સુરતના પાલ આરટીઓ ખાતે ખાનગી કંપનીની બસમાં અચાનક આગ લાગી જવાની ઘટના સામે આવી હતી. ઈચ્છાપુરથી અડાજણ કર્મચારીઓને લેવા મૂકવા જતી બસમાં કોઈ કારણોસર આગ લાગી જતા બસ ભડકે બળી હતી. બસમાં ખાનગી કંપનીના 19 કર્મચારીઓ સવાર હતા. જોકે બસમાંથી ધુમાડા નીકળતા હોવાની ડ્રાઇવરને જાણ થતાં જ તમામ નીચે ઉતારી દીધા હતા અને થોડી જ વારમાં બસમાં આગ ભભુકી ઉઠી હતી. ઘટનાની જાણ ફાયર વિભાગની કરાતા ફાયરિંગ ટીમ પહોંચી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. સદનસીબ આ ઘટનામાં કોઈ પ્રકારની જાણ હાની થઈ નથી.
સુરતમાં બસમાં આગ લાગવાની ઘટનાના કિસ્સાઓ અવારનવાર સામે આવી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોમાં મહાનગરપાલિકાની સિટી બસ અને બીઆરટીએસ બસમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. જેમા વધુ એક ઘટના ઉમેરાઈ છે. સુરતના ઈચ્છાપુર ખાતે આવેલી ખાનગી કંપનીની કર્મચારીઓને લેવા મુકવા જતી બસમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે.ઈચ્છાપુર ખાતેની ખાનગી કંપની કર્મચારીઓને બસમાં મુકવા જઈ રહી હતી. તે દરમિયાન સુરતના પાલ આરટીઓ નજીક ચાલુ બસમાં આગ લાગી હતી.
બસમાંથી ધુમાડા નીકળતા ડ્રાઇવર સહિત તમામ કર્મચારીઓ બસમાંથી ઉતરી ગયા હતા. બસ રસ્તા પર ચાલી જ રહી હતી અને તેમાં 19 જેટલા કર્મચારીઓ સવાર હતા. આ દરમિયાન અચાનક તેમાં આગ લાગી જવા પામી હતી. બસમાં વિકરાળ આગ લાગે તે પહેલા તમામ કર્મચારીઓ બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા. જેના કારણે જાનહાનિ ટળી હતી.