
કેસર કેરીના હબ ગણાતા તાલાલા ગીરમાં ખેડૂતો આંબાને જડમૂળથી કાપવા માટે બન્યા મજબુર, સતત માવઠાથી આંબાને જમીનદોસ્ત કરી કાપી રહ્યા છે. વાતાવરણમાં સતત બદલાવથી માવઠા, વાવાઝોડાથી કંટાળી ખેડૂતો
કેસર કેરીના હબ કહેવાતા તાલાલા ગીરમાંથી ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા છે. પોતાના સંતાનની જેમ માવજત કરીને વર્ષોથી ઉછેરેલા આંબાને ખેડૂતો જડમૂળથી કાપવા માટે મજબુત બન્યા છે. છેલ્લા 4-5 વર્ષોથી હવામાનની પેટર્ન બદલાઈ છે. જેના કારણે સતત બદલાતા વાતાવરણને કારણે ખેડૂતોને સતત નુકસાનીનો માર પડી રહ્યો છે. સતત કમોસમી વરસાદ, આંધી, માવઠાથી ખેડૂતો કંટાળી ગયા છે અને બગીચાને જમીનદોસ્ત કરી રહ્યા છે. તાલાલા ગીરના ખીરધાર ગામના બે ખેડૂતોને 9 વીઘાથી વધુનો વર્ષો જુનો કેસર કેરીનો બગીચો છે. પરંતુ છેલ્લા 3 વર્ષથી ઉત્પાદન ઘટતા આંબાને કાપી રહ્યા છે. તેની સામે હવે મગફળી, અડદ, મગ, બાજરી, ઘઉં અને ચણા જેવા પાકો તરફ વળી રહ્યા છે.
ખેડૂતોનુ કહેવુ છે કે આંબામાં ફ્લાવરીંગ તો સારુ થાય છે પરંતુ માવઠાને કારણે કેરીઓ ખરી પડે છે અને જે બચી જાય છે તેનો વિકાસ થતો નથી. દર વર્ષે જંતુનાશક દવાઓ અને મજૂરી પાછળ રૂ. 70 થી 80 હજાર ખર્ચવા છતા પૂરતુ ઉત્પાદન મળતુ નથી. તાલાલા તાલુકાના અનેક ગામોમાં આ જ વિષમ સ્થિતિ સર્જાઈ છે. આ અંગે બાગાયત અધિકારી જણાવે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં વાતાવરણમાં સતત બદલાવને કારણે કેરીનું ઉત્પાદન ઘટતા ખેડૂતો બગીચા કાપી રહ્યા છે. બીજી તરફ નવા કેસર આંબાનુ વાવેતર પણ મોટા પ્રમાણમાં થઈ રહ્યાનો દાવો ખેડૂતો કરી રહ્યા છે.
છેલ્લા 4થી 5 વર્ષમાં તાલાલા ગીર વિસ્તારમાં મોટી સંખ્યામાં આંબાવાડી ઉજ્જડ બની છે. ત્યારે અનેક ખેડૂતો હવે કેસર કેરીની ખેતી છોડી અન્ય પાકો તરફ વળી ગયા છે. ખેડૂતોના મતે, આ વર્ષે બજારમાં કેસર કેરીની આવક ઘટી શકે છે, જેના કારણે કેરી રસિકોને ઊંચી કિંમત પણ ચૂકવવી પડી શકે છે.
હાલ તો તાલાલામાં અનેક ખેડૂતોએ તેમના આંબાને જડમૂળમાંથી ભારે હ્રદયે કાપી નાખ્યા છે. એક ખેડૂતના જણાવ્યા મુજબ તેમણે 9.5 વિઘા જમીનમા આંબા કાપી નાખ્યા છે અને હવે તેઓ તેમા પ્રાકૃતિક ખેતી કરવાનું વિચારી રહ્યા છે.
Published On - 6:20 pm, Tue, 7 April 26