સુરેન્દ્રનગરના ભાજપ ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ રાજનીતિમાં ચારિત્ર્યહીન, દારૂડિયા અને જુગારિયા લોકોના પ્રવેશ અંગે કરેલા નિવેદને વિવાદનો પલિતો ચાંપ્યો છે. ધારાસભ્ય વરમોરાએ જાહેરમાં જણાવ્યું હતું કે, રાજનીતિમાં ક્યાંક ને ક્યાંક ચારિત્ર્યહીન માણસો આવ્યા છે, દારૂ પીવાવાળા અને જુગાર રમવાવાળા લોકો પણ રાજનીતિમાં આવી ગયા છે. તેમણે વધુમાં કહ્યું કે, આને કારણે લોકોની રાજનીતિમાંથી શ્રદ્ધા ડગી ગઈ છે અને પ્રજાનો વિશ્વાસ ઓછો થયો છે. તેમણે ધર્મ સત્તામાં આ ચારેય સત્તાને ઠીક કરવાની તાકાત હોવાનું પણ જણાવ્યું હતું.
આ વિવાદીત નિવેદન બાદ ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ તાત્કાલિક ખુલાસો કર્યો હતો. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે તેમના નિવેદનને ખોટી રીતે જોવામાં આવી રહ્યું છે. વરમોરાના મતે, તેમનો કહેવાનો મૂળ હેતુ આગેવાનોને નવી પેઢી માટે પ્રેરણારૂપ બનવા અને સારા દાખલા બેસાડવા અંગેનો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, “આગેવાનોના જીવનને નવી પેઢી પ્રેરણારૂપ માનતી હોય છે. આવા સંજોગોમાં કોઈપણ આગેવાને ભૂલથી પણ દારૂ કે જુગાર જેવા કામ ન કરવા જોઈએ.” તેમણે ઉમેર્યું કે, નેતાઓએ એવા કાર્યોથી દૂર રહેવું જોઈએ જેનાથી સામાન્ય લોકોની તેમનામાં રહેલી શ્રદ્ધા ઓછી થાય. વરમોરાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે તેમનું નિવેદન કોઈ ચોક્કસ પક્ષ કે વ્યક્તિ માટે ન હતુ. મારા નિવેદનને કયાંક ને કયાંક જુદી રીતે જોવાઈ રહ્યુ છે.