિધાર્થીઓ અપડાઉન કરે છે. સાથે જ દ્વારકા યાત્રાધામ હોવાથી રાજ્યભરમાંથી પ્રવાસીઓ પણ અહીં આવે છે. એટલે કે દૈનિક હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આ બસ સ્ટેન્ડમાં આવે છે. જેઓને આ જર્જરિત બસ સ્ટેન્ડનો ઉપયોગ કરે છે. ત્યારે સ્થાનિકો પણ માગ કરી રહ્યા છે કે કોઈ દુર્ઘટના બને તે પહેલા અથવા તો સમારકામ થાય અથવા તો નવું બસ સ્ટેન્ડ ફાળવવામાં આવે.
વર્ષો જુનું આ બસ સ્ટેન્ડ સમારકામ માગી રહ્યું છે. તે વાતથી અધિકારીઓ પણ અજાણ નથી. સ્થાનિક તંત્રની રજૂઆત બાદ વિભાગ તરફથી સરવેની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી નવું બસ સ્ટેન્ડ બનાવવાની કોઈ તૈયારી દેખાઈ નથી રહી. વિભાગ તરફથી નવી બિલ્ડીંગ મંજૂર થાય અને તે માટેની ગ્રાન્ટ આવે, ત્યારબાદ જ નવું બસ સ્ટેન્ડ બનવાની કામગીરી શરૂ થઈ શકે. જે અંગે હાલ સુધી કોઈ પગલા લેવાયા નથી.
આ તરફ જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ આ બાબતે રાજય સરકારને લેખીત અને મૌખીક રજુઆત કરી છે. સાથે જ માગ કરી છે કે બસ સ્ટેન્ડને વિકસાવવા માટે ખાસ જોગવાઈ અને ગ્રાન્ટ મંજૂર કરવામાં આવે. ધારાસભ્યના જણાવ્યા પ્રમાણે આ અંગે સરકાર તરફથી પણ સકારાત્મક વલણ દાખવ્યું છે.
Published On - 10:00 pm, Sun, 5 February 23